પછી ઊગ્યો અર્ક ને જાતી રહી જામનીજી, ભવન ભવનથી ભેળી થઈ ભામનીજી ।

નંદ ઘરે નવલો રથ કેનો આવ્યો કામનીજી, અલબેલો આવ્યા જાણી ધામધામનીજી ।।૧।।

ઢાળ

ધામધામથી ધાઈ ગોપી, વળી રથ જાણીને રાજનો । ટોળે મળી વળી વનિતા, મેલ્યો ધંધો ઘર કાજનો ।।૨।।

આવી જોયું ત્યાં ઊદ્ધવદીઠા, પછી ભેટી તેને ભાવશું ।પછી પ્રેમે કરીને પ્રમદા, પુછે ઊદ્ધવને ઊત્સાવશું ।।૩।।

શિયો સંદેશો સુખનો, કૃષ્ણજીએ અમને કા’વિયો । તમને મુકયા તે ન આવ્યા, એવો શિયો અભાવ આવિયો ।।૪।।

સાચું કહેજો સમ અમારા, અમે પુછુંછું એ પ્રશ્નને ।  અમ ઊપરે ઊદ્ધવ એણે, કહો કેમ ધાર્યું છે કૃષ્ણને ।।૫।।

અહોનિશ ઊદ્ધવ તમે, મોહનશું રહોછો મળી । કોઈ વારે કૃષ્ણજી કહેતા, વ્રજમાં જાશું વળી ।।૬।।

ઊદ્ધવ કહેજો અમને, હોય જથારથ જેવું સહિ ।  શિયે વાંકે શ્યામળો, વળી વ્રજમાં આવ્યા નહિ ।।૭।।

સ્નેહ છે એને કોણ સાથે, કેની પ્રીત કરી પિયુ વાધિયા ।  કેને વશ થઈ રહ્યા વહાલો, જે અમને તજી તેના થયા ।।૮।।

ઊદ્ધવ અમને અલબેલાની, કથા તે સર્વે કહો કથી ।  કોણ કારણ ઊદ્ધવ અમને, મોહને ઊતાર્યાં મનથી ।।૯।।

ઊદ્ધવજી હવે ઊચ્ચરો, રખે વા’લે કહ્યું તે વિસારતા ।  નિષ્કુલાનંદના નાથજીની, કરો વિધ વિધ વારતા ।।૧૦।। કડવું ।।૨૮।।