રાગ:- ધન્યાસરી

ફૂલ્યો ન ફરે ફોગટ વાતેજી, ભક્તિ હરિની કરે ભલી ભાતેજી ।

ભૂલ્યો ન ભમે ભક્તિની ભ્રાંતેજી, નક્કી વાત ન બેસે નિરાંતેજી ।।૧।।

રાગ :- ઢાળ

નિરાંત નહિ નક્કી વાત વિના, રહે અંતરે અતિ ઉતાપ । ઉર વિકાર વિરમ્યા વિના, નવ મનાય આપ નિષ્પાપ ।।૨।।

દાસપણામાં જે દોષછે, તે દૃગ આગળ દેખે વળી । માટે મોટપ્ય માને નહિ, સમઝેછે રીત એ સઘળી ।।૩।।

ખોટ્ય મોટી એ ખોવા સારૂં, કરે ભક્તિ હરિની ભાવે ભરી । જાણે ભક્તિ વિના ભાગશે નહિ, ખોટ એહ ખરાખરી ।।૪।।

માટે અતિ આગ્રહ કરી, હરિભક્તિ કરે ભરપૂર । ભક્તિમાં જેથી દ ભંગ પડે, તેથી રહે સદા દૂર ।।૫।।

જાણે જે ઉદ્યમે જન્મોજન્મનું,  ારિદ્રય દૂર થાય । તે ઉદ્યમની આડી કરે, તેથી વેરી કોણ કે’વાય ।।૬।।

તેમ ભક્તિથકી ભવદુઃખ ભાગે, જાગે ભાગ્ય મોટું જાણવું । તે વિમુખની વાત સાંભળી, અંગે આળસ નવ આણવું ।।૭।।

જેમ સહુસહુને સ્વારથે, સાચું રળેછે સરવે । તેમ હરિભક્તને, કસર ન રાખવી ભક્તિ કરવે ।।૮।।

મોટી કમાણી જાણી જન, તન મને રે’વું તતપર । બની વાત જાય બગડી, જો ચૂકિયે આ અવસર ।।૯।।

જે તકે જે કામ નિપજે, તે વણ તકે નવ થાય । નિષ્કુલાનંદ નિશ્ચે કહે, એ પણ સમઝવું મનમાંય ।।૧૦।। કડવું ।।૩૬।।