હઠ કરી હરિશું રાધિકા રાણીજી, શ્રીકૃષ્ણ સાથે બોલ્યા રીશ આણીજી

હતા ગોલોકે પોતે પટરાણીજી, આવ્યા અવનિ પર થયા આહીર રાણીજી

આહીરને ઘેર અવતર્યા, રહ્યાં દીનબંધુથી દૂર ।।

એવી મોટપ મટો પરી, નથી જોઈતી જનને જરૂર ।। ર ।।

એ તો ભકત હતાં ભગવાનનાં, રાધિકા તે રમા સમાન ।।

એને અરથે આવિયા, શ્રી કૃષ્ણ કૃપાનિધાન ।। ૩ ।।

પણ અતિ અવળાઈ આરંભી, શ્રી હરિથી લેવું સુખ ।।

એવું ભકત ન કરે ભગવાનના, કરે હોય હરિથી વિમુખ ।। ૪ ।।

વળી એક સમામાં ઉમાએ, રોતા દીઠા રામજીને રાન ।।

પિનાકી જઈ પાયે પડ્યા, થયાં સતી અતિ સંશયવાન ।। પ ।।

તેને શિવે ઘણું સમજાવિયાં, પણ સમજયાં નહિ લવલેશ ।।

પારખું લેવા પરબ્રહ્મનું, લીધો વૈદેહીનો વેષ ।। ૬ ।।

ત્યારે રામ કહે દાક્ષાયણી, એકલાં કેમ છો ઈશ કિયાં ।।

ત્યારે પામી લજજા ગયાં પિનાકી પાસળે, જેમ થયું તેમ કે’વા રહ્યાં ।। ૭ ।।

ત્યારે જાનકી થયાં જાણી જટીએ, તર્ત ત્યાગી દીધાં તેહને ।।

નિષ્કુળાનંદ એવું નીપજયું, અવળાઈનું ફળ એહને ।। ૮ ।।