આશરે આઠેક દાયકા પહેલાંની આ વાત છે. રાજકોટ જુબેલી બાગના કોનોટ હોલમાં નૂતન વર્ષ નિમિત્તે ક્ષત્રિય સંમેલન યોજાયું હતું. જેમાં સૌરાષ્ટ્રનાં નાનાં–મોટાં રજવાડાંઓના ગિરાસદારો તેમજ અન્ય આમંત્રિત ક્ષત્રિયો પણ ભેળા થયા હતા. મોભા પ્રમાણે સહુ પોતપોતાની બેઠકે ગોઠવાયા હતા ને સભાની કાર્યવાહી ચાલી રહી હતી. સભાનું સંચાલન કરનારની સૂચના મુજબ ક્ષત્રિય વક્તાઓ પોતપોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા હતા.
એવામાં કોઈક વક્તાએ નશાના કેફમાં આવી જઈને ટકોર કરતાં જણાવ્યું કે માંસાહાર અને મદ્યપાન તો આપણા ક્ષત્રિયોનો જુસ્સો જાળવી રાખનારું ટોનિક છે. એના પ્રતિબંધની વાતો યોગ્ય નથી. જોકે કેટલાક ધર્મમાં એનો નિષેધ કરેલો છે. એમાંય સ્વામિનારાયણ ધર્મના ઉપદેશકો પોતાના અનુયાયીઓને દારુ માંસને અખાદ્ય અને વિકૃતિજનક વ્યસન ગણાવીને એનો ત્યાગ કરાવે છે. વળી અધૂરામાં પૂરું પાપનો ડર દેખાડીને આપણા ક્ષત્રિધર્મને દીનહીન દશામાં મૂકી દીધો છે અને ક્ષત્રિયોને નમાલા, બાયલા ને ભીરુ બનાવી રહ્યા છે.
‘એય, ખબડદાર ! બોલ્યા ઈ બોલ્યા હવે આગળ બોલશો નહીં.’ પાછળથી આવી સિંહગર્જના સંભળાણી કે તુર્તજ એ શૂરો કોણ છે? એ જોવા સહુ કોઈની ગરદન પાછળ ઘૂમી ગઈ. ત્યાં તો અપટુડેઈટ અફસરના ડ્રેસમાં એક ક્ષત્રિય યુવાન રૂઆબ ભેર આગળ આવતો દેખાયો. આ શૂરવીર નરકેસરીને જોતા જ સહુએ એને ઓળખી લીધા. એના વિશાળ ભાલમાં સ્વામિનારાયણ ધર્મનું ચાંદલે સહિત તિલક શોભતું હતું. આ શૂરવીરની સચ્ચાઈ ને ટેકથી સહુ કોઈ સુપરિચિત હતા જ. આગળ સ્ટેજ પર આવી એણે સંચાલક મહાશયની પરવાનગી માગીને કહેવા માંડયું. ‘જુઓ બંધુઓ, આ વડીલ મહાશય જે કાંઈ બોલી ગયા એથી હું ખૂબ નારાજગી અનુભવું છું. હું, આપ સહુ જાણો છો તેમ સ્વામિનારાયણ ધર્મનો ચુસ્ત અનુયાયી છું. એથી આ મિથ્યા કલંકને ગળી જઈ શકું નહિ એટલે એની સ્પષ્ટતા કરવા તેમજ ખરી હકીકત રજુ કરવાનું ઉચિત માની આપ સમક્ષ હું ઉભો થયો છું.’
‘સ્વામિનારાયણ ધર્મ અને એના અનુયાયીઓએ ક્ષત્રિયોને કાયર નહીં પણ ખરા અર્થમાં રણશૂરા બનાવ્યા છે. એમણે શૂરવીરતા દાખવવાનું ખરું ક્ષેત્ર ઓળખાવ્યું છે. શૂરવીરતા તેમજ નીડરતા કાંઈ મદ્યપાન અને માંસભક્ષણથી જ નથી આવી જતી. સાચું શૌર્ય તો ઈશ્વરનિષ્ઠા, સદાચારપાલન, કર્તવ્યભાન અને મનના નિગ્રહ તેમજ સંયમમાંથી પ્રગટે છે અને જો એમ ન હોય તો દારૂ માંસનું સેવન કરનારો કોઈપણ ભલે મારી સામે આવે. આપણે શૂરવીરતાની અહીં જ કસોટી કરીએ. હું અસ્ત્રશસ્ત્ર તેમજ દ્વન્દ્વ યુદ્ધમાં પણ તૈયાર છું.’
‘બરોબર છે, અમે પણ એમાં સંમત છીએ. હિંમત હોય એ થાય ઊભા.’ સભામાંથી જ બેત્રણ ક્ષત્રિઓએ એમાં સૂર પુરાવ્યો.
આ શૂરાઓની રણહાંક સાંભળીને સભામાં સન્નાટો છવાઈ ગયો ! માઈનો પૂત કોઈ ઊભો ન થયો. ઊભો થાય પણ કયાંથી ? આ રણશૂરાની વીરતા અને ધાકથી ભલભલા ચોર–ડાકુઓ ફફડી ઉઠતા હતા. એણે ખતરનાક બહારવટિયા સામેના ધીંગાણામાં બાથ ભીડીને એને પરાસ્ત કર્યા હતા. એટલું જ નહિ એનું નામ સાંભળીને ડફેર, વાઘેર, મિયાણા જેવા લુંટારાઓ ભોંભીતર થઈ જતા. સહુ કોઈ આ બાબત સારી પેઠે જાણતા હતા. એટલું જ નહિ અત્યારે પોતાની નજર સામે ઊભેલા આ સહજાનંદી સિંહના અંગે અંગમાંથી સહુને નરી શૂરવીરતા નિતરતી દેખાતી હતી.
એ સહજાનંદી સિંહ હતા મેંગણીના મુક્તરાજ માનભા બાપુના વંશજ દરબાર અર્જુનસિંહજીભાઈ જાડેજા. એમનો સત્સંગ કાઢી તરવાર જેવો સારધાર. સત્સંગનો પક્ષ શિર સાટે રાખતા. સત્સંગનું કોઈ ઘસાતું બોલે તો એને એ કદી ગળી જતાં નહિ પણ શૂરવીરતા પૂર્વક એને તીખા બાણ જેવું વચન મારે એવા એ સહજાનંદી શૂરા સિંહ હતા.