વળી, એક આ કામ પણ કઠણ છે. તે શું ? તો જે, સવારથી બપોર સુધી આંખો મીંચીને ન બેસી રહેવાય ને બધો જન્મારો બાહ્ય દષ્ટિએ બેસાય. ને બાહ્ય દષ્ટિએ જો માળા ફેરવે, તો બીજે મન ભમે ને આંખ્યું મીંચીને ફેરવે તો ભગવાન સાંભરે.તે આમ દિવસ આખો ફેરવાય, પણ ભગવાન સંભારીને તો પાંચ પણ ન ફેરવાય; એ પાંચ જુદી રીતની થાય. માટે ધીરેધીરે નિત્યે ભગવાનમાં જોડાવું; તે ન થાય તો સાધુમાં પ્રથમ જોડાવું, તો પછી ભગવાનમાં સહેજે જોડાવાય. ।।૧૪૦।।