આ કારખાનામાં તો બ્રહ્માંડ જેટલો વ્‍યવહાર કરવો ને ન બંધાવું, એવા તો એક સહજાનંદ સ્‍વામી છે. ને આ કામ તો કેવું છે ? આઠ દોકડાભારની ઉંદરડી ને માથે હજાર મણનો પાટડો પડે, તે ઉદરડી કયાંય દેખાય નહિ એવું છે. તે મહારાજે કહ્યું છે : ‘જે ગોપાળાનંદ સ્‍વામી ને મુકતાનંદ સ્‍વામી તે પણ ઊતરતા જેવા રહે કે ન રહે માટે આપણે તો ભગવાન ને સાધુ એ બે રાખવા. ને સોનું રાખીને ઉપર રુપિયા દેવા તે ખોટ ન આવે, ને બીજા વેપારમાં તો ખોટ પણ આવે. માટે આત્‍મનિષ્‍ઠા આદિક ગુણ છે, પણ ભગવાન અને સાધુ જેવું કાંઇ નથી. ૧૯૯