સાચા શુદ્ધ સંતનો સમાગમ કયાંથીજી, થોડે પુણ્યે કરી એ થાતો નથીજી

જેણે કરી છુટિયે મહાદુઃખમાંથીજી, જરૂર જીવના એ સાચા સંગાથીજી

સાચા સંગાથી સંત છે, જાણો જીવના જગમાંય ।।

ભવસાગરમાં ડૂબતાં, સાચા સંત કરે છે સા’ય ।। ર ।।

વા’રુ છે વસમી વેળાતણા, જયારે આવે પળ વળી આકરી ।।

તે સમે સાચા સંત સગા, કાં તો સગા છે શ્રીહરિ ।। ૩ ।।

તેહ વિના ત્રિલોકમાં, નથી જીવને ઠરવા ઠામ ।।

આદ્યે અંત્યે મધ્યે માનજો, સર્યા સહુનાં એથી કામ ।। ૪ ।।

તે સંત શાણા શુભગુણે, જેમાં અશુભ ગુણ નહિ એક ।।

પરઉપકારી સગાં સહુનાં, ધર્મ નિયમવાળા વિશેક ।। પ ।।

કામ ક્રોધ લોભે કરી, જેને અંતરે નથી ઉત્તાપ ।।

નિર્માની નિઃસ્પૃહી નિઃસ્વાદી, નિર્મોહી વળી નિષ્પાપ ।। ૬ ।।

જકતદોષ જેના જીવમાં, વળી અડ્યો નથી અણુ ભાર ।।

એવા સંત શુદ્ધ શિરોમણિ, ત્રિલોકના તારનાર ।। ૭ ।।

વચન ન લોપે વાલાતણું, હોય પંડ્યમાં જયાં લગી પ્રાણ ।।

નિષ્કુળાનંદ એવા સંતના, શ્રીહરિ કરે છે વખાણ ।। ૮ ।।