રાગ:- ધન્યાસરી
ફરી ફરી દેહ નવ આવે આવોજી, તે શીદ ખોયે કરી કાવો દાવોજી ।
સમઝી વિચારી હરિ ભક્તિમાં લાવોજી, અવર સુખનો કરી અભાવોજી ।।૧।।
રાગ :- ઢાળ
અભાવ કરી અસત્ય સુખનો, સત્ય સુખને સમજી ગ્રહો । અમૂલ્ય આવા અવસરને, ખોઇને ખાટ્યો કોણ કહો ।।૨।।
જેમ ચિંતામણી મોંઘી ઘણી, તેણે કાગ કેમ ઉડાડિયે । શેતખાનની સાંકડે, હરિ મંદિરને કેમ પાડિયે ।।૩।।
તેમ મનુષ્ય દેહ મોંઘો ઘણો, સર્વે સુખ સંપત્તિનો દેનાર । તે વિષય સુખમાં વાવરી, ખરી કરવી નહિ ખુવાર ।।૪।।
જેમ પ્રભુ પ્રસાદિની પાંબડી, ફાડી બગાડી કરે બળોતિયું । એ સમઝણમાં સેલિ પડી, કામધેનુ દોહી પાઇ કૂતિયું ।।૫।।
તેમ મનુષ્ય દેહે કરી દાખડો, પોખિયું કુળ કુટુંબને । દાટો પરુ એ ડા’પણને, ખરસાણી સારૂં ખોયો અંબને ।।૬।।
જેમ કુંભ ભરી ઘણા ઘી તણો, કોઇ રાખમાં રેડે લઇ । એ અકલમાં ઉઠ્યો અગની, જે ન કરવાનું કર્યું જઇ ।।૭।।
તેમ દુર્લભ આ દેહ તેહ, અર્પણ કર્યું અનર્થમાં । કહો કમાણી શું કરી, ખોયો આવો વિગ્રહ વ્યર્થમાં ।।૮।।
માટે માહાત્મ્ય જાણી મનુષ્ય તનનું, કરવું સમઝી સવળું કામ । વણ અર્થે ન વણસાડવો, આવો દેહ અતિ ઇનામ ।।૯।।
જે રહી ગઇ ખોટ મનુષ્ય દેહે, તે ભાંગ્યાનો ભરુંસો તજો । નિષ્કુલાનંદ નકી ભગતિ, કરીને હરિને ભજો ।।૧૦।। કડવું ।।૩૨।।