કીર્તિ પ્રભુની સુણતાં કાનજી, જાય અણસમઝણ અજ્ઞાનજી ।

પ્રગટ પ્રભુશું લાગે તાનજી, એવું કાંય નથી એહની સમાનજી ।।૧।।

ઢાળ-

સમાન ન દીઠું શોધતાં, હરિકીર્તિ જેવું કોય । જશ સુણતાં જગદીશના, થયા સંસાર પાર જન સોય ।।ર।।

પૃથુ ને પરીક્ષિત આદિ, વળી જનક જેવા નરેશ । નારદ હનુ સનક આદિક, હરિ કથા સૂણે છે હમેશ ।।૩।।

જુવો વળી આ જગતમાં, હરિજશ સૂણે છે હેતે કરી । કષ્ટમાં એહ કામ આવે, સંકટ સર્વે જાય તરી ।।૪।।

એવી કીર્તિ કોણની, જેને સાંભળીને તાપ ટળે । અન્ય કથાને કાને સૂણતાં, પુણ્ય સર્વે પરજળે ।।પ।।

પતિતને પાવન કરવા, જશ હરિના છે જાહ્નવી । એહ પખી પવિત્ર થાવા, નથી ઉપાય માનો માનવી ।।૬।।

એવા જશ જેણે સાંભળ્યા, તે સનાથ થયા સહુ । ઓછું ન માનવું અંતરે, માનવી મોટપ બહુ ।।૭।।

જેની કહીયે પવિત્ર કીરતિ, એવા તો હરિ એક છે । નિષ્કુલાનંદ એ નક્કી કરવું, એહજ સારો વિવેક છે ।।૮।। કડવું ।।૩૧।।