દોહા –

એવી વાત વાલમે કરી, ધરી હૈયે ઘણું હેત । સુણિ મગન મુનિ થયા, વળી સતસંગી સમેત ।।૧।।

આશ્ચર્ય પામ્યા સહુ અંતરે, એવાં સુણી વાલાનાં વેણ । જાણું જીવ ઊદ્ધારવા, આવ્યા આપે શ્યામ સુખદેણ ।।૨।।

પ્રાણધારી જે પ્રથવીએ, તે સહુને લેવા સ્વધામ । એહ આગ્રહ ઊરમાં, ઘણો ઘણો કરે ઘનશ્યામ ।।૩।।

જોઈ મહારાજની મરજી, હાથ જોડી કહે મુનિરાજ । જેમ કહો તેમ કરિયે, કે’જો કૃપા કરી હરિ આજ ।।૪।।

ચોપાઈ –

તારે નાથ કહે સુણો સંતરે, આજ તારવા જીવ અનંતરે । માટે જેમ જેમ જીવ તરેરે, એમ કરવુંછે સહુને સરેરે ।।૫।।

માટે દેશો દેશમાં દેવળેરે, માંડો સારી મૂર્તિયો સઘળેરે । એહ મૂર્તિનાં દર્શન કરશેરે, તેતો અપાર પ્રાણી ઊદ્ધરશેરે ।।૬।।

જાણો એહ ઊપાય છે ભારીરે, સહુ જુવો મનમાં વિચારીરે । માટે કચ્છમાં મંદિર કરવુંરે, થાય પ્રાણીને પાર ઊતરવુંરે ।।૭।।

એવું સુણી સંત સજજ થઈરે, કર્યું ભુજમાં મંદિર જઈરે । માંહી બેસાર્યા નરનારાયણરે, કચ્છ દેશ તારવા કારણરે ।।૮।।

વળી ધોળકે મંદિર કરાવીરે, તેમાં મૂર્તિ સારી પધરાવીરે । એવો કરિયો એહ ઊપાયરે, જેણે કરી જન સુખી થાયરે ।।૯।।

(મોરલીમનોહર હરિકૃષ્ણરે, પોતે શ્રીજી થઇ અતિ પ્રશ્નરે । જીવ અનંત ઊદ્ધારવા કાજરે, આવ્યા ત્યાં ઘણીવાર લઇ સમાજરે ।।૧।।)

કરાવિયું એ કાજ સંતરાજેરે, બહુ જીવને તારવા કાજેરે । વળી નાથ કે’ કહુંછું અમેરે, કરજો થાય તો મંદિર તમેરે ।।૧૦।।

પછી સંત જોઇ જોઇ જાગ્યારે, દેશો દેશ દેરાં કરવા લાગ્યારે । જેજે દેશમાં દેવળ થયાંરે, તેતે દેશમાં જન જે રહ્યાંરે ।।૧૧।।

તેતો ઊત્સવ સમૈયા માથેરે, આવે સહુ દરશને સાથેરે । કરી દર્શન પ્રસન્ન થાયરે, મુખે સ્વામિનારાયણ ગાયરે ।।૧૨।।

લેતાં સ્વામિનારાયણ નામરે, થાય શુદ્ધ સહુ નર વામરે । સ્વામિનારાયણ નામ જેવુંરે, નથી બીજું નામ કોઈ એવુંરે ।।૧૩।।

માટે જે જપશે એ નામરે, તેતો પામશે અક્ષરધામરે । એવો એ નામનો પરતાપરે, પ્રગટાવ્યો પૃથ્વીપર આપરે ।।૧૪।।

બહુ પ્રકારે કરવા કલ્યાણરે, નાથે ધારિયું છે નિરવાણરે । માટે જેજે ક્રિયાઓ કરેછેરે, તેમાં અનંત જીવ તરેછેરે ।।૧૫।।

એમ જીવ જગતના સહુરે, કર્યા તારવા ઊપાય બહુરે । એહ ઊપાયમાં જે આવી ગયારે, તે સહુ ભવપાર થયારે ।।૧૬।।

એહ અર્થે આપે આવિયારે, કરી બહુ જીવપર દયારે । આજ જકતના જીવ છે જેહરે, તર્યા પ્રભુ પ્રતાપથી તેહરે ।।૧૭।।

અતિ સામર્થી વાવરી છે આજરે, આવી પુરૂષોત્તમ મહારાજરે । સહુ પાર સહુને સરેરે, આજ એવી સામર્થી વાવરેરે ।।૧૮।।

જેજે જાણશે તેતે વખાણશેરે, બિજા જન તેહ શું જાણશેરે । નથી વાત જેવડી એ વાતરે, એમ જાણે છે સંત સાક્ષાતરે ।।૧૯।।

તેતો કહેછે કર વજાડીરે, ચોખા ચોખી જો વિગતિ પાડીરે । તેની પ્રતીતિ ન પડે જેનેરે, ના’વે અલૌકિક સુખ તેનેરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ત્રયસ્ત્રશઃ પ્રકારઃ ।।૩૩।।