(રાગ:-બિહાગડો) સરલ વરતવે છે સારું રે મનવાએ ઢાળ.

ધીરજ સમ નહિ ધન રે સંતો આવે અર્થ દોયલે દન રે સંતો

અતોલ દુઃખ પડે જયારે આવી, તે તો ન સે’વાય તન;

તેમાં કાયર થઈને કે દી, ન વદે દીન વચન રે સંતો ।। ૧ ।।

ધીરજવંતને આપે અત્યંત, દુઃખ બહુ દુરિજન;

તે તો સરવે સહે શરીરે, જાણી તે જન અજ્ઞ રે સંતો ।। ૨ ।।

ધીરજ ધારી રહે નરનારી, પામે તે સુખસદન;

કષ્ટ કાપવાનો એ છે કુઠારો, વાઢે વિપત્તિનાં વન રે સંતો ।। ૩ ।।

આગે સીતા કુંતા ને દ્રૌપદી, ધારી ધીરજ અતિ મન;

નિષ્કુળાનંદના નાથને કર્યા, પૂરણ એણે પ્રસન્ન રે સંતો ।। ૪ ।।