અને જે દી તે દી સાધુથી જ મોક્ષ થાય છે ને જ્ઞાન આવે છે, ને જે દી તે દી કાંઇક થયું હશે તે પણ તેથી જ થયું છે,ને થાશે; તે પણ તેથી જ થાશે. માટે મોક્ષના દ્વાર જ આ સંત છે. તે આ ચૈતન્યાનંદસ્વામી ઢોલિયો, વસ્ત્ર ને ખાધાનાં પદાર્થ પારવોણાં (પાર વગરનાં) રાખતા, તેનું કોઇથી કહેવાણું નહિ.મહારાજે એકવાર કહ્યું હતું, તે સારુ મરવા તૈયાર થયા હતા ! ને શ્રીજીમહારાજ આગળ કોઇને પદાર્થ મૂકવું હોય, તો તે આગળથી પોતા પાસે આવે, ત્યાર પછી શ્રીજીમહારાજ પાસે મૂકવા જવાય એવું હતું. પણ બાળમુકુંદાનંદસ્વામીએ વાતો કરી ત્યારે સર્વેનો ત્યાગ કરીને પંકિતમાં રોટલા ખાય, ને હાથ જોડીને બોલે, એવું સાધુ વતે થયું. તે સભામાં બોલ્યા જે, ‘બાર વર્ષ ગુરુ ને બાર વર્ષ સદ્ગુરુ રહ્યો; પણ સત્સંગી તો આજ થયો.’ને ઘનશ્યામદાસને તો મેં એવી વાતો કરી જે, સ્વભાવ માત્ર કાઢીનાખ્યા, તે મહારાજ ભેળા પણ ઘોડા વગર ન ચાલતાં, ને લૂગડાં આદિક પદાર્થનું પણ તેમ જ હતું; તે હવે સાધુ થઇ ગયા, એમ થાય છે. માટે સાધુ સાથે જીવ બાંધવો. ।।૧૬૫।।