ઊદ્ધવ અમે અંતરે થઈછું જાજરીજી, તેતો શ્યામ સલુણાને સ્નેહે કરીજી ।
ધીર અંગે અબળા નથી શકતી ધરીજી, અધુરૂં પુરુ કરવા આવિયા તમે ફરીજી ।।૧।।
ઢાળ –
અધુરૂં પુરુ કરવા કાજે, એ સંદેશો કૃષ્ણે કહાવિયો । કાળજું તો કાપીને ગયા’તા, વળી મારીને પ્રાણ મંગાવિયો ।।૨।।
પ્રાણ અમારા લઈને ઊદ્ધવ, અલબેલોજી શું કરશે । અમો અબળાનો અંત આણે, એનું કારજ તે શું સરશે ।।૩।।
માશી મલ્લ મામાને માર્યો, એમ આવી મારે મર અમને । પણદૂર રહીને દગા રચેછે, તેતો ઘટતું નથી ત્રિકમને ।।૪।।
સ્વારથ વિના શાને માટે, અમ ઊપર એણે આદર્યું । અમે અબળાએ ઊદ્ધવ એનું, ભૂંડું તે ભાઈ કહો શું કર્યું ।।૫।।
અનેક અપરાધ હોય અબળાના, તોયે નર નથી કોઈ મારતા । ભણી આવ્યા છે ભાઈ બહુ, કેમ એટલું નથી વિચારતા ।।૬।।
પારાધી બાંધી મારે પશુને, તેતો માંસ ચર્મને માટ જો । એતો અમારૂં અર્થ નહિ આવે, શું મારીને કરશે ખાટ જો ।।૭।।
નો’તુંદીઠું નો’તું સાંભળ્યું, જે પ્રીત કરીને પ્રાણ હરવા । ઊદ્ધવજી એવું અલબેલાને, કોણે શીખવ્યું જો કરવા ।।૮।।
કેને કહીએ કોણ સાંભળે, જયારે અલબેલે એવું આદર્યું । ઊગરવાની અમે આશા મેલી, મરવાનું મન નિશ્ચે કર્યું ।।૯।।
અધુરે સુખે મરશું અમે, રે’શે આશા અમારી એહશું । નિષ્કુલાનંદના નાથ સાથે, નથી પડવું નોખું સ્નેહશું ।।૧૦।। કડવું ।।૩૩।।