દોહા –
પછી જોયું વિચારી જીવને, કરી રહ્યા સર્વે કામ । સહુ જનને સુગમ થયું, સે’જે પામશે સ્વધામ ।।૧।।
જે અરથે અમે આવિયા, તે અરથ સરિયો આજ । ધારી આવ્યા’તા જે ધામથી, તે કરી લીધું છે કાજ ।।૨।।
બાંધી બળવંત પીઠિકા, કેડે તારવા કોટાન કોટ । કર્યું હિત અતિ આ સમે, અમે રાખી નથી કાંઈ ખોટ ।।૩।।
ફેરો અમારો સુફળ થયો, ગયા સહુ જનના સંતાપ । અનેક જીવ ઊદ્ધર્યા, આજ અમારે પરતાપ ।।૪।।
ચોપાઈ –
કરી લીધું છે સર્વે જો કામરે, એમ વિચારિયું ઘનશ્યામરે । કે’વા રાખ્યું નથી કેડે કાંઈરે, જાવા મોક્ષના મારગ માંઈરે ।।૫।।
બહુવિધ ઊઘાડિયાં બારરે, કરવા કલ્યાણને આ વારરે । હવે પધારૂં હું મારે ધામરે, જે સારૂં આવ્યા’તા તે થયું કામરે ।।૬।।
પછી જે જે પાસે હતા જનરે, તેને કે’છે એમ ભગવનરે । સહુ ધારજો અંતરે ધીરરે, હવે નહિ રહે આ શરીરરે ।।૭।।
થોડે ઘણે દિને ધામે જાશુંરે, અમ કેડ્યે ભરસોમાં આંસુંરે । જો રાજી કરવા હોય અમનેરે, રે’જો એમ જેમ કહ્યું તમનેરે ।।૮।।
ત્યાગી ગૃહી વળી નર નારીરે, રે’જો સહુ સહુના ધર્મ ધારીરે । ધર્મવાળાં જન મને વા’લાંરે, બિજાં જાણું છું નરસાં નમાલાંરે ।।૯।।
છેલી વાત એ છે માની લેજોરે, શિક્ષાપત્રી પ્રમાણે સહુ રે’જયોરે । શિક્ષાપત્રી માંહિ અમે રે’શુંરે, રહી એમાં સહુને સુખ દેશુંરે ।।૧૦।।
રે’શું સતસંગ માંહિ સદારે, હરવા સતસંગની આપદારે । પણ હમણે જેમ દેખોછોરે, દેખી જન્મ સુફળ લેખોછોરે ।।૧૧।।
એમ નહિ દેખો હવે અમનેરે, સાચી વાત કહુંછું તમનેરે । એવી રીત્યે કહ્યું અવિનાશેરે, તેતો સાંભળીયું સહુ દાસેરે ।।૧૨।।
આપી ભલામણ ભલિ વિધિરે, પછી કરવાની હતી તે કીધિરે । ગયા અક્ષરધામમાં આપેરે, જન બહુ તપ્યા એહ તાપેરે ।।૧૩।।
નવ રહી શરીરની સાધરે, પામ્યાં અંતરે દુઃખ અગાધરે । રહે ધારતાં કેમ કરી ધીરરે, નથી સુકતાં નયણે નીરરે ।।૧૪।।
પછી વાલાનાં વચન સંભારીરે, ઘણી વારે ધીરજ પછી ધારીરે । જેજે કહ્યાંછે જેને વચનરે, તેતે રીતે રહ્યાં સહુ જનરે ।।૧૫।।
પોતે પધાર્યા પોતાને ધામરે, કરી જીવ અનેકનાં કામરે । જેજે ધારી આવ્યાતા ધામથીરે, કર્યું કામ તે હૈયે હામથીરે ।।૧૬।।
મુનિ મંડળ સહિત આવ્યા’તારે, સંગે સમાજ સારો લાવ્યા’તારે । જેહ અર્થે આવ્યા’તા આંઇરે, સર્યો અર્થ ન રહ્યું કેડે કાંઈરે ।।૧૭।।
એવો અલૌકિક અવતારરે, બહુ જીવ કર્યા ભવપારરે । એહ મૂરતિ મળી છે જેનેરે, કાંઈ ખામી રહી નહિ તેનેરે ।।૧૮।।
એવી એ મૂરતિ મંગળકારીરે, તેહ જેહ રહ્યા છે ઊર ધારીરે । એવા જન મળે જેને જેનેરે, અક્ષરધામે આપે વાસ તેનેરે ।।૧૯।।
તેતો શ્રીમુખે કહ્યું’તું સો વારરે, નિશ્ચે કરાવ્યું’તું નિરધારરે । વળી રહ્યા છે સતસંગ માંયરે, અંત સમે કરે આપે સા’યરે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટચત્વારશઃ પ્રકારઃ ।।૪૮।।