દોહા –
વળી શ્રીહરિ કે સંત સાંભળો, મોટાં કરાવિયાં મંદિર । તેમાં બેસારિ મૂરતિયો, અતિ સારી સુંદિર ।।૧।।
જેજે દેશે મંદિર કર્યાં, તેતે દેશને આવ્યાં કામ । હવે સરવે દેશને અરથે, એક બંધાવિયે સારૂં ધામ ।।૨।।
દેશી પ્રદેશી દર્શન કરે, તેનાં પ્રજાળવા વળી પાપ । એવું મંદિર એક કરવું, એમ બોલ્યા શ્રીહરિ આપ ।।૩।।
ભાગ્ય જગાડવા ભાલનાં, ધોલેરે બાંધિએ ધામ । તેમાં બેસારિયે મૂરતિ, અતિ શોભિત સુંદર શ્યામ ।।૪।।
ચોપાઈ –
એહ બંદર સુંદર સારૂંરે, જિયાં આવેછે લોક હજારૂંરે । તિયાં મંદિર કરવું એકરે, સારૂં સહુથી વળી વિશેકરે ।।૫।।
એમ નાથે કરી નિરધારરે, પુછ્યું પુંજા ભાઈને તે વારરે । સુણો પુણ્યવાન પુંજાભાઈરે, કરિયે મંદિર ધોલેરા માંઈરે ।।૬।।
વળી સતસંગિને કહે શ્યામરે, કો’તો ધોલેરે બાંધિયે ધામરે । સહુ બોલો શુદ્ધભાવે કરીરે, એમ હરિજનને કહે હરિરે ।।૭।।
ત્યારે હરિજને જોડયા હાથરે, ધન્ય ધન્ય કહે સહુ સાથરે । જાગે ભાગ્ય મોટું જો અમારૂંરે, કરો મંદિર તો બહુ સારૂંરે ।।૮।।
મંદિરને જોગે મહારાજરે, રહે સંતનો સહુ સમાજરે । હરતાં ફરતાં દર્શન થાયરે, અતિ મોટો એ લાભ કે’વાયરે ।।૯।।
નથી એથી બીજું કાંઈ સારૂંરે, એમાં અતિ રૂડું છે અમારૂંરે । એમ બોલ્યા સતસંગી સહુરે, સુણી નાથ રાજી થયા બહુરે ।।૧૦।।
પછી આપ્યાં છાતિમાં ચરણરે, જેહ ચરણ ભવભય હરણરે । કર્યા નિરભય છાપી છાતીરે, કહ્યે વાત એ નથી કે’વાતીરે ।।૧૧।।
કર્યા બ્રહ્મમો’લના નિવાસીરે, રાજી થઈ આપે અવિનાશીરે । પછી કહ્યું સહુ બાઈ ભાઈરે, રે’જો મંદિરની સેવા માંઈરે ।।૧૨।।
પછી પુંજોભાઈ જે પવિત્રરે, અતિ ડાહ્યા છે સહુના મિત્રરે । જેને જકતસુખ લાગ્યું ઝેરરે, પંચ વિષય સાથે રાખ્યું વેરરે ।।૧૩।।
અન્ન ધન ને આયુષ જેહરે, કર્યું હરિપરાયણ તેહરે । એવાં અતિ ઊદાર દંપતિરે, કરી હરિને અર્પણ સંપતિરે ।।૧૪।।
ધન્ય ધન્ય ભકિત ભાઈયોનીરે, તેથી અતિ અધિક બાઈયોનીરે । એવા જન જોઈ શ્રદ્ધાવાનરે, બહુ રાજી થયા ભગવાનરે ।।૧૫।।
દીઠા હરિજન ઠાઊકા ઠીકરે, એક એકથકી જો અધિકરે । પછી બોલ્યા શ્યામ સુખદાઈરે, કરશું મંદિર જરૂર આંઈરે ।।૧૬।।
સહુ સેવામાંઈ તમે રે’જોરે, આતો મોટો પરમાર્થ છેજોરે । યાંથી ઊદ્ધરશે લાખું ક્રોડિરે, એતો નથી કમાણી કાંઈ થોડીરે ।।૧૭।।
બીજાં કોટિકોટિ કરે દાનરે, ના’વે જીવ ઊદ્ધાર્યા સમાનરે । જેથી જનમ મરણ દુઃખ જાયરે, પામે અભયપદ સુખી થાયરે ।।૧૮।।
એતો પરમારથ મોટો ભારીરે, સહુ જુવો મનમાં વિચારીરે । એમ પોતે બોલ્યા પરબ્રહ્મરે, પૂર્ણકામ જે પુરૂષોત્તમરે ।।૧૯।।
તમે સાંભળો સૌ નર નારરે, અમે કર્યો છે જે આ વિચારરે । એવું સુણી હરખ્યા સહુ જનરે, સુખદાયક સ્વામી ધન્ય ધન્યરે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ચતુસ્ત્રશઃ પ્રકારઃ ।।૩૪।।