સ્વામીએ વાત કરી જે, ‘જીવ સામું જોઇએ તો મુમુક્ષુતા તો જાણીએ છે જ નહિ ! કેમ કે, જે મુમુક્ષુ હોય તેને તો ભગવાન કે ભગવાનના સાધુ તે વિના સુખ કે શાંતિ થાય જ નહિ. જેમ સમુદ્રમાં છીપ રહે છે, પણ તેને સમુદ્રનું પાણી ખપતું નથી, તે તો જયારે સ્વાતિના બુંદ  પડે છે, ત્યારે જે  ઠેકીને તેનું ગ્રહણ કરે છે તે મોતી લાખ રૂપિયાનું થાય છે; ને જે મંદ શ્રદ્ધાએ કરીને ગ્રહણ કરે છે તે તો અર્ધલાખનું થાય છે; ને જે પડ્યું પડ્યું ગ્રહણ કરે છે તે તો ફટકીયું  થાય છે; તેમજ મુમુક્ષુ હોય તે જો શ્રદ્ધાએ કરીને આ સત્પુરુષનો મન, કર્મ, વચને સમાગમ કરે છે, તો તે બ્રહ્મરૂપ થાય છે. એમ કહીને બોલ્યા જે,

શ્રદ્ધાવાન્ લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ । જ્ઞાનં લબ્ધ્વા પરાં શાંતિમચિરેણાધિગચ્છતિ ।।

અને જેને એવી શ્રદ્ધા ન હોય તેને તો :

પ્રયત્નાદ્યતમાંનસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ । અનેકજન્મસંસિદ્ધસ્તતો યાતિ પરાં ગતિમ્ ।।

એમ પણ કહ્યું છે, માટે સત્પુરુષનો સંગ તો મન, કર્મ, વચને જ કરવો. ત્યારે પૂછ્યું જે, મન, કર્મ, વચને સંગ કેમ કરવો ? ત્યારે સ્વામી બોલ્યા જે, ‘કર્મ જે દેહ તેણે કરીને તો જેમ સત્પુરુષ કહે તેમ કરવું, ને વચને કરીને તો સત્પુરુષમાં અનંત ગુણ રહ્યા છે તે કહેવા ને મને કરીને તો મોટા સાધુને વિષે નાસ્તિકપણું આવવા દેવું નહિ; ત્યારે એમ જાણવું જે, મોટા સાધુનો સંગ મન, કર્મ, વચને કર્યો છે.’ એટલી વાત કરીને બોલ્યા જે, ‘સંત સમાગમ કીજે હો નિશદિન, સંત સમાગમ કીજે’ એ ગોડી બોલ્યા, ત્યાં આરતી થઇ તે દર્શને પધાર્યા. ।।૬૦।।