રાગ:- ધન્યાસરી

ફરી ફરી દેહ નવ આવે આવોજી, તે શીદ ખોયે કરી કાવો દાવોજી ।

સમઝી વિચારી હરિ ભક્તિમાં લાવોજી, અવર સુખનો કરી અભાવોજી ।।૧।।

રાગ :- ઢાળ

અભાવ કરી અસત્ય સુખનો, સત્ય સુખને સમજી ગ્રહો । અમૂલ્ય આવા અવસરને, ખોઇને ખાટ્યો કોણ કહો ।।૨।।

જેમ ચિંતામણી મોંઘી ઘણી, તેણે કાગ કેમ ઉડાડિયે । શેતખાનની સાંકડે, હરિ મંદિરને કેમ પાડિયે ।।૩।।

તેમ મનુષ્ય દેહ મોંઘો ઘણો, સર્વે સુખ સંપત્તિનો દેનાર । તે વિષય સુખમાં વાવરી, ખરી કરવી નહિ ખુવાર ।।૪।।

જેમ પ્રભુ પ્રસાદિની પાંબડી, ફાડી બગાડી કરે બળોતિયું । એ સમઝણમાં સેલિ પડી, કામધેનુ દોહી પાઇ કૂતિયું ।।૫।।

તેમ મનુષ્ય દેહે કરી દાખડો, પોખિયું કુળ કુટુંબને । દાટો પરુ એ ડા’પણને, ખરસાણી સારૂં ખોયો અંબને ।।૬।।

જેમ કુંભ ભરી ઘણા ઘી તણો, કોઇ રાખમાં રેડે લઇ । એ અકલમાં ઉઠ્યો અગની, જે ન કરવાનું કર્યું જઇ ।।૭।।

તેમ દુર્લભ આ દેહ તેહ, અર્પણ કર્યું અનર્થમાં । કહો કમાણી શું કરી, ખોયો આવો વિગ્રહ વ્યર્થમાં ।।૮।।

માટે માહાત્મ્ય જાણી મનુષ્ય તનનું, કરવું સમઝી સવળું કામ । વણ અર્થે ન વણસાડવો, આવો દેહ અતિ ઇનામ ।।૯।।

જે રહી ગઇ ખોટ મનુષ્ય દેહે, તે ભાંગ્યાનો ભરુંસો તજો । નિષ્કુલાનંદ નકી ભગતિ, કરીને હરિને ભજો ।।૧૦।। કડવું ।।૩૨।।