Audio

જૂનાગઢ નાગરવાડમાં વાત પ્રસરી કે સ્વામિનારાયણના મંદિરમાં ભારે મોટી વિશાળ હવેલીના પાયા ખોદાઈ રહ્યા છે. આ માહિતી મળતા જિજ્ઞાસુઓ ત્યાં જોવા આવવા લાગ્યા.
સદ્.ગુણાતીતાનંદ સ્વામી અને બાંધકામની આગવી સૂઝ ધરાવતા સ્વામી કૃષ્ણસેવાદાસજીની દોરવણી પ્રમાણે ઉત્સાહી સંતો, શ્રદ્ધાળુ પાળાઓ અને સેવાભાવી હરિભકતો ભારે મહિમાથી શ્રમસેવા કરીને દોઢ બે માથોડા ઊંડા ગાળેલા પાયાઓ મોટા મોટા ભારે પથ્થરોથી પૂરી રહ્યા હતા. હરિભકતો ગાડાં ભરી ભરીને કાળવામાંથી પથ્થરો લાવતા હતા. નદીમાંથી લાવવામાં આવેલ પાણાઓને પાયામાં નાખે એટલે ત્યાં ઊભા રહી પૂ. સ્વામીશ્રી બોલે ‘હવે એેને કાઢવા હરામ.’
નાગરો જોવા આવે. એમાં કેટલાક આ જોઈને રાજી થાય તો કેટલાક દ્વેષિલાઓને પેટમાં બળતરાય થાય. નાગરવાડમાં બંધાએલ સ્વામિનારાયણનું ભવ્ય મંદિર જ આંખમાં કણાની જેમ ખૂંચતું હોય તેમાં આવી વિશાળ હવેલી બંધાતી અદેખાથી તો કેમ દેખી જાય ?
મંદિરના નિર્માણ વખેતય ઘણાય કાવાદાવા કરેલા પણ કારી નહોતી ફાવી. આમ છતાં આ હવેલીના બાંધકામમાંય વિધ્ન નાખવા ઈર્ષાળુઓ એકઠા થયા ને કાંઈક કડી શોધવા લાગ્યા એમના ધ્યાનમાં એક બાબત આવી. આથી હરખમાં આવી જઈને એકાદ બે વગદારનાગર અમલદારોને આગળ કરીને એમણે સરકારમાં સ્વામી મંદિર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે સ્વામી મંદિરના માણસો રાજયની પરવાનગી વગર કાળવા નદીમાંથી રાજયની માલિકીના ઘણા પથ્થરો ઉઠાવી ગયા છે.
ફરિયાદ થતાં વજીરે એ અંગે તપાસ કરાવી તો કાળવા નદીમાંથી સ્વામી મંદિરના માણસો વગર પરવાનગીએ પાણા ઉઠાવી ગયાના પુરાવાઓ મળ્યા. આથી અધિકારીઓએ આ બાબત અંગેનો ખુલાસો કરી જવા ફરમાન છોડયું.
રાજ તરફથી ફરમાન મળતાં પૂ. સ્વામીશ્રી તો વિચાર કરતા થઈ ગયા. રાજમાં આગેવાન ગણાતા એક બે હરિભકતોને આ બાબત અંગે પૂછી જોયું એટલે સહુનો મત પડયો કે નદીમાંથી લીધેલા પાણા આમ તો કોઈની માલિકીના ન ગણાય. આમાં કોઈ ગંભીર ગુનો બની જતો નથી પણ આપણે અગાઉ રાજયમાં આ અંગે પરવાનગી મેળવી હોત તો સારું હતું. હવે અધિકારીઓ પાસે જવા કરતાં સીધા નવાબ સાહેબને આ વાત કરીએ જેથી કાંઈક સરળ રસ્તો મળી જશે.
પૂજય સ્વામીશ્રી બે ત્રણ હરિભકતો અને બે ત્રણ સંતોને સાથે લઈ નવાબ સાહેબને બંગલે પધાર્યા. સ્વામી મંદિરેથી સંતો ખાસ મળવા આવ્યાનું જાણીને નવાબશ્રીએ તુર્તજ મુલાકાત આપી પૂ. સ્વામીશ્રી જેવા સંત વિભૂતિના દર્શન થતાં નવાબ સાહેબે બે હાથ જોડી નમસ્કાર કર્યા ને યોગ્ય આસન આપી બેસાર્યા ને અહીં આવવાનું કારણ પૂછયું એટલે પૂ. સ્વામીએ કાળવામાંથી સાધુઓની ધર્મશાળા બાંધવા માટે પથ્થર લીધાની વાત કરીને ઉમેર્યું, જોકે આમાં અગાઉથી પરવાનગી લેતા અમે ભૂલી ગયા છીએ.
સાથેના હરિભકતોએ નવાબ સાહેબનું ધ્યાન દોરીને કહ્યું ‘કાળવામાં પડેલા નકામાં પાણા અમે ધોળે દિવસે લાવ્યા છીએ. આમ છતાં અમારા કોઈ વિરોધીએ આ બાબતને રાજનો ગુનો ગણી અમારા વિરુદ્ધ ફરિયાદ કરી છે. એ બાબત માટે આ સંતો આપને મળવા ખાસ બંગલે પધાર્યા છે.’
આ સાંભળી હસતા હસતા નવાબ સાહેબે કહ્યું, ‘હશે, આ બાબતમાં યોગ્ય કરી આપવા હું વજીરને જાણ કરી દઈશ.’
બીજે દિવસે પૂજ્ય સ્વામીશ્રી વજીરને મળ્યા અને પાણા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું, ‘અમે તો નદીમાં પડેલ પથ્થરો લીધા છે પણ કોઈના ભેળા કરેલા ઢગલામાંથી તો પાણા લીધા નથી. હા અમે અગાઉથી જાણ કરવાનું ભૂલી ગયા. આવી બાબતમાં જાણ કરવાની હોય એનો અમને ખ્યાલ નહોતો.’
‘પાણાની તો કોઈ કીંમત નથી પણ આપ લોકો રાજની પરવાનગી વગર એ લઈ ગયા એથી વિરોધીઓને મોકો મળી ગયો. એ અંગે ફરિયાદ થઈ છે એટલે અમારે આ બાબત હાથમાં લેવી પડી નહિ તો કોઈ મુશ્કેલી નહોતી.’ વજીરે પોતાનું મંતવ્ય કહ્યું.
‘હવે આ અંગે અમારે શું કરવાનું રહે છે ? અમો નવાબ સાહેબને કાલે મળી આવ્યા છીએ.’ સ્વામીશ્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું.
‘હવે તો તમારે રાજ નકકી કરે એટલી થોડી રકમ આ પથ્થર પેટે ભરવાની રહેશે એટલે ફરિયાદનો નિકાલ આપોઆપ આવી જશે.’ વજીરે ચુકાદો સમજાવતા કહ્યું.
‘પાણાની કોઈ કિંમત નથી આમ છતાં તમે એ અંગે પૈસા ભરવાનું કહોછો તો અમે લીધેલા પાણા સાટે પાણા પાછા આપી દેવાની વ્યવસ્થા કરશું પછી તો કોઈને કાંઈ કહેવાનું કે ફરિયાદ કરવાનું કારણ નહિ રહેને ?’ સ્વામીશ્રીએ પોતાનું મંતવ્ય રજુ કર્યું.
‘પથ્થર તો આપ લોકોએ પાયામાં પૂરી દીધા છે. તો એ પાછા શી રીતે આપશો ?’ એક અમલદારે આશ્ચર્ય સૂચક ટકોર કરતા જણાવ્યું અને ઉમેર્યું, ‘એમ કરવા કરતાં થોડાં નાણાંજ ભરીદોને એજ એનો સરળ ઉકેલ છે.’
આ સાંભળી સ્વામીશ્રીએ મંદમંદ હસતાં કહ્યું, ‘નાણાં તો અમારા બાવા સાધુ પાસે કયાંથી હોય ! તમારે પાણાનું જ કામ છેને? પાણા તમોને પાછા મળી જાય અને લીધા કરતા વધારે પછી તો રાજને કોઈ વાંધો નહીં રહેને ?’
વજીરને પૂ.સ્વામીશ્રીની વાત ગળે ન ઉતરી પણ એમની સામે એ વધારે કાંઈ બોલી ન શકયા ને વિચાર કરતા રહ્યા. સ્વામીશ્રી તો આમ કહીને મંદિરે આવતા રહ્યા. મંદિરમાં બેસી ધ્યાન કરી શ્રીજીને પ્રાર્થના કરતાં કહ્યું, ‘પ્રભુ, આ ડુંગરામાં પાણાની કયાં તાણ છે ? આપ તો કર્તુમકર્તુ ને અન્યથાકર્તુ શકિત ધરાવો છો. માટે કાળવામાં પાણા પાથરી દેતા તમારે શી વાર !’
શ્રીજીએ સ્વામીની અરજ માન્ય રાખી હોય એમ રાતવેળાએ ઉપરવાસ ડુંગરાઓમાં ભાદરવાનો મોટા છાંટે એવો ધોધમાર વરસાદ વરસાવ્યો કે પારવગરના નાનામોટા પથ્થરઓ પાણીમાં તણાઈ આવ્યા ને કાળવામાં એ પાણા પથરાઈ ગયા.
સવારે સ્વામીશ્રી એ તરફ જોઈ આવ્યા. ખૂશ થઈ પ્રાર્થના કરતાં કહ્યું, ‘વાહ પ્રભુ, વાહ ! આપે તો અમારી ચિંતા ટાળી દીધી.’
વજીર પાસે બે હરિભકતો મોકલીને સ્વામીશ્રીએ કહેવડાવ્યું કે અમારી પ્રાર્થના પ્રભુએ સાંભળી છે અને તમારા લીધેલા પાણા કરતાંય વધારે પાણા પ્રભુએ કાળવામાં ત્યાં પાથરી દીધા છે. એ અંગે આપ ખુદ ત્યાં જઈને ખાતરી કરી આવજો.’
આથી વજીર અધિકારીઓ સાથે કાળવામાં તપાસ કરવા ગયા. એ પહેલાં તો ફરિયાદીઓ ત્યાં પહોંચી ગયા હતા. એ શરમિંદા બની ચારે કોર ફરીને પાણા જોઈ રહ્યા હતા. વજીર એમને મળ્યા. કોઈ કશુંય બોલ્યા નહીં. સહુ અંતરમાં બધું જ સમજી ગયા હતા. સંતના સામર્થ્યનો એમને પરચો મળી ગયો હતો.