અને જેવા ભગવાન અક્ષરધામમાં છે તેવા જ આંહીં આવીને બેઠા હોય ને પછી તે મનુષ્યચરિત્ર કરે ત્યારે ભાવ ફરી જાય,પણ તે ભાવ ફરવા દેવો નહિ. જુઓને, સુંદરજી સુતારની દીકરી મોટી થઇ, એટલે એના ભાઇને કહે જે, ‘આને મહારાજને પરણાવશું ?’ ત્યારે કહેઃ ‘અરે ! બોલ મા, બોલ મા.’ ત્યારે ઓલ્યો કહેઃ કાં, સુતારથી તો આ ભગવાન છે ને ? જો એમ ભકતમાં ભેદ છે. નીકર તો ભગવાન બેઉ જાણતા હતા. અરે ! આપણે પણ જો કોઇકની બેન, દીકરીને ભગવાન લઇ જાય, તો નિશ્ચય ન રહે. એવી હજારો વાતો છે કેટલીક કહીએ ? એવે સમે ધીરજ રહે ને જાણે ‘અહો બહુ લીલા કરી !’ તે ખરો. એ તો બ્રહ્માને પણ મોહ થઇ ગયો કે, ‘નો’ય નો’ય પરબ્રહ્મ, ગોવાળિયો’ એમ કહ્યું ને શ્રીકૃષ્ણ અવતર્યા ટાણે સ્તુતિ પણ પોતે જ કરી ગયા હતા; પણ ચરિત્ર જોઇને એવું ન રહ્યું.।।૨૩૨।।