દોહા –

એમ કહી રીત કલ્યાણની, આ સમાની અગણિત । તે સૌએ શ્રવણે સાંભળી, અતિ ઊત્તમ પરમ પુનિત ।।૧।।

એહ રીતમાં જે આવી ગયા, તે થયા પૂરણકામ । તેતો તન જયારે તજશે, ત્યારે પામશે પ્રભુનું ધામ ।।૨।।

જેહ ધામને પામીને, પાછો ન પડે જન કોય । એવું અખંડ એ ધામ છે, ત્યાં સુખે વસે જન સોય ।।૩।।

તે ધામને ધામીયે ધારિયું, દેવા સ્વધામનું જો સુખ । જીવ જગતના જોઈને, દયા આણી ટાળવા દુઃખ ।।૪।।

ચોપાઈ –

મારા ધામમાં આવવા સહુરે, એવા કર્યા ઊપાય મ બહુરે । સર્વે ઊપાય કિધા છે સારારે, તેમાં તરશે જીવ અપારારે ।।૫।।

પણ છેલો છે આ જે ઊપાયરે, બહુ જીવ તરશે આ માંયરે । ધર્મવંશી આચારજ ધાર્યારે, ગુરુ કરી ગાદીએ બેસાર્યારે ।।૬।।

કામ કર્યું છે એહ સારૂંરે, મન માન્યું છે બહુ અમારૂંરે । કાંજે એ છે ધર્મનું કુળરે, માટે એ વાતનું ઉંડું મૂળરે ।।૭।।

જેવું અમારૂં કુળ મનાશેરે, તેને તુલ્ય બીજું કેમ થાશેરે । માટે વિચારીને વાત કીધીરે, ઘણું સમજીને ગાદી દીધીરે ।।૮।।

ધર્મવંશી તે ધર્મમાં રે’શેરે, અધર્મ વાતમાં પગ ન દેશેરે । ધર્મ પાળશે ને પળાવશેરે, અધર્મની રીત ટળાવશેરે ।।૯।।

આપ આપણે ધર્મ રાખશેરે, નર નારીનાં નિ’મ કૈ’ દાખશેરે । ત્યાગી ગૃહીના ધર્મ સૂચવીરે, કે’શે જુજવા જુજવા ચવીરે ।।૧૦।।

કાંજે બેઠા છે ધર્મની ગાદીરે, કે’શે ધર્મની રીતિ જે અનાદિરે । તેને સૌ રહેશે ધર્મ ધારીરે, ત્યાગી ગૃહી નર ને જે નારીરે ।।૧૧।।

ધર્મ અમને છે બહુ વા’લોરે, એમ કહેછે ધર્મનો લાલોરે । ધર્મવાળા સાથે હેત મારેરે, એમ વાલો કહે વારે વારેરે ।।૧૨।।

અધર્મી સાથે મારે અદેખાઈરે, રે’છે રાત દિવસ મનમાંઈરે । અધર્મી જનની જેહ ભગતિરે, નથી ગમતિ મને જો રતિરે ।।૧૩।।

એના હાથનું અન્ન ન ભાવેરે, મર બહુ સારૂં કરી લાવેરે । અધર્મીના હાથનું જે પાણીરે, નથી પિતા તે અશુદ્ધ જાણીરે ।।૧૪।।

એનું ચંદન પૂજા ને હારરે, નથી લેતા અમે કરી પ્યારરે । લાવે અઘવંત સેવા સાજરે, તેનો તર્ત કરૂંછું હું ત્યાજરે ।।૧૫।।

ધર્મવાળા આપે અન્ન જળરે, બહુ સ્વાદુ લાગે એ સકળરે । ધર્મવાનનું ફળ દળ ફુલરે, જે દિયે તે જાણું છું અમુલરે ।।૧૬।।

માટે ધર્મવાળાની જે ભકિતરે, તેતો મને ગમેછે જો અતિરે । માટે ધર્મવાળા જીવ જોઈરે, કર્યા છે મ આચારજ દોઈરે ।।૧૭।।

એહ અધર્મ નહિ આચરશેરે, ઘણું અધર્મ સર્ગથી ડરશેરે । ધર્મવંશીની ગાદિયે બેશીરે, વળી કા’વશે ધર્મ ઊપદેશીરે ।।૧૮।।

માટે એથી તરશે અપારરે, નિશ્ચે જાણજો એ નિરધારરે । બહુ કાળ લગી કલ્યાણરે, થાશે નિશ્ચે જાણો નિરવાણરે ।।૧૯।।

એવી ઈચ્છા છે જો અમારીરે, એવું ધામથી આવ્યા અમે ધારીરે । એમ બોલ્યા શ્રીહરિ હરખીરે, સુણી વાત લીધી છે જો લખીરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે એકોનચત્વારશઃ પ્રકારઃ ।।૩૯।।