દોહા –

વળી એક કહું ઊપાયને, તમે સાંભળજો સહુ જન । કર્યો કલ્યાણને કારણે, અતિ અમે થઈ પ્રસન્ન ।।૧।।

જેહ ઊપાયે આ જીવને, સર્વે પ્રકારે શ્રેય થાય । મોટા સુખને ભોગવે, આ લોક પરલોક માંય ।।૨।।

લાજ ન જાયે આ લોકમાં, પરલોકે પરમ આનંદ । કર્યો ઊપાય એવો અમે, સહુ જાણજો જનવૃંદ ।।૩।।

સત્ય શાસ્ત્ર સારાં કર્યાં, ભર્યાં અર્થે અતિ અનુપ । તેમાં બાંધી રૂડી રીતને, ત્યાગી ગૃહીને સુખરૂપ ।।૪।।

ચોપાઈ –ત્યાગી ગૃહીને તારવા અર્થરે, બાંધ્યા ઘણા સુખદાયિ ગ્રંથરે । તેમાં બહુ પ્રકારની વાતરે, સૂચવિ છે અમે સાક્ષાતરે ।।૫।।

કહ્યા ત્યાગી ગૃહિના વળી ધર્મરે, સહુને પાળવા સારૂં પર્મરે । રીત જુજવી કહી જણાવીરે, વર્ણાશ્રમ ધર્મની કહી સંભળાવીરે ।।૬।।

સહુ સહુના ધર્મમાં રે’વારે, અમે ગ્રંથ કર્યા કહું એવારે । દ્વિજ ક્ષત્રિય વૈશ્ય ને શુદ્રરે, તેને તરવા સંસાર સમુદ્રરે ।।૭।।

વળી બટુ ગૃહી વાનપ્રસ્થરે, સંન્યાસિ આશ્રમ સુજશરે । દ્વિજ વર્ણના ધર્મ વિચારીરે, સર્વે અમે કહ્યા સુખકારીરે ।।૮।।

શમ દમ ક્ષમા ને સંતોષરે, અધર્મ સર્ગથી રે’વું અદોષરે । એહ આદિ ધર્મ અપારરે, કહ્યા વાડવના નિરધારરે ।।૯।।

ક્ષત્રી વર્ણના ધર્મ વર્ણવીરે, કહ્યા સર્વે રીતના સૂચવીરે । કરવી સહુ જનની રખવાળરે, અતિ દિલમાં થઈ દયાળરે ।।૧૦।।

ધારી વિચારી ધરવી ધીરરે, કામ પડે થાવું શૂરવીરરે । એહ આદિ જે ક્ષત્રીના ધર્મરે, રાખે જરૂર રાખવા શ્રમરે ।।૧૧।।

વૈશ્ય વર્ણના ધર્મ છે જેહરે, રાખે ગૌ ધન વે’પાર તેહરે । ખેતી વ્યાજ વોરાં પણ કરેરે, દગા કપટ પાપ પરહરેરે ।।૧૨।।

એવી રીતે વરતે વૈશ્ય વળીરે, એવી રીત લખી છે સઘળીરે । શૂદ્ર સેવા કરે તે સહુનીરે, ત્રણ વર્ણ કહ્યા તેહુનીરે ।।૧૩।।

એમ ચારે વર્ણની જો રીતરે, અમે લખાવી ગ્રંથ પુનિતરે । ર્વિણધર્મ કહ્યા જે વખાણીરે, તેપણ ગ્રંથમાં છે લિયો જાણીરે ।।૧૪।।

અષ્ટ પ્રકારે ત્રિયા ધન ત્યાગરે, વિષય સુખ સાથે છે વૈરાગરે । ભારે બ્રહ્મચર્ય વ્રત ધારીરે, રાખે ભાવે કરી બ્રહ્મચારીરે ।।૧૫।।

ગૃહસ્થાશ્રમના ધર્મ છે ઘણારે, તેપણ સર્વ લખ્યા તેહ તણારે । વાનપ્રસ્થના વિવિધ પ્રકારેરે, લખ્યા એહ આશ્રમ અનુસારેરે ।।૧૬।।

એને આસરે સંન્યાસી આશ્રમરે, તેના પણ લખાવ્યા છે ધર્મરે । ચારે વર્ણ ને આશ્રમ ચારરે, તેપણ લખ્યા છે કરી વિચારરે ।।૧૭।।

સહુનાં કલ્યાણ કરવા સારૂંરે, અતિ તાન માનો છે અમારૂંરે । વળી અતિ ત્યાગીના જે ધર્મરે, તેપણ લખ્યા છે કરી શ્રમરે ।।૧૮।।

તેહ શાસ્ત્રનાં સાંભળો નામરે, સહુને સુણતાં છે સુખધામરે । ધર્મામૃત નિષ્કામશુદ્ધિરે, વળી શિક્ષાપત્રી લખી દિધિરે ।।૧૯।।

એહ વિના બીજા છે જે ગ્રંથરે, કર્યા અમે કલ્યાણને અર્થરે । એમ કહ્યું શ્રીજીએ શ્રીમુખેરે, સહુ જનને તારવા સુખેરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ષટ્ચત્વારશઃ પ્રકારઃ ।।૪૬।।