‘પ્રભુ, બીજું તો અમો આપને શું કહીએ પણ મોટી બોરુનો ગગનગર બાવો આપણા સાધુને મારઝૂડ કરીને જે ત્રાસ આપે છે ઈતો અમારાથી કેમેય જોયું કે સહ્યુંય થાતું નથી.’ નાની બોરુ ગામને ગોંદરે થોડી વિશ્રાંતિ લેવા રોકાએલા મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણ પાસે ફરિયાદ કરતા દેવચંદ શેઠે ભારે વિષાદ સાથે કહ્યું.
‘અરે ભલા માણસ, તમે આટલા બધા છો ને એ બાવો વગર વાંકે નિર્દોષ સાધુને માર મારી હેરાન કરે ! તોય તમે સાધુનું ઉપરાણું નથી લેતા !’ શ્રીહરિએ આશ્ચર્યભેર હળવી ટકોર કરતાં કહ્યું.
‘પણ મહારાજ, ઈ ભૂંડાને દરબાર આપાભાઈનો ઓથ છે, નહિ તો અમેય ઈ લબાડને ક્યારનોય સીધો કરી દેવી એમ છીએ.’ ચીકા પંડયાએ ભારે ચીડ ને રોષ સાથે કહ્યું.
‘ભણે મહારાજ, એ કામ અમને જ સોંપોને ? એ ગોલકુનાને જરા ઠમઠોરીને પૂજા કરીએ જેથી એ ગધીનો સંતોનું નામ લેતો ભૂલી જાય !’ સૂરા ખાચરે જરા અકળાઈ જઈને કહ્યું.
શ્રીજીએ આ સાંભળીને કહ્યું, ‘જુઓ દરબાર, આપણે રહ્યા વટેમાર્ગુ એટલે આવો ઝઘડો કરવો એ આપણને ન પોસાય પણ આજે એનો કાંઈક રસ્તો તો જરૂર કાઢવો પડશે.’ એમ કહી શ્રીજીએ દેવચંદ શેઠને જ કહ્યું, ‘આ તમારા નાની બોરુ ગામના મુખી કોણ છે ? એમને જ અમારી પાસે અહીં બોલાવી લાવોને ?’
શ્રીજીનો આદેશ થતાં શેઠ ઉપડતે પગલે રાજપૂત વીહાભાઈ મુખીને ઘેર જઈ એમને બોલાવી લાવ્યા. વીહાભાઈએ આવી મહારાજને પ્રણામ કર્યા એટલે શ્રીજીએ એમને સુધારેલ શેરડીની પ્રસાદી આપી અને પ્રસન્નતાથી કહ્યું, ‘જુઓ વીહાભાઈ, તમે આ ગામના મુખી છો ને વળી પાછા ક્ષત્રિય, એટલે તમારા ક્ષાત્રધર્મ પ્રમાણે તમારે બ્રાહ્મણ, ગાય અને સાધુની રક્ષા કરવી એતો કુળપરંપરાનો ધર્મ, ખરુંને ?’
‘હા પ્રભુ, મારે લાયક કાંઈ કામકાજ હોય તો મને કહેજો. હું ઈમાં કદી પાછીપાની નહિ કરું.’ મુખી વીહાભાઈએ મક્કમતાથી કહ્યું.
‘તો જુઓ, વીહાભાઈ, આ તમારા જ નાનીબોરુ ગામની સીમમાં અમારા નિર્દોષ સાધુને રસ્તામાં આંતરીને મોટી બોરુનો બાવો વગર વાંકે ચીપિયાથી માર મારે, અપશબ્દો બોલી ભૂંડી ગાળો ભાંડે, પત્તરતુંબડાં તોડીફોડી નાખે, મૂર્તિઓ ને વસ્ત્રો ફાડી નાખે. આવો ત્રાસ છે તોય ગામના કોઈ કશું બોલે નહિ તેમ બે શબ્દો કહી બાવાને રોકે નહિ એટલે એનો ત્રાસ હવે માઝા મૂકતો જાયછે તો તમારે આ ગરીબ સાધુઓની સખાતે–વહારે ચડીને એમનું રક્ષણ કરવાનું છે. બોલો, તમારાથી આ બનશે ?’ શ્રીજીએ મુખીને અર્થસૂચક પ્રેરક પ્રશ્ન કર્યો.
‘અરે પ્રભુ, તમે કહોને આવું ધર્મનું કામ કેમ ન બને ? હવે ઈ મારી જવાબદારી. આજથી તમારા સાધુનું ઈ બાવો કદી નામ ન લીએ એવો બંદોબસ્ત કરી દઉં પછી શું ?’ વીહાભાઈએ કહ્યું.
આથી પ્રસન્ન થઈ પ્રભુએ વીહાભાઈને માથે હાથ મૂકી અંતરના શુભાશિષ આપીને સહુને જય સ્વામિનારાયણ કહી ત્યાંથી વિદાય લીધી.
આ બાજુ વીહાભાઈએ પોતાને બોલાવીને પ્રભુએ સોંપેલ આ પરમાર્થનું કાર્ય તુર્તજ પાર પાડવાનો મનમાં દૃઢ સંકલ્પ કર્યો. ઘેર ન જતાં પોતાની ઘોડી ઘેરથી મંગાવીને સીધી મોટી બોરુની વાટ પકડી.
આપાભાઈના આંગણે આવી ઘોડી ઉભી રાખી એથી એમણે બહાર આવી રામરામ કર્યા એટલે વીહાભાઈએ સીધો સવાલ કર્યો, ‘તમારા ગામનો ગગનગર બાવો સ્વામીના સાધુને વગર વાંકે શું લેવા મારઝૂડ કરે છે ? એને રોકનાર કે કાંઈ કહેનાર આ ગામમાં કોઈ છે કે નહિ ? ઈના મનમાં ઈ બાવલિયો શું હમજે છે ?’
‘જુઓ વીહાભાઈ, તમે આમ આકરા ન થાવ. ઈ ગાયો ગાયો લડે–ઝઘડે એમાં આપણે કાંઈ લેવાદેવા વગર વચ્ચે પડીને વેરઝેર ઊભું કરવાનું ન હોય.’ આપાભાયે દંભનો ડોળ કરતાં કહ્યું.
‘દરબાર, હવે બસ કરો. તમે ગાય ગણીને ઈ ગોધાને ભલે પંપાળો પણ હવે પછી જો ઈ સ્વામીના સાધુનું નામ લેશેને તો હું ઈને માર્યા વિના નહિ મૂકું પછી ભલે જે થવાનું હોય એ થાય.’
‘પણ વીહાભાઈ, તમે ઈને એકલો ન માની લેશો. ઈની પાછળ કોઈક તો હશેજ ને ?’ દરબારે મરમ ભરમ સાથે યાદી આપતાં કહ્યું.
આ સાંભળતાં શૂરવીર વીહાભાઈનું ક્ષાત્રલોહી ઉકળી ઉઠયું એણે આપાભાઈને રોકડું પરખાવતાં કહ્યું, ‘તો સાંભળી લ્યો દરબાર, હવે જેેને આવવું હોય ઈ ભલે હાલ્યા આવે. ઈમાં હવે કોઈ સારાવાટ નથી. એટલુંજ નહિ, તમારે ઈને હંઘરવો હોય ત્યાં હંઘરજો. અમે એને ઝાટકે દેશું. દરબાર, યાદ રાખજો નાની બોરુમાં અમારા રજપૂતનાં ત્રીસ ઘર છે. ઈ બધાય કામ આવી ગયા પછી સ્વામીના સાધુ પર હાથ ઉપડશે !!’ અમારી બાયડિયુંતો નાતરેય જાય પણ તમારી ઓઝલ પડદાવાળિયુંને ખૂણા ન ખોળવા પડે ઈનું ધ્યાન રાખજો.’
વીહાભાઈનો આવો કડક મિજાજ જોઈ આપાભાઈ કહેવા લાગ્યા, ‘મુખી, શાંત થાવ ને હોકા કસુંબા પીતા જાવ.’ પણ વીહોભાઈ ઘોડીએથી હેઠા ન ઉતર્યા ને ચડયે ઘોડે નાની બોરુ આવતા રહ્યા.
આ પછી તુર્તજ આપાભાઈએ ગગનગરને બોલાવી બધી વાત કરી ને ચેતવણી આપતાં કહ્યું, ‘આજ પછી ભૂલેચૂકેય સ્વામીના સાધુને કાંઈ ચાળો કરીશને તો વીહોભાઈ તને વાઢી નાખશે. તારા સારુ પડોશમાં રજપૂતો સાથે વેર બાંધવું અમારે નહિ પોહાય, હમજયોને?’
આપાભાઈએ બતાવેલ વીહાભાઈના ડરથી ગભરાએલ ગગનગર ત્યાંથી બીજે કયાંક જતો રહ્યો. આમ શ્રીહરિની પ્રેરણા ને વીહાભાઈની આવી સખાતથી સંતોને કાયમનો ત્રાસ ટળી ગયો.