વચનવિધિ આ ગ્રંથ છે રૂડોજી, હરિવિમુખને લાગશે કૂડોજી
જેને પેરવો છે પરનરનો ચૂડોજી, તે તો કે’શે આ કવિ કાલૂડોજી
કાલુડાઈમાં ગ્રંથ કર્યો, તેમાં વગોવ્યા વિમુખ અતિ ।।
દીઠા દુઃખિયા વિમુખને, ત્યારે સનમુખ શી પામ્યા ગતિ ।। ર ।।
એમ કહી અભાગિયા, કોઈ વિમુખપણું તજતા નથી ।।
વચનદ્રોહીપણું દઢ કરી, હરિ કોઈ ભજતા નથી ।। ૩ ।।
હરિ ભજશે જન હરિના, માની મનમાં મોટા સુખને ।।
સદા રહેશે સત્સંગમાં, નહિ વસે પાસ વિમુખને ।। ૪ ।।
વિમુખથી રહી વેગળા, કરી લેશે પોતાના કામને ।।
સાચા સંતની શીખ લઈ, પામશે પ્રભુના ધામને ।। પ ।।
જે ધામને શુક સનકાદિક, વખાણે છે વારમવાર ।।
તે ધામને પામશે, વામશે સરવે વિકાર ।। ૬ ।।
અવશ્ય કરવાનું એ જ છે, તે કરી લેશે કારજ ।।
છેલ્લી શિખામણ સાંભળી, તેમાં ફેર નહિ રાખે એક રજ ।। ૭ ।।
પૂરણ સુખને પામવા, એટલું તો ધારવું ઉર ।।
નિષ્કુળાનંદ નિશ્ચે કરી, જોઈએ આ વાત જાણવી જરૂર ।। ૮ ।।