વળી ઋષિ એક જાણો જાજળીજી, આરંભ્યું તપ અતિ વિષમ વળીજી
કર્યું હરિધ્યાન તેણે તન શુદ્ધ ટળીજી, આવ્યાં વનવિહંગ ઘણી સુઘરિયો મળીજી
સુઘરિયે મળી માળા ઘાલ્યા, વળી બેઉ કાનની કોર ।।
ઈંડાં મૂકીને અહોનિશ, કરે છે શોર બકોર ।। ૨ ।।
અડગ પગે તે ઊભા રહ્યા, વળી જાય ન આવે કયાંય ।।
જાણે પંખીને પીડા ઊપજશે, એવી દયા ઘણી દિલમાંય ।। ૩ ।।
ચારે દિશે જાય ચણ્ય સારું, વળી આવી રહે ત્યાં રાત ।।
પછી ઈંડા મટી ઈંડજ થયાં, ગયાં ઊડી પ્રભાત ।। ૪ ।।
તોય જાજળી જોઈ રહ્યા, દિન કેટલાક સુધી વાટ ।।
પાછાં ન આવ્યાં પંખી જયારે, ત્યારે તજયો મન ઉચ્ચાટ ।। ૫ ।।
એના જેવી દયા દિલમાં, રાખવી અતિ ધરી ધીર ।।
ઝીણા મોટા જીવનું સહેવું, સુખ દુઃખ તે શરીર ।। ૬ ।।
આપણે અંગે પીડા આવતાં, જો થાય સામાને સુખ ।।
તો ભાવે કરી ભોગવિયે, દિલમાં ન માનિયે દુઃખ ।। ૭ ।।
અલ્પ જીવ ઉપર વળી, રાખવો નહિ રોષ એક રતિ ।।
સ્થાવર જંગમ જીવ ઉપર, પરહરવી હિંસક મતિ ।। ૮ ।।
પરને પીડા કહું કરવી, એ તો કામ છે કસાઈનું ।।
સર્વેને સુખ થાવા ઇચ્છવું, એહ કૃત્ય છે સંત સુખદાયીનું ।।૯।।
એહ મત ખરો હરિભકતનો, નવ પીડવા પ્રાણધારીને ।।
નિષ્કુળાનંદનો નાથજી રીઝે, એવું કરવું વિચારીને ।।૧૦।।