દોહા –

વળી કહું કોય સંતને, સેવશે શ્રદ્ધાવાન । તેના અંતરથી ઊંચલિ, વળી જાશે જાણો અજ્ઞાન ।।૧।।

સંત સેવ્યાથી સુખ મળે, વળી ટળે તન મન તાપ । પરમ ધામને પામિયે, તેપણ સંત પ્રતાપ ।।૨।।

તે સંત શ્રીહરિ તણા, પ્રભુ પ્રગટના મળેલ । શૂરા સત્ય ધર્મ પાળવા, પંચ વિષયથી પાછા વળેલ ।।૩।।

પરમાર્થ અર્થે આવિયા, નિજ સ્વાર્થ નહિ લવલેશ । એવા થકા ભમે ભૂમિમાં, આપે સહુને સારો ઊપદેશ ।।૪।।

ચોપાઈ –

આપે જ્ઞાન દાન જનનેરે, કહી વા’લપનાં વચનનેરે । હિતકારી છે સહુના સનેહિરે, જાણો પર ઊપકારી એહિરે ।।૫।।

સાચા સંત સગા સૌ જનનારે, ઊદાર છે અપાર મનનારે । જેને શત્રુ મિત્ર સમતોલરે, સુખે દુઃખે દિલમાં ન ડોલેરે ।।૬।।

હાનિ વૃદ્ધિ ને સમ વિસમરે, નથી આપ અર્થે ઊદ્યમરે । હર્ષ શોક ને નૈ હાર્ય જીતરે, માન અપમાને સમ ચિત્તરે ।।૭।।

અહં મમત ને મારૂં તારૂંરે, એહ નથી લાગતું જેને સારૂંરે । જકતદોષ નથી જેમાં જરારે, એવા સંત તે સંત મારા ખરારે ।।૮।।

એમાં રહુંછું હું રાત્ય દિનરે, સત્ય માનજો મારૂં વચનરે । અતિ પવિત્ર અંતર પેખિરે, સદા રહ્યો છું શુદ્ધ લેખિરે ।।૯।।

એવા સંતને હૃદિયે રઈરે, કરૂં જીવનાં કલ્યાણ કઈરે । એહ સંત મળે જે જનનેરે, કરે પળમાંહિ પાવન તેનેરે ।।૧૦।।

એવા સંત છે સગા સહુનારે, સુખદાયક જન બહુનારે । જેવી એ સંત કરેછે સા’યરે, તેવી કોઈ થકી કેમ થાયરે ।।૧૧।।

માત તાત ને સગાં સંબંધિરે, કરે હિત એહ બહુવિધિરે । એનું હિત રહે યાંનું યાંહિરે, ના’વે કલ્યાણનાં કામ માંહિરે ।।૧૨।।

દેવ ગુરુ કુળ ને કુટુંબરે, એહ નહિ સાચા સંત સમરે । સાચા સંત તેમાં અમે રૈ’યેરે, મળી જીવને અભયદાન દૈયેરે ।।૧૩।।

અભયદાન તો એવું કે’વાયરે, કાળ માયાથી નાશ ન થાયરે । એવું કોઈ વિઘન ન કા’વેરે, જે કોઈ નિર્ભયને ભય ઊપજાવેરે ।।૧૪।।

એવું નિર્ભય પદ નિર્વાણરે, તેના દેનારા સંત સુજાણરે । એવા સંતનો જેને આશરોરે, તેતો સંશે પરો પરહરોરે ।।૧૫।।

જાણો જનમ મરણ ભય ટાળીરે, જાશું ધામે વજાડતા તાળીરે । સંત સમાગમ પરતાપેરે, જાશું બ્રહ્મમો’લ માંહિ આપેરે ।।૧૬।।

એમ સહુને કહે શ્રીહરિરે, સત્સંગ મહિમા ભાવ ભરિરે । મોટું દ્વાર છે એ મોક્ષતણુંરે, આજ ઊઘાડ્યું છે અતિ ઘણુંરે ।।૧૭।।

કહ્યું બહુ પ્રકારે કલ્યાણરે, અતિ અગણિત અપ્રમાણરે । પણ સહુથી સરસ સંતમાંરે, રાખ્યું વાલમે એની વાતમાંરે ।।૧૮।।

એમ ઊઘાડ્યાં અનંત બારરે, વાલે કલ્યાણનાં આ વારરે । જેજે ધારી આવ્યા હતા વાતરે, તેતો પુરી થઈ સાક્ષાતરે ।।૧૯।।

જયારે થયું છે પુરુ એ કામરે, ત્યારે રાજી થયા ઘનશ્યામરે । કર્યો જેજેકાર જીવ તારીરે, વળતિ વાલમે વાત વિચારીરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે દ્વિચત્વારશઃ પ્રકારઃ ।।૪૨।।