એવા તો સનકાદિક સુજાણજી, વિષયસુખ દુઃખરૂપ જાણી તજી તાણજી

ભજી પ્રભુ પામિયા પદ નિર્વાણજી, એહ વાત સરવે પુરાણે પ્રમાણજી

પુરાણે વાત એહ પરઠી, સનકાદિક સમ નહિ કોય ।।

વેર કરી વિષયસુખ સાથે, ભજયા શ્રીહરિ સોય ।। ૨ ।।

જેહ સુખ સારું શિવ બ્રહ્મા, સુર અસુર નર ભૂખ્યા ભમે ।।

તે સુખ સનકાદિકને, સ્વપ્નામાં પણ નવ ગમે ।। ૩ ।।

ભકત કરી હરિને રીઝવ્યા, માગો માગો કહે શ્રીઘનશ્યામ ।।

માગિયે વય વર્ષ પાંચની, વળી રહિયે સદા નિષ્કામ ।। ૪ ।।

પછી પામી અવસ્થા વર્ષ પાંચની, સર્વે લોકમાં ફરે સુજાણ ।।

સુણાવે કથા શ્રીકૃષ્ણની, કરે બહુ જીવનાં કલ્યાણ ।। ૫ ।।

ઊંડી અંતરથી ઇચ્છા ગઈ, સ્પર્શ સુખ ત્રિયા તનની ।।

એની પેઠે કરો આપણે, મેલી દિયો ઇચ્છા મનની ।। ૬ ।।

નિરવિષયી ગમે છે નાથને, વિષય વિકળ ગમતા નથી ।।

જેમ સમળ નર બેસે સભામાં, સહુ જાણે ઊઠી જાયે આંહીંથી ।। ૭ ।।

ઉપર બન્યા બહુ ઊજળા, માંયે મેલની મણા નથી ।।

એવા જન જોઈ જગપતિ, અભાવ કરે છે ઉરથી ।। ૮ ।।

ઇચ્છાઓ અનેક ઉરમાં, ખાન પાન સ્પર્શ સુખની ।।

એવા ભકતની ભગતિ, હરિ વદે નહિ વિમુખની ।।૯।।

પંચ વિષયની પટારિયું, ઘણી ઘાટે ભરી ઘટમાંય ।।

નિષ્કુળાનંદ કહે નાથના, એહ ભકત તે ન કહેવાય ।।૧૦।।