એહ આદિ ભકત થયા બહુ ભૂપજી, સાચા સત્યવાદી અનઘ અનુપજી

પરપીડા હરવા શુદ્ધ સુખરૂપજી, કરી હરિ રાજી તરી ગયા ભવકૂપજી

ભવ કૂપરૂપ તે તર્યા, આગળે ભકત અનેક ।।

ધન્ય ધન્ય એની ભકત, ધન્ય ધન્ય એહની ટેક ।। ૨ ।।

એવી ટેક જોઈએ આપણી, કરવા પ્રભુને પ્રસન્ન ।।

જયાં સુધી ન રીઝે શ્રીહરિ, ત્યાં સુધી કરવી જતન ।। ૩ ।।

જેમ ધુવે કોઈ લૂગડું, પણ માંય રહી જાય મેલ ।।

ત્યાં સુધી ન જાણવું, એહ વસ્ત્રને ધોયેલ ।। ૪ ।।

જેમ બેસે કોઈ જા’જમાં, હોય ઊંડા અર્ણવમાંય ।।

ત્યાં સુધી સુખ ભૂમિનું, શીદ માનીને મલકાય ।। ૫ ।।

કર્યા કેશરિયાં શૂરા સરખાં, પણ લીધી નથી લડાઈ ।।

ત્યાં સુધી તે વેષની, કેમ વખાણાય વડાઈ ।। ૬ ।।

શૂરા દેખી દગે શત્રુને, કરે દગે કરી ઘણું ઘાય ।।

હરિજનને અરિ ઝીણા અતિ, કરે તે કોણ ઉપાય ।। ૭ ।।

કામ ક્રોધ લોભ કહીએ, એ અતિશે ઝીણા અરિ ।।

આવતાં એને ઓળખીને, વળી ખબર તે રાખવી ખરી ।। ૮ ।।

અખંડ આગ્રહ એહ ઉપરે, જેહ જેહ રાખે છે જન ।।

તેહ તેહ એ શત્રુ થકી, નર રહે નિરવિઘન ।।૯।।

ગાફલને ઘાયલ કરે, સાજું રહેવા ન દિયે શરીર ।।

નિષ્કુળાનંદ સચેત રહેવું, ધરી દઢતા અતિ ધીર ।।૧૦।।