પૂર્વછાયો-
સર્વે સંત સુજાણને, હું પ્રથમ લાગી પાય ।
આદરૂં આ ગ્રંથને, જેમાં વિઘન કોઇ ન થાય ।।૧।।
સંતકૃપાએ સુખ ઉપજે, સંતકૃપાથી સરે કામ ।
સંતકૃપાથી પામિયે, પૂરણ પુરૂષોત્તમ ધામ ।।૨।।
સંતકૃપાએ સદ્મતિ જાગે, સંતકૃપાથી સદ્ગુણ ।
સંતકૃપા વિના સાધુતા, કહોને પામ્યા કુણ ।।૩।।
સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રીહરિ ભગવાન ।
ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજી મન ।।૪।।
જપ તપ તીર્થ વ્રત વળી, તેણે કર્યા યોગ યગન ।
સર્વે કારજ સારિયું, જેણે સંત કર્યા પ્રસન્ન ।।૫।।
એવા સંત શિરોમણિ, ઘણી ઘણી શું કહું વાત ।
તેવું નથી ત્રિલોકમાં, સંત સમ તુલ્ય સાક્ષાત ।।૬।।
કામદુઘા કલ્પતરૂ, પારસ ચિંતામણિ ચાર ।
સંત સમાન એ એકે નહિ, મેં મનમાં કર્યો વિચાર ।।૭।।
અલ્પ સુખ એમાં રહ્યું, મળી ટળી જાય છે એહ ।
સંત સેવ્યે સુખ ઉપજે, રહે અખંડ અટળ એહ ।।૮।।
ચોપાઇ-
એવા સંત સદા શુભમતિ, જક્તદોષ નહિ જેમાં રતિ ।
સૌને આપે હિત ઉપદેશ, એવા સંતને નામું હું શીષ ।।૯।।
સદ્ગુણના સિંધુ ગંભીર, સ્થિરમતિ અતિશય ધીર ।
માન અભિમાન નહિ લેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૦।।
અહંકાર નહિ અભેદ ચિત્ત, કામ ક્રોધ લોભ મોહ જીત ।
ઇંદ્રિય જીતી ભજે જગદીશ, એવા સંતને નામું હું શીષ ।।૧૧।।
નિર્ભય બ્રહ્મવિત્ત પુનિત, ક્ષમાવાન ને સરલ ચિત્ત ।
સમર્થ સત્યવાદી સરેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૨।।
તેજે તપે યશે સંત પુરા, જ્ઞાનવાન શુદ્ધ બોધે શૂરા ।
શુભ શીલ સુખના દાનેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૩।।
કરે પવિત્ર અન્ન જોઇ આહાર, સારી ગિરા સમભાવ અપાર ।
નહિ અનર્થ ઇર્ષ્યા કલેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૪।।
ભક્તિ વિનય દ્રઢ વિચાર, આપે બીજાને માન અપાર ।
અતિ પવિત્ર રહે અહોનિશ, એવા સંતને નામું હું શીષ ।।૧૫।।
શમદમાદિ સાધને સંપન, બોલે મળિને મન રંજન ।
શ્રુતવાનમાં સૌથી સરેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૬।।
આનંદિત આત્મા છે આપ, નિર્લેપ નિર્દોષ નિષ્પાપ ।
અશઠ અસંગી ક્ષમાધીશ, એવા સંતને નામું હું શીષ ।।૧૭।।
સંશયહર્તા ને કલ્યાણકર્તા, વળી વેદ પુરાણના વેત્તા ।
કોમળવાણી વાચાળ વિશેષ, એવા સંતને નામું હું શીષ ।।૧૮।।
સારી સુંદર કથા કહે છે, અલુબ્ધાદિ આત્મા રહે છે ।
વળી પરદુઃખ હરે હંમેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૯।।
કામ દ્રવ્ય ને માન છે જેહ, તેહ સારૂં નથી ધાર્યો દેહ ।
જ્ઞાન વૈરાગ્ય ઉરે અશેષ, એવા સંતને નામું હું શીષ ।।૨૦।।
સદા સ્મરણ ભજન કરે, વળી ધ્યાન મહારાજનું ધરે ।
એવે ગુણે મોટા જે મુનીશ, એવા સંતને નામું હું શીષ ।।૨૧।।
સાવધાન લજજાવાન ખરા, લોક આચરણ ન જુવે જરા ।
મોટી બુદ્ધિ શુદ્ધિ છે વિશેષ, એવા સંતને નામું હું શીષ ।।૨૨।।
કરે કારજ કળીમળ ધોય, લાભ અલાભે સ્થિરમતિ હોય ।
ડાહ્યા જાણે કાળ વળી દેશ, એવા સંતને નામું હું શીષ ।।૨૩।।
સુણી પારકા દોષને દાટે, તે જીવના રૂડા થવા માટે ।
ઉરે અધર્મનો નહિ પ્રવેશ, એવા સંતને નામું હું શીષ ।।૨૪।।
અચપળતા અચિરકારી, ધ્રાય નૈ ધ્યાને મૂરતિ ભાળી ।
સદાગ્રહમાં રહે અહોનિશ, એવા સંતને નામું હું શીષ ।।૨૫।।
કૃપાળુ ને પરઉપકારી, જ્ઞાનદાનથી ન જાય હારી ।
કેની નિંદા દ્રોહ નહિ લેશ, એવા સંતને નામું હું શીષ ।।૨૬।।
સગા સૌના શિતળતા અપાર, ર્નિિવકારી ને લઘુઆહાર ।
શરણાગતના દાતા હંમેશ, એવા સંતને નામું હું શીષ ।।૨૭।।
દગો નહિ સંગ્રહ રહિતા, વિવેક વિચાર ધર્મવંતા ।
સદા પવિત્ર ને શુભ વેષ, એવા સંતને નામું હું શીષ ।।૨૮।।
રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટઅંગ, અતિ તજયો ત્રિયાનો પ્રસંગ ।
પંચ વિષયશું રાખ્યો છે દ્વેષ, એવા સંતને નામું હું શીષ ।।૨૯।।
એવા સદ્ગુણના છે ભંડાર, સર્વે જનના સુખદાતાર ।
અજ્ઞાન તમના છે દિનેશ, એવા સંતને નામું હું શીષ ।।૩૦।।
એવા સદ્ગુણે સંપન્ન સંત, કરો કૃપા મું પર અત્યંત ।
ગાઉં મહારાજના ગુણ વળી, કરજયો સહાય તમે સહુ મળી ।।૩૧।।
વળી વંદુ હરિજન સહુને, આપજયો એવી આશિષ મુને ।
હેત વાધે હરિયશ કહેતાં, એવી સૌ રહેજયો આશિષ દેતાં ।।૩૨।।
અલ્પ બુદ્ધિએ આદર્યો ગ્રંથ, નથી પુરો કરવા સમર્થ ।
માટે સ્તુતિ કરૂં છું તમારી, કરજયો સહુ મળી સહાય મારી ।।૩૩।।
કરી વિનંતિ વારમવાર, હવે કરૂં કથાનો ઉચ્ચાર ।
હરિયશ કહેવા હરખ્યું છે હૈયું, કહ્યા વિના જાતું નથી રૈયું ।।૩૪।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે કવિએ સ્તુતિ કરી એ નામે બીજું પ્રકરણમ્ ।।૨।।