મેલી પ્રતાપ ઘનશ્યામનો ઘણોજી, લિયે આશરો સાધન તણોજી ।
માને મહિમા તેમાં આપણોજી, બીજા કોઈ ગણો કે ન ગણોજી ।।૧।।
ઢાળ- ગણો કે કોઈ નવ ગણો, પણ નિજ પ્રતાપ માને મને । જોર મૂકી જગદીશનું, સુખ માને કરી સાધને ।।ર।।
સાધને કરી સ્વર્ગ લોકમાં, જાતો હતો નહૂષ નરેશ । શચીપતિયે પૂછીયું, ત્યારે કહ્યું ન કહ્યું લેશ ।।૩।।
ત્યારે અમરેશે એમ કહ્યું, પુછે આરતવાન કોઈ આવીને । જથારથ તેને જણાવવું, ભાળી ભકત ભાવિકને ।।૪।।
ત્યારે નહૂષ કહે અન્નકણ ગણે, ભૂરજ ઉડુ આકાશ । વનપાત ગાતરોમાવલી, કરે કોઈ તેનો તપાસ ।।પ।।
પણ મારા પુન્યનો, ન થાય કોણે નિરધાર । એમ કે’તાં મોટપ આપણી, પડયો પૃથ્વી મોઝાર ।।૬।।
મેલી પ્રતાપ મહારાજનો, અને ગાયો પોતાનો ગુણ । આજ પહેલાં પડયાં કંઈ, કહોને તે તર્યો કુણ ।।૭।।
માટે ભરોસોં ભગવાનનો, રાખવો અતિશય ઉર । નિષ્કુલાનંદ એહ વારતા, અચળ જાણો જરૂર ।।૮।।કડવું ।।૧૬।।