અને દેહને તો શું કરવું છે ? આમ ને આમ પરપોલા જેવું કરી રાખે છે, એવું ન રાખવું, ખાસડાં જેવું કરી નાખવું.આ જોને અમારા પગ વજ્ર જેવા છે. તે કાંટો વાગે જ નહિ ને ધગે પણ નહિ. ને એકવાર મહારાજ પાસે જાતા હતા, તે રસ્તામાં શૂળ હતી તે કરડ કરડ બોલતી ગઇ ને એમ ચાલ્યા ગયા. કાંઇયે થયું નહિ; માટે દેહ જો પરપોલા જેવો રાખ્યો હોય તો જરાક વા ન આવે તો જીવમાંથી આકળો થઇ જાય તે માટે એવો દેહ ન રાખવો. ।।૧૭૯।।