રાગ-ધોળ:-મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ.

જયાન છે જરૂર તે જાણજો, વસતાં તે વિમુખની પાસ રે;

આળ આવી ચડે અણચિંતવી, થઈ જાયે ધર્મનો નાશ રે.  જયાન૦ ।। ૧ ।।

વિમુખ આપે છે પાંતી પાપમાં, ભોળવીને કરે ભાગદાર રે;

અણકર્યું પડે આવી ઉપરે, ચાલતાં મારગે ચોર હાર રે.   જયાન૦ ।। ર ।।

ન હોય ઘાટ એવો ઘટમાં, થાવા વળી વચનથી બા’ર રે;

વિમુખની વાત ઉર ઊતરે, તો થાયે પાપમાંહી પ્યાર રે.   જયાન૦ ।। ૩ ।।

પછી અટક ન રહે આજ્ઞાતણી, રાખે જયાં ત્યાં ન રે’વાય રે;

નિષ્કુળાનંદ કહે તે નર નિશ્ચે, માનો ખરો મનમુખી થાય રે.        જયાન૦ ।। ૪ ।।