પૂર્વછાયો-

સર્વે સંત સુજાણને, હું પ્રથમ લાગી પાય ।

આદરૂં આ ગ્રંથને, જેમાં વિઘન કોઇ ન થાય ।।૧।।

સંતકૃપાએ સુખ ઉપજે, સંતકૃપાથી સરે કામ ।

સંતકૃપાથી પામિયે, પૂરણ પુરૂષોત્તમ ધામ ।।૨।।

સંતકૃપાએ સદ્મતિ જાગે, સંતકૃપાથી સદ્ગુણ ।

સંતકૃપા વિના સાધુતા, કહોને પામ્યા કુણ ।।૩।।

સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રીહરિ ભગવાન ।

ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજી મન ।।૪।।

જપ તપ તીર્થ વ્રત વળી, તેણે કર્યા યોગ યગન ।

સર્વે કારજ સારિયું, જેણે સંત કર્યા પ્રસન્ન ।।૫।।

એવા સંત શિરોમણિ, ઘણી ઘણી શું કહું વાત ।

તેવું નથી ત્રિલોકમાં, સંત સમ તુલ્ય સાક્ષાત ।।૬।।

કામદુઘા કલ્પતરૂ, પારસ ચિંતામણિ ચાર ।

સંત સમાન એ એકે નહિ, મેં મનમાં કર્યો વિચાર ।।૭।।

અલ્પ સુખ એમાં રહ્યું, મળી ટળી જાય છે એહ ।

સંત સેવ્યે સુખ ઉપજે, રહે અખંડ અટળ એહ ।।૮।।

ચોપાઇ-

એવા સંત સદા શુભમતિ, જક્તદોષ નહિ જેમાં રતિ ।

સૌને આપે હિત ઉપદેશ, એવા સંતને નામું હું શીષ ।।૯।।

સદ્ગુણના સિંધુ ગંભીર, સ્થિરમતિ અતિશય ધીર ।

માન અભિમાન નહિ લેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૦।।

અહંકાર નહિ અભેદ ચિત્ત, કામ ક્રોધ લોભ મોહ જીત ।

ઇંદ્રિય જીતી ભજે જગદીશ, એવા સંતને નામું હું શીષ ।।૧૧।।

નિર્ભય બ્રહ્મવિત્ત પુનિત, ક્ષમાવાન ને સરલ ચિત્ત ।

સમર્થ સત્યવાદી સરેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૨।।

તેજે તપે યશે સંત પુરા, જ્ઞાનવાન શુદ્ધ બોધે શૂરા ।

શુભ શીલ સુખના દાનેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૩।।

કરે પવિત્ર અન્ન જોઇ આહાર, સારી ગિરા સમભાવ અપાર ।

નહિ અનર્થ ઇર્ષ્યા કલેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૪।।

ભક્તિ વિનય દ્રઢ વિચાર, આપે બીજાને માન અપાર ।

અતિ પવિત્ર રહે અહોનિશ, એવા સંતને નામું હું શીષ ।।૧૫।।

શમદમાદિ સાધને સંપન, બોલે મળિને મન રંજન ।

શ્રુતવાનમાં સૌથી સરેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૬।।

આનંદિત આત્મા છે આપ, નિર્લેપ નિર્દોષ નિષ્પાપ ।

અશઠ અસંગી ક્ષમાધીશ, એવા સંતને નામું હું શીષ ।।૧૭।।

સંશયહર્તા ને કલ્યાણકર્તા, વળી વેદ પુરાણના વેત્તા ।

કોમળવાણી વાચાળ વિશેષ, એવા સંતને નામું હું શીષ ।।૧૮।।

સારી સુંદર કથા કહે છે, અલુબ્ધાદિ આત્મા રહે છે ।

વળી પરદુઃખ હરે હંમેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૯।।

કામ દ્રવ્ય ને માન છે જેહ, તેહ સારૂં નથી ધાર્યો દેહ ।

જ્ઞાન વૈરાગ્ય ઉરે અશેષ, એવા સંતને નામું હું શીષ ।।૨૦।।

સદા સ્મરણ ભજન કરે, વળી ધ્યાન મહારાજનું ધરે ।

એવે ગુણે મોટા જે મુનીશ, એવા સંતને નામું હું શીષ ।।૨૧।।

સાવધાન લજજાવાન ખરા, લોક આચરણ ન જુવે જરા ।

મોટી બુદ્ધિ શુદ્ધિ છે વિશેષ, એવા સંતને નામું હું શીષ ।।૨૨।।

કરે કારજ કળીમળ ધોય, લાભ અલાભે સ્થિરમતિ હોય ।

ડાહ્યા જાણે કાળ વળી દેશ, એવા સંતને નામું હું શીષ ।।૨૩।।

સુણી પારકા દોષને દાટે, તે જીવના રૂડા થવા માટે ।

ઉરે અધર્મનો નહિ પ્રવેશ, એવા સંતને નામું હું શીષ ।।૨૪।।

અચપળતા અચિરકારી, ધ્રાય નૈ ધ્યાને મૂરતિ ભાળી ।

સદાગ્રહમાં રહે અહોનિશ, એવા સંતને નામું હું શીષ ।।૨૫।।

કૃપાળુ ને પરઉપકારી, જ્ઞાનદાનથી ન જાય હારી ।

કેની નિંદા દ્રોહ નહિ લેશ, એવા સંતને નામું હું શીષ ।।૨૬।।

સગા સૌના શિતળતા અપાર, ર્નિિવકારી ને લઘુઆહાર ।

શરણાગતના દાતા હંમેશ, એવા સંતને નામું હું શીષ ।।૨૭।।

દગો નહિ સંગ્રહ રહિતા, વિવેક વિચાર ધર્મવંતા ।

સદા પવિત્ર ને શુભ વેષ, એવા સંતને નામું હું શીષ ।।૨૮।।

રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટઅંગ, અતિ તજયો ત્રિયાનો પ્રસંગ ।

પંચ વિષયશું રાખ્યો છે દ્વેષ, એવા સંતને નામું હું શીષ ।।૨૯।।

એવા સદ્ગુણના છે ભંડાર, સર્વે જનના સુખદાતાર ।

અજ્ઞાન તમના છે દિનેશ, એવા સંતને નામું હું શીષ ।।૩૦।।

એવા સદ્ગુણે સંપન્ન સંત, કરો કૃપા મું પર અત્યંત ।

ગાઉં મહારાજના ગુણ વળી, કરજયો સહાય તમે સહુ મળી ।।૩૧।।

વળી વંદુ હરિજન સહુને, આપજયો એવી આશિષ મુને ।

હેત વાધે હરિયશ કહેતાં, એવી સૌ રહેજયો આશિષ દેતાં ।।૩૨।।

અલ્પ બુદ્ધિએ આદર્યો ગ્રંથ, નથી પુરો કરવા સમર્થ ।

માટે સ્તુતિ કરૂં છું તમારી, કરજયો સહુ મળી સહાય મારી ।।૩૩।।

કરી વિનંતિ વારમવાર, હવે કરૂં કથાનો ઉચ્ચાર ।

હરિયશ કહેવા હરખ્યું છે હૈયું, કહ્યા વિના જાતું નથી રૈયું ।।૩૪।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે કવિએ સ્તુતિ કરી એ નામે બીજું પ્રકરણમ્ ।।૨।।