અને વડોદરામાં દીવાનજી હાર્યે એટલું વેર ને તેના મનમાં એમ જે, જો કાંઇક સ્વામિનારાયણ વાંકમાં આવે તો એને લાજહીણ કરીએ. તે સારુ તો ત્યાં આવ્યા હતા; પછી સભા થઇ ત્યારે બોલ્યા જે, ‘તમે તો કાઠીનું ખાઓ છો, માટે વટલ્યા તે ઠીક નહિ.’ પછી મહારાજ કહેઃ ‘એમ એ નથી કર્યું. નીકર પણ એમ તો યજ્ઞાદિકે કરીને પણ શુદ્ધ થાશું, પણ તું તો બ્રહ્મ બીજ જ નથી તો શું યજ્ઞાદિકે કરીને પણ બ્રાહ્મણ થવાશે ?’ એમ ‘શિયાજી મહારાજ’ પગ દાબે ને ના કહે, તો પણ કહ્યું. ।।૨૩૪।।