પરમ ધર્મ કહિયે સારમાં સારજી, સંત સરાયે જેને વારમવારજી

નથી કોઈ આવતું ધર્મની હારજી, ધર્મ તે ધારી કહું નિરધારજી

નિરધાર સાર શોધી કહું, ધારી લેજો ધર્મની રીત ।। જે ધર્મે અધર્મ ટળે, કહું તે ધર્મ કરી પ્રીત ।। ર ।।

ધર્મ તે ધર્મસુતનાં વચન, તેહ પાળવાં પ્રીતે કરી ।। જેને જેમ કરી આગન્યા, તે ફેરવવી નહિ ફરી ।। ૩ ।।

આગન્યાથી અધિક બીજો, નથી આવતો ધાર્યામાંય ધર્મ ।। તોળી તપાસી જોયું તને મને, એ જ ધર્મ છે વળી પર્મ ।। ૪ ।।

ત્યાગી ગૃહી જન જેહને, કરી જેને તે જેમ આગન્યા ।। તેને તે તેમ વર્તવું, નવ વરતવું વચન વિના ।। પ ।।

વચનમાં જેહ વરતે, તે પરમ ધર્મ પાળનાર ।। વચન વિરોધી જે વરતે, તે સર્વે ધર્મ ટાળનાર ।। ૬ ।।

અવિનાશીની જે આગન્યા, તે સમજવું શુદ્ધ ધર્મને ।। ધારી વિચારી રાખવી હૃદયે, તો પામિયે સુખ પરમને ।। ૭ ।।

વર્ણ આશ્રમ વેદવિધિના, ધર્મ પાળે છે ધરા ઉપરે ।। વે’વાર અર્થે વિવિધ ભાતે, પાળે છે તે બહુ પેરે ।। ૮ ।।

પણ પરમ ધર્મ છે વાલાનાં વચન, તે કહ્યાં જેને કૃપા કરી ।। તેહ વિના બીજાં સર્વે, પરાં મૂકવાં પરહરી ।। ૯ ।।

મોટો ધર્મ એ માનવો, જેહ કહ્યો ધર્મને બાળ ।। નિષ્કુળાનંદ મુખોમુખનાં વચન, ન ઉલ્લંઘવાં કોઈ કાળ ।। ૧૦ ।।