હરિ રાજી કરવા હોય હૈયે હામજી, તો સંત સંગે હેત રાખો આઠું જામજી

સંત છે સર્વ સુખના ધામજી, તેહ વિના કેદિયે ન સરે કામજી

કામ ન સરે સતંસંગ વિના, ત્યારે તેને જ સોંપવા પ્રાણ ।।

મન કર્મ વચને કરી, થઈ રે’વા સંતના વેચાણ ।। ર ।।

આ લોક પરલોકમાં પડે, જાણો જરૂર જેનું કામ ।।

તેને સંગાથે કેમ ત્રોડિયે, જાણી સદાય સુખનું ધામ ।। ૩ ।।

વિવાદ કરી કેમ વદીએ, અતિ વચન અકડથી ।।

જેને ફળે ફૂલે દળે દુઃખ ટળે, તે તરુ ન છેદિયે થડથી ।। ૪ ।।

જે બારણેથી બંધ છૂટિયે, તે બંધ ન કરિયે બારણું ।।

જેને આધારે જીવિયે, તેને ન કરિયે મારણું ।। પ ।।

જેમ કોઈ રાખે અન્ન પર રૂસણું, વળી વારિશું રાખે વેર ।।

તે જન એમ નથી જાણતો, જે હું જીવીશ તે કઈ પેર ।। ૬ ।।

એમ સંત સાથે રાખી શત્રુતા, વળી કરે સુખની આશ ।।

તે દિન થોડે દુઃખ પામશે, કાં કરતો નથી તપાસ ।। ૭ ।।

મળવું છે મહારાજને, રાખી સંત સંગાથે રોષ ।।

નિષ્કુળાનંદ કહે એ નહિ બને, રખે દેતા કોઈને દોષ ।। ૮ ।।