સ્વામીએ એક હરિજનને બોલાવીને કહ્યું જે, ‘દર્શન કર ને આ દેહ તો તારા સારુ રહ્યો છે, કેમ જે, કાળ તો આંટા ખાતો રહે છે.’ એમ કહીને બોલ્યા જે, ‘આવા સાધુથી નોખા પડીએ ત્યારે નરકમાં પડ્યા જેવુ દુઃખ થવું જોઇએ ને એવું દુઃખ નથી થાતું ત્યાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો છે કયાં ? ને જયાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો નથી ત્યાં સુધી લોક, ભોગ ને દેહ તે રૂપ થઇ જવાય છે.’ એમ કહીને બોલ્યા જે, ‘અમારે તો હજારો ક્રિયા કરાવવી પડે પણ આંખ મીંચીને ઉઘાડીએ એટલી પળ જો ભગવાન વિસરાય તો તાળવું ફાટી જાય.’ ત્યારે પૂછ્યું જે, ‘હજારો ક્રિયા કરાવો ને તેલધારાની પેઠે ભગવાનને અખંડ રાખો, એમ તે કેમ રહે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘તમે તમારો દેહ વિસારો છો ?’ ત્યારે કહ્યું જે,‘ના મહારાજ.’ પછી સ્વામી બોલ્યા જે,‘જો તમે તમારો દેહ વિસારો, તો હું મહારાજની મૂર્તિ વિસારું. કેમ જે, જેમ માછલું છે તે જળમાં હાલેચાલે ને ક્રીડા કરે છે તેમ અમે બોલીએ-ચાલીએ ને ક્રિયા કરીએ, પણ ભગવાનને મૂકીને તો કોઇ ક્રિયા કરીએ જ નહિ; ને જેને એવું ન જણાય તે તો મોટાને વિષે પણ દોષ પરઠે છે, તે પોતે હેરાન થાય છે ને બીજાને હેરાન કરે છે. તે દોષનો પરઠનારો તે કોટિ કલ્પ સુધી નિવૃત્તિ પામતો નથી, એ સિદ્ધાંત વાત છે.’ ।।૬૫।।