એવા ધીરજવાળા જાણો જડભરતજી, હતા અતિ આપે અત્યંત સમર્થજી
સહ્યાં દુઃખ દેહે રહી ઉન્મત્તજી, કરે ઘર પર કામ તેમાં એક મતજી
મત રહિત મુનિ રહે, મળે અન્ન જેવું તેવું જમે ।।
કોહ્યું કસાયું સડ્યું બગડ્યું, બળ્યું ઊતર્યું ખાઈ દિન નિર્ગમે ।। ૨ ।।
ત્યારે ભ્રાતે કહ્યું જડભરતને, રાખો ખરી ખેતની ખબર ।।
ત્યારે જડભરતજી જઈ રહ્યા, ઊભા રાતમાં અડર ।। ૩ ।।
અતિશે ભૂલી શુદ્ધ અંગની, વરતે છે અંતરે વરતિ ।।
આપાપર ભાવ નથી ભાસતો, એવી ખરી કરી છે મતિ ।। ૪ ।।
મતિમાં રતી નવ રહ્યો, સુખ દુઃખ સંભવ વળી ।।
એવી રીતે જડભરતજી, સાચવે છે ખેતર ખળી ।। ૫ ।।
ત્યાં તસ્કર નર આવીને, ઝાલી લઈ ગયા જડભરતને ।।
ઊભા રાખ્યા દેવી આગળ્યે, તેને મારવા તરતને ।। ૬ ।।
ત્યારે ચોર કહે પછી ચડાવિયે, સારી પેઠે જમાડી સુખડી ।।
ત્યારે જડભરત જમિયા, તરત વળી તેહ ઘડી ।। ૭ ।।
પછી તીખી તરવાર લઈ કરી, હાથ ઉપાડ્યો હણવા કાજ ।।
તે દેખી ન શકી દિલે દેવી, હાથ ઝાલી લીધો વાજોવાજ ।। ૮ ।।
પછી લીધી કરવાલ કરથી, તેણે કાપ્યાં સર્વના શીશ ।।
પીધું લોહી ને ખાધું માંસને, ત્યારે ઊતરી દેવીને રીશ ।।૯।।
જોડી હાથ જડભરત આગળે, કરે અતિ વિનંતી તે વળી ।।
નિષ્કુળાનંદના નાથના વા’લા, તમને પીડ્યા પાપીએ મળી ।।૧૦।।