Audio

એક સમજુ અને સ્થિતપ્રજ્ઞ ભકતજનના પ્રેરણાદાયી જીવન પ્રસંગની આ વાત છે. પોતે બન્ને આંખે અંધ બન્યા ને અધૂરામાં પૂરું વળી ઘરભંગ પણ થયા. આમ છતાં એમની ઉચ્ચ સમજણમાં અને પ્રભુનિષ્ઠામાં આ વિકટ વિટંબણાની વિપરીત અસર થવા નહોતી પામી. ‘દાસના દુશ્મન હરિ કદી હોય નહીં જે કરશે તે ઠીક જ હશે.’ આ સૂત્ર એમના જીવનમાં જડાઈ ગયેલું.
આ ભકતને સંતાનમાં એક દીકરો ને એક દીકરી. દીકરાના લગ્ન થયાં ન હતાં અને દીકરી તો પરણીને સાસરે ગયેલી પણ વિધવા થવાથી પિયરમાં આવી અંધ પિતાજીની સેવામાં રહી ગઈ હતી. દીકરો ખંતથી ખેતીનું કામકાજ કરે. દીકરી ઘરનું કામ સંભાળે પણ બન્ને બેનભાઈ પિતાજીની અનુવૃત્તિ બરોબર જાળવે.
ઘરમાં તેમજ વ્યવહારમાં પ્રભુકૃપાથી બધુંય સાનુકૂળ ચાલતું હતું પણ પ્રભુને આ સ્થિતપ્રજ્ઞ ભક્તની કસોટી કરવી હોય એમ એની માથે અણધારી આફત ઉતરી આવી. એકનો એક અને કમાઉ દીકરો ગંભીર માંદગીમાં સપડાયો. ગામડા ગામમાં એ જમાનામાં સારવારેય બીજી શું ઉપલબ્ધ હોય ! એટલે એમણે ઘરગથ્થું ઉપચાર કર્યા પણ દર્દમાં કોઈ ફેર ન પડયો.
આયુષ્ય ખૂટી ને શ્રીજી મહારાજ એને તેડવા પધાર્યા. અંતરિક્ષમાં રહી દર્શન આપ્યા અને કહ્યું, ‘અમે તો તને તેડવા આવ્યા છીએ પણ તું બાપાને આ અંગે પૂછી જો. એ જો રાજી થઈને રજા આપે તો તને અમારા ધામમાં તેડી જઈએ.’
આ સંવાદ સાંભળી બાજુના ખાટલે બેસી માળા ફેરવી રહેલા ભગતે સહર્ષ પૂછયું, ‘બેટા, અત્યારે કોની સાથે વાતો કરે છે ? પ્રભુ પધાર્યા છે કે શું ?’
‘હા બાપા, મહારાજ મને તેડવા તો આવ્યા છે પણ કહે છે કે બાપા રાજી થઈને રજા આપે તો જ તેડી જઈએ.’
‘અરે બેટા ! તો તો ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય. તું તારે ખુશીથી ધામમાં જા. હું એમાં તો ખૂબ રાજી છું. તું અમારી આહીંની જરાય ચિંતા કરીશમા. અમે તો અહીં ગમે તેમ રોડવી લેશું. તું સુખિયો થઈજા, દીકરા !’
વિચાર કરીએતો ખ્યાલ આવે. કયો બાપ આવી કપરી પરિસ્થિતિમાં પરવાનગી આપે ! પોતાના દીકરાના આયુષ્ય માટ પ્રભુને કેટલાય કાલાવાલા ને આજીજી કરવા મંડી પડે. સંતાન પ્રત્યની મમતા માબાપને ન જ છૂટે.
પિતાજીની પરવાનગી મળતા પુત્ર પ્રભુ સાથે ધામમાં સિધાવ્યો. એના અવસાનની જાણ થતાં સંબંધીઓ તેમજ પાડોશીઓ દોડી આવ્યા. સહુએ ગમગીન બની સદ્ગતની દેહક્રિયા કરી. અંતમાં સહુ ભગત પાસે ખરખરો કરવા ભેળા થયા ને ખેદ કરતાં ! કહેવા લાગ્યા, ‘ભગત, તમારે તો ભારે થઈ ! તમે આંખે અંધ ! દીકરી વિધવા ! પત્ની પરલોકે ગઈ ને દીકરો પણ એની પાછળ ગયો. ઘરમાં કામ કરનાર હવે બીજું કોઈ રહ્યું નહિ ! આતો ભારે ઉપાધી આવી પડી.’
બધાયનો ખરખરો અને ખેદ સાંભળી ભગત બોલ્યા, ‘જુઓ, ભાઈઓ ભગવાનને ગમ્યું એ ખરું ! દાસના દુશ્મન હરિ કદી હોય નહિ. પત્ની અને પુત્ર ભગવાનના ધામમાં ગયાં. વહેલું કે મોડું સહુને અહીંથી જવાનું છે. એનો શોક કરવાથી કશુંય વળતું નથી. ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું ગોવિંદ ગોપાળ. આમ, નરસી મેતાના જેવું મારે થયું છે. મને એનું અંતરમાં દુઃખ કે મનમાં શોક નથી.’
હવે ઘરમાં બાપ અને દીકરી બેજ બાકી રહ્યાં. ભગવાનના ભજન સ્મરણ સાથે ઘર–વહેવાર ચલાવ્યે રાખે છે. સંબંધીઓ ખેતી કામમાં સહાય કરે છે. એમ ભગતનું ગાડું આગળ ગબડયે જાય છે પણ ભગવાનને પોતાના આ ભકતને કેમ જાણે તળિયા સુધી તપાસી લેવો હોય એમ છ સાત માસ વીત્યા ત્યાંતો દીકરીય બીમાર પડી.
એવામાં એક રાતે શ્રીજીએ આવીને દીકરીને દર્શન દીધા ને કહ્યું, બેટાં, તારુય આયુષ્ય પૂરું થયું છે એથી અમો તનેય ધામમાં તેડી જવા આવ્યા છીએ પણ તું ગયા પછી બાપાની સેવા–ચાકરી કોણ કરશે ? બાપાને તું જરા પૂછીતો જો.’
‘હા, પ્રભુ ! મનેય અંધ બાપાની ચિંતા તો મનમાં થાય છે. હું માંદી માંદીય એમની સેવા કરું છું. મારા ગયા પછી એમની હાલત કફોડી થઈ જશે. મહારાજ, મને મેલી જાવતો સારું ! મારાથી બાપાને આ વાત કેમ પૂછાય !’ દીકરીએ રડસમ અવાજે કહ્યું.
આ બોલાશ સાંભળી બાપાની ઊંઘ ઉડી ગઈ ને બોલી ઉઠયા, ‘બેટા, તાવમાં બબડેશ કે મહારાજ તનેય તેડવા આવ્યા છે ?’
‘બાપા, મહારાજ તો તેડવા આવ્યા છે ને વાટ જુવે છે ને કહે છે કે તારી આવરદા પૂરી થઈ છે પણ બાપાની સેવા કોણ કરશે? બાપા રાજી થઈને રજા આપે તો જ તને સાથે તેડી જઈએ.’
‘બેટા, તારી શું ઈચ્છા છે, બોલ ?’ પિતાએ પ્રશ્ન કર્યો ‘બાપા, મને તો તમારી ચિંતા થાય છે.’ દીકરીએ દિલની દિલગીરી વ્યક્ત કરતાં કરતાં કહ્યું.
‘બેટા, તું મારી તો જરાય ચિંતા કરીશમા, કોઈ જાતની ઈચ્છા મનમાં રાખીશમા ને તું ખુશીથી પ્રભુ સાથે ધામમાં જા. મારી ચિંતા તો ભગવાન કરશે. મને તો ચિંતા થયા કરતી હતી ! મારા ગયા પછી તારું શું થશે ! પણ આ તો ભારે પાધરું પડી ગયું. મહારાજ તેડવા આવ્યા છે તો જા બેટા, જા.’
પિતાજીની રજા મળી. પુત્રીય પ્રભુ સાથે ધામમાં ગઈ. સવારે ખબર પડતાં પાડોશીઓ ને સંબંધીઓ હાંફળા ફાંફળા બની દોડી આવ્યા. અંધ પિતા તો પ્રભુ સ્મરણ કરી રહ્યા હતા. ભગતનું કાર્ય છે. સહુ પોતાની ફરજ સમજીને પુત્રીની દેહ ક્રિયા કરી આવ્યા ને પછી સહુ ભગત પાસે બેઠા અને આગેવાનો કહેવા લાગ્યા, ‘ભગત, તમારે માથે તો ભારે થઈ. એક પછી એક વિપત્તિઓ આવ્યા કરે છે. તમે ભક્તિ તો ઘણીય કરોછો પણ આ દુઃખ તો તમારો સગડ મેલતું નથી. વળી આ વખતે તો તમ પર જાણે આભ જ તૂટી પડયું છે. ઘરમાં કોઈ રહ્યું નહિ. તમારે તો દુકાળમાં અધિક માસ જેવું થયું.’
બધાયનું શાંત ચિત્તે સાંભળીને પછી ભગત જરાય અકળાયા વગર બોલ્યા, ‘આપ સહુ કહો છો એ વાત તો જાણે સાચી. મારા જીવનમાં એક પછી એક આવા આંચકા આવ્યા કરે છે. છતાં મારી ગાડી ગબડયે જાય છે. હું આ દુઃખને દુઃખજ માનતો નથી. મારે તો સંતાનોની ચિંતાનો બોજ હળવો થઈ ગયો. મારે હવે બીજા કોઈની ચિંતા ન રહી. હું નચિંત થઈ ગયો. પત્ની તથા બંને સંતાનને પ્રભુ દર્શન આપી ધામમાં તેડી ગયા એથી રૂડું બીજું શું ? મરી તો સહુને જવું છે. આવું મૃત્યુ તો ભાગ્યશાળીને મળે ! સાચું કહું હું તો હવે સાવ હળવો થઈ ગયો.’
બીજાને આમ ધીરજ આપનાર આ સ્થિતપ્રજ્ઞે પોતાની ધીરજ કેવી કેળવી હશે ! એ હતા બોટાદ પાસેના સિરવાણિયા ગામના કાઠી હરિભક્ત ગીગા ધાધલ. એમણે મહારાજના દર્શન કરેલા અને સદુપદેશ સાંભળીને જીવનમાંય ઉતારેલો.
ગીગા ધાધલ ખરેખર સ્થિતપ્રજ્ઞ ભક્તરાજ હતા. ગમે તેવા વિકટ સંકટમાં એની સમજણ સ્થિર રહી શકતી. આ નિષ્કામ ભક્તને આધિન પ્રભુ વર્તતા હતા છતાં એણે પ્રભુ આગળ પોતાનું એકેય દુઃખ દૂર કરવા પ્રાર્થના તો ન કરી પણ એવી ઈચ્છાય ન કરી.
હરિ રાખે એમ સદાય રહેવા એ તત્પર રહ્યા. પ્રભુની ઈચ્છા એ પોતાનું પ્રારબ્ધ. પ્રભુ જે કરે એમાં પોતાનું ભલું હોય એમ માની જીવનની વિકટ સમસ્યાઓમાં પોતાની સમજણ અને સ્થિતિમાંથી ચલાયમાન ન થયા. એ નાનીસૂની વાત નથી.
દીકરીના અવસાનને બીજે દિવસે જ ભક્તવત્સલ ભગવાન શ્રીહરિએ બોટાદના શેઠ શિવલાલભાઈને દર્શન દઈને આ એકાંતિક અંધ ભક્ત માટે વ્યવસ્થા કરવા ભલામણ કરી દીધી. મહિમાવાળા શિવલાલ શેઠ તુર્તજ બોટાદથી સિરવાણિયા આવી ભક્તરાજ ગીગા ધાધલને મળ્યા. ગામલોકો ને સંબંધીઓને સાથે રાખી ભક્તરાજના જીવનપર્યંત નિર્વાહ માટે સરસ બંદોબસ્ત કરી આપેલો ને પોતે અવારનવાર આવી એની તપાસ કરી જતા ને જરૂરી રકમ પણ આપી જતા.
શિવલાલભાઈ ધામમાં જવાના થયા ત્યારે પોતાના પિતા ભગા દોશીને આ ભક્તજન અંગે ખાસ ભલામણ કરેલી.