ઊદ્ધવજી અમે જોગ કેમ કરીએજી, અમે કૃષ્ણકામિની કાષાયાંબર કેમ ધરીએજી ।

તેથકી વીરા મર વિષ ખાઈને મરીએજી, ગજથી ઊતરી કેમ ચડીએ ખરીએજી ।।૧।।

ઢાળ

ખરીએ ન બેસાયે કરી તજી, કણ મુકી કુકસ કોણ ગ્રહે । કંચન મુકીને કાદવ કોઈ, લોભાવે પણ નવ લહે ।।૨।।

મણિરત્નની માળા મુકી, શંખલાનો શણગાર કોણ કરે ।બાવના ચંદન તજી તનમાં, ભસ્મ કોણ ભુંશી ફરે ।।૩।।

અંબર અંગે ઓઢવાં મેલી, વળી કોણ ધરે મૃગચર્મને । ઊત્તમ ક્રિયા મુકી અંગની, કોણ કરે મલિન વળી કર્મને ।।૪।।

ખીર ખાંડ ઘૃત ખાવું તજીને, ખાયે કોણ આક ધંતુરા પાન ।   સેજ પલંગને પરહરીને, કોણ સુવે જઈ સ્મશાન ।।૫।।

જેહ મુખે અમે પાન ચાવ્યાં, તેહ મુખે આવળ કેમ ચાવશું ।કૃષ્ણ વિના ઊદ્ધવ અમે, બીજું અંતરે કેમ ઠેરાવશું ।।૬।।

પ્રીતે પતંગ અંગ પાવકે આપે, મૃગ મરે નિઃશંક થઈ નાદમાં ।  ઊદ્ધવજી સુખ એટલું, શું નહિ જાણિયે શ્યામના સ્વાદમાં ।।૭।।

આતો તન મન આપ્યું છે એહને, એક રતિ અમે રાખ્યું નથી ।  શ્રીકૃષ્ણ કૃષ્ણ કે’તાં મરશું, પણ બીજું નહિ થાય અમથી ।।૮।।

આ જીહ્વા તો અન્ય ન ઊચ્ચરે, પણ મુવા પછી પારખું કોઈ લેશે ।  નળી ભુંગળી વળી વાંસળી કરે કોય, તોએ કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે ।।૯।।

અમો અબળાનું અંતર એવું, જેણે ઢાળે ઢળ્યું તેણે ઢળિયું ।  નિષ્કુલાનંદના નાથ સાથે, મન મળિયું તેહ મળિયું ।।૧૦।। કડવું ।।૩૨।।