દોહા –
વળતું વાલમે વિચારિયું, થઇ રહ્યું સર્વે કામ । કેડ્યે કાંયે રહ્યું નહિ, થયું સારૂં કહે ઘનશ્યામ ।।૧।।
જે અર્થે અહિ આવિયા, તે સારિયો સરવે અર્થ । અગણિત જીવ ઊદ્ધારિયા, વાવરી પોતાની સામર્થ ।।૨।।
કેડ્યે વળી કલ્યાણના, બહુ બહુ કર્યા ઊપાય । કસર ન રાખી કોઈ વાતની, એમ નાથે માન્યું મનમાંય ।।૩।।
જણ જણ પ્રત્યે જુજવું, કર્યું ચાલતું મોક્ષનું કામ । પરિશ્રમ વિના પામવા, અખંડ અક્ષર ધામ ।।૪।।
ચોપાઈ –
કર્યા કોટિ કોટિ ઊપાયરે, અમે આવી અવનિ માંયરે । અમારી મૂરતિને પ્રસંગેરે, કર્યું કલ્યાણ જીવનું જગેરે ।।૫।।
સંત સંબંધે કલ્યાણ કીધુંરે, તેને પણ અખંડ ધામ દીધુંરે । વળી બાંધ્યાં સદાવ્રત ઘણાંરે, તેપણ બારણાં કલ્યાણ તણાંરે ।।૬।।
વળી ધ્યાન ધારણા સમાધિરે, કરાવી વિસરાવી ઊપાધિરે । વળી પ્રગટ કરી પંચ વ્રતરે, આપ્યું પળાવી પદ અમૃતરે ।।૭।।
બહુ દેશ તીર્થ ગામ શે’રરે, તાર્યા ફરી હરિ કરી મે’રરે । કરી ઊત્સવ બહુ સમૈયારે, તાર્યા જીવ જાયે નહિ કહ્યારે ।।૮।।
કર્યા જગન ને બહુ જાગરે, તેપણ જીવ ઊદ્ધારવા કાજરે । વરષોવરષ કર્યા વળી મેળારે, કરવા જીવ બ્રહ્મમો’લે ભેળારે ।।૯।।
બાંધ્યાં કલ્યાણ સારૂં બહુ ધામરે, શ્રીઠાકુરજીના ઠામોઠામરે । તેમાં બેસારી સારી મૂરતિરે, તે પણ જીવના કલ્યાણ વતીરે ।।૧૦।।
કર્યા આચારજ મહારાજેરે, તે પણ જીવને તારવા કાજેરે । બહુ બાંધી કલ્યાણની સડકરે, જાય ધામે જીવ થૈ નિધડકરે ।।૧૧।।
થઈ વાત સર્વે એ મોટીરે, તરશે જીવ કોટાન જો કોટીરે । એતો બહુ કહ્યું થયું સારૂંરે, હવે માનિયું મન અમારૂંરે ।।૧૨।।
સારા સરા કર્યા છે સમાજરે, કેડ્યે કલ્યાણ કરવા કાજરે । કર્યાં બંધ અમંગળ બારરે, આવી ભૂમિએ અમે આ વારરે ।।૧૩।।
કેને લેવા ન આવે ૧કૃતાંતરે, એમ જાણજો આજ વૃતાંતરે । ૨તરણિ ઊગે રહિ જાય તમરે, ૨ત્યારે માર્તંડનું શું મા’તમરે ।।૧૪।।
તેમ અમે આવ્યે અઘ રહેરે, ત્યારે પતિતપાવન કોણ કહેરે । દીનબંધુ કહે છે દયાળરે, તેતો ૩કુડુ ન પડે કોઈ કાળરે ।।૧૫।।
માટે સર્વે એ નામ સત્ય કીધાંરે, જન અપાર ઊદ્ધારી લીધાંરે । સારો ફેરો ફાવ્યો છે આ વારરે, બહુ જીવ કર્યા ભવ પારરે ।।૧૬।।
વળી કલ્યાણકારી જે વસ્તરે, તે પણ પૃથ્વી પર છે સમસ્તરે । બહુ તે વડે થાશે કલ્યાણરે, ર્સ્પિશ પામશે પદ નિર્વાણરે ।।૧૭।।
અમે હૈયે ન હૈયે જો આંઈરે, નથી રાખ્યું કેડ્યે કામ કાંઈરે । સર્વે કરીને લીધું છે કાજરે, એમ કહે છે શ્રીમહારાજરે ।।૧૮।।
જે જે કર્યા છે અમે ઊપાયરે, જે કોઈ આવી જાશે એ માંયરે । તેને અંતકાળે અમે આવીરે, તેડી જાવું છે તન તજાવીરે ।।૧૯।।
અશ્વ રથ વિમાન વે’લ સારીરે, લૈ જાવા સુખપાલે બેસારીરે । એતો અવશ્ય બિરુદ છે હમારૂંરે, ધાર્યું છે સહુ જીવને સારૂંરે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ત્રિચત્વારશઃ પ્રકારઃ ।।૪૩।।