આવા સાધુની વાતોની ગતિ તો કાળના જેવી છે તે દેખાય જ નહિ પણ અજ્ઞાન ટાળી નાખે, જેમ બાળકમાંથી જુવાન થાય છે ને તે વૃદ્ધ થાય છે તે દેખાતું નથી તેમ. બીજે ઠેકાણે જેટલું કામ એક કલ્પે થાય છે તેટલું કામ આંહીં એક દિવસે થાય છે. ને અક્ષરના મુકતને પણ સમજવામાં કસર રહી ગઇ હોય, તો તેને પણ આંહીં ભગવાનની ભેળું કસર ટાળવા આવવું પડે છે, માટે જેને કસર ટાળવી હોય તેને તો આ બરોબર બીજો કોઇ સારો યોગ નથી. ।।૪૫।।