દોહા –

એમ કહ્યું’તું કૃપા કરી, હરિજન પર કરી હિત । જે જે મ લીળા કરી, તે જન ચતવજો નિત ।।૧।।

જનમ કરમ જે માહેરાં, ગાયે સાંભળે સંભારે સોય । તે જન જરૂર જાણજો, મારા ધામના વાસી હોય ।।૨।।

એમાં કાંઈ અટપટુ નથી, જાણી લેજો જન જરૂર । અન્ય ઊપાય અળગા કરી, ધારી લિયો એટલું ઊર ।।૩।।

ભવજળ પાર ઊતરવા, જાણો મારાં ચરિત્ર છે ઝાજ । માટે સૌને સંભારવાં, એમ શ્રીમુખે કહે મહારાજ ।।૪।।

ચોપાઈ –

એ છે વાત ધારવા જેવીરે, ધારી વિચારી સહુને લેવીરે । જોવા મુકતને મધ્યે મહારાજરે, સહુ લઈ પોતાનો સમાજરે ।।૫।।

પૂજયા મુનિએ બહુ પ્રકારેરે, સુંદર લઈ ષોડશ ઊપચારેરે । કરે સ્તુતિ મુનિ જોડી હાથરે, એવી રીત્યે સંભારે જે નાથરે ।।૬।।

એતો ચતવન છે જો એવુંરે, બ્રહ્મમો’લે લઈ જાવા જેવુંરે । વળી મળતા મુનિને મહારાજરે, લેતા ચરણ છાતિયે મુનિરાજરે ।।૭।।

વળી જમાડતા મુનિ જનરે, ભાત્ય ભાત્યનાં લઈ ભોજનરે । પ્રેમે પિરસતા પોતે નાથરે, લઈ લાડવા જલેબી હાથરે ।।૮।।

નાના કરતાં જમાડતા જોરેરે, એવી મૂર્તિ સંભારો નિશ-ભોરેરે । આપે મુખમાં લાડુ જલેબીરે, આવે સુખ સંભારે એ છબીરે ।।૯।।

દેતા દહી દૂધ દોવટરે, ઢોળી માથે હસિ ચાલે ચટરે । ખાંડ સાકર દેતા પોશ ભરીરે, એવી મૂર્તિ રાખો રુદે ધરિરે ।।૧૦।।

એમ સંભારતાં ઘનશ્યામરે, નિશ્ચે પામશો પરમ ધામરે । વળી ચતવો ચટકંતી ચાલરે, જોતાં લટકાં થાશો નિહાલરે ।।૧૧।।

હસવું બોલવું રમવું સંભારીરે, ત્રોડે તાન તાળી સુખકારીરે । અંગ દબાવતાં અવિનાશરે, બહુ બળે દાબતા તે દાસરે ।।૧૨।।

શીત ઋતુમાંહી સંભારતાંરે, જોયા છાતિ કાઢિને તાપતાંરે । ૩ચકમો ચોફાળ ને રજાયેરે, એવા સંભારી રાખો ઊરમાંયેરે ।।૧૩।।

ઊષ્ણ ઋતુમાંહિ અવિનાશીરે, સંભારતાં મૂર્તિ સુખરાશીરે । નાખે પંખે શું દાસ પવનરે, શીતળ છાયાયે બેસી જીવનરે ।।૧૪।।

પીતા નીર નિર્મળ નાથરે, પેટ ઊપર ફેરવતા હાથરે । પીતા પય-શરકરા સારીરે, એવી મૂર્તિ રાખો ઊર ધારીરે ।।૧૫।।

ચોમાસામાં ઓઢેલ કામળીરે, ધરી છતરી શિરપર વળીરે । એમ સંભારી શ્યામ સુખકારીરે, થાયે અક્ષરધામ અધિકારીરે ।।૧૬।।

હૈયે હાર અપાર સહિતેરે, રાખે હરિ મૂર્તિ હેતે પ્રીતેરે । સુંદર ચાંદલા સહિત લલાટરે, જોવું બ્રહ્મમોહોલ જાવા માટરે ।।૧૭।।

જેજે રીત્યે જોયા જન જેણેરે, કરી લીધું નિજ કાજ તેણેરે । જેજે એમ ચતવેછે જનરે, તેતે પામે અક્ષર પત્તનરે ।।૧૮।।

એવો મોટો છે આ અવતારરે, સર્વે રીતે છે સહુને પારરે । ઘનશ્યામ નામનો એ અર્થરે, કરવા હરિ સહુને સમર્થરે ।।૧૯।।

તેમ સહુ જનને સુખ દેવારે, પ્રભુ પ્રગટ્યા આ સમે એવારે । આપ્યો બહુ જનને આનંદરે, સુખદાયક શ્રીસહજાનંદરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ષોડશઃ પ્રકારઃ ।।૧૬।।