પછી વળી સ્વામીએ વાત કરી જે, મુકતાનંદસ્વામીને મહારાજે પૂછ્યું જે, ‘અમે જે જે ધામમાં જઈએ છીએ તે તે ધામમાં તમારાં બહુ વખાણ થાય છે; તે તમારામાં એવી શી મોટપ છે, તે સર્વે તમારાં વખાણ કરે છે ?’ એમ કહીને બોલ્યાં જે,‘આ તુંબડી ફૂટી જાય તો સાજી કરતાં આવડે ?’ ત્યારે મુકતાનંદસ્વામીએ કહ્યું જે, ‘ના મહારાજ’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘તમે તમારી મોટપને જાણતા નથી.’એમ કહીને બોલ્યા જે,‘લ્યો અમે જ કહીએ.’ એમ કહીને કહ્યું જે,‘આ પચાસ કોટી યોજન પૃથ્વી છે, તેથી દશગણું જળ છે ને તેથી દશગણું તેજ છે, તેથી દશગણો વાયુ છે, તેથી દશગણો આકાશ છે, તેથી દશગણો અહંકાર છે, તેથી દશગણું મહત્તત્ત્વ છે, તેથી દશગણા પ્રધાનપુરુષ છે, તેથી અનંતગણા પ્રકૃતિપુરુષ છે, ને તે પ્રકૃતિપુરુષ થકી પર અક્ષરધામ છે; તે ધામમાંથી લાખ મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ તો વાયુને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યારે રજ ભેળો રજ થઇ જાય, એટલું છેટું છે; પણ જો આંહીં અલ્પ જેવો જીવ હોય ને તેને તમે એમ ધારો જે આ જીવ આઠ આવરણ પાર અક્ષરધામમાં જાય, તો તત્કાળ જાય. જેમ જતરડામાં ઘાલીને પાણો ફગાવી નાખે એવું તમારા કાંડાને વિષે બળ છે; પણ તેને તમે જાણતા નથી.’ એમ કહીને કહ્યું જે,‘એવી મોટપ તમમાં આવી છે તેનું કારણ કહું તે તમે સાંભળોઃ સર્વ થકી પર જે અક્ષરધામ, તેને વિષે વિરાજમાન એવા જે ભગવાન તેનો તમારે સાક્ષાત્કાર સંબંધ થયો છે.’ એવી રીતે ઘણી વાર્તા કરી. ।।૩।।