‘સ્વામીજી ! આ સાધુના બન્ને હાથમાં તો ભયંકર ગેગ્રીન છે. આ રોગ તો કોઈપણ ઉપાયે મટી શકતો નથી. હા, એને અટકાવી જરૂર શકાય પણ સડો તો કાંડાં સુધી પહોંચી ગયો છે એટલે હવે કાંડા પાસેથી હાથ કાપ્યા વિના કોઈ ઉપાય કે છૂટકો નથી. વળી અંદર સડો તો વધતો જ જાય છે. જો હવે જરાય મોડું કરશો તો વધારે હાથ કાપવા પડશે.’ રાજકોટની સિવિલ હોસ્પિટલના નિષ્ણાત સર્જને વડીલ સંતને નિદાનનો ગંભીર રિપોર્ટ આપતાં કહ્યું.
‘સાહેબ, આપની વાત તો જાણે સાચી પણ અમારેય આ બાબત પર આગળ પાછળ વિચાર તો કરવો પડેને ? અમે એકાદ બે દિવસમાં જ અમારો નિર્ણય આપને જણાવીશું.’ જેતપુરથી સાથે આવેલા વડીલ સંતે સર્જનને પ્રત્યુત્તર આપતાં કહ્યું.
આ પછી માંદા સંતને સ્વામિનારાયણ મંદિરે લાવવામાં આવ્યા ત્યાં રહેલા સંતોએ હાથ કપાવવાના રિપોર્ટની વાત સાંભળી ત્યારે ‘અરે ! કાંડેથી હાથ કપાવવા પડશે તોતો પરેશાનીનો પાર નહિ રહે!’ સહુનાં મોંમાંથી સહાનુભૂતિના ભારે ચિત્કાર નીકળી ગયા પણ એમ કર્યા વિના હવે બીજો કોઈ ઉપાય નહોતો. ડોકટરના આવા સ્પષ્ટ અભિપ્રાયે સહુને વિમાસણમાં મૂકી દીધા હતા. આમ છતાં ત્યાં ઊભેલા પ્રભુપરાયણ એક વયોવૃદ્ધ સંતવર્યનો અભિપ્રાય પૂછવા સાથેના વડીલ સંતે કહ્યું, ‘સ્વામી, ડોકટરે તો કાંડાં કાપવા જ પડશે એમ કહ્યું છે. આમાં હવે અમારે કેમ કરવું ? આપનો શો અભિપ્રાય છે ?’
આ દયાળુ સંતના અંતરમાં રહેલી અનુકંપા સળવળી ઊઠી. એમણે દયાભાવથી કહ્યું, ‘કાંડેથી હાથ કપાઈ જાય તો પછી આ બિચારા સાધુ પોતાના દેહની બધી ક્રિયા કેવી રીતે કરી શકે ? એમ કરવાથી તો આ બાપડાના જીવનમાં દુઃખ અને પરાધિનતા જ આવી જાયને !’ જરા ગંભીર બની જઈને એમણે આગળ કહ્યું, ‘સંત તો પ્રભુનું સદાય હરતું ફરતું એક વિભૂતિ સ્વરૂપ કહેવાય. એને ખંડિત કેમ થવા દેવાય ? દાકતરે ભલે કહ્યું પણ આપણે એના હાથ કપાવવા નથી. આપણે મહારાજને સંભારીને દેશી ઉપચાર કરો એટલે શ્રીજીની કૃપાથી બધાય સારાવાનાં થઈ રહેશે. તમે સહુ શ્રદ્ધા રાખજો.’
પ્રભુનિષ્ઠ આ સંતની વાણીમાં સહુને વિશ્વાસ હતો એટલે કોઈ બીજું કશું બોલ્યા નહિ ને એમનો નિર્ણય સહુએ સ્વીકારી લીધો.
આ સંતનો આદેશ થતાં તુર્તજ જાણીતા વૈદ્ય દયાશંકરભાઈ અને બાલુભાઈને બોલાવવામાં આવ્યા. એમને સિવિલ સર્જનના રિપોર્ટથી વાકેફ કરાયા. એમણે સંતના હાથ તપાસી જોયા ને અંતમાં કહ્યું, ‘આ કેસ ગંભીર તો છે જ છતાં આપના કહેવાથી એક દેશી ઉપચાર કરીએ જોકે આમાં કોઈ ખતરો નથી એટલે અખતરો કરવામાં વાંધો નથી.’
આમ વિચારી વૈદ્યની સલાહ મુજબ પાંચ શેર દેશી એરંડિયું મંગાવ્યું તેને સરખે ભાગે બે પાત્રમાં ભરીને વૃદ્ધ સંતના હાથ એમાં રાખવામાં આવ્યા. બીજી બાજુ પેલા દયાળુ સંતે હાથમાં માળા લઈને રાતે પ્રભુને અંતરના અદકેરા પ્રેમભાવથી પ્રાર્થના આદરી.
સવાર થતાં તો આ સંતના હાથમાં થઈ રહેલી અસહ્ય કાળી બળતરા ઓસરવા લાગી પણ એ માટે પેલા પરમાર્થી સંત આખી રાત માળા ફેરવતા રહ્યા હતા ને સવારે ચાર વાગે માંદા સંત પાસે આવી એમણે પ્રેમથી પૂછયું, ‘કેમ છે હવે ? હાથે કાંઈ ફેર પડયો કે એવી ને એવી જ બળતરા થાય છે ?’
‘ના સ્વામી, પીડા ઘણી ઓછી થઈ ગઈ છે. હવે સારું છે.’ માંદા સંતે આશાભર્યા સૂરમાં કહ્યું.
‘હિંમત રાખીને મહારાજનું ભજન કરવું. મહારાજ બધું મટાડી દેશે’ એમ કહી આ સંતવર્ય પોતાની પ્રાતઃક્રિયા કરવા ગયા. આ બાજુ સવાર થતાં તો આ સંતની પીડા સાવ શમી ગઈ ને એનો હર્ષ પણ એના મોં પર સ્પષ્ટ દેખાતો હતો. આથી સહુને ભારે નવાઈ લાગી. ખુદ ડો. સાહેબને બીજે દિવસે જયારે આ બતાવવામાં આવ્યું ત્યારે આ સંતના હાથ જોઈને એના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. એના મોંમાંથી શબ્દો સરી પડયા, ‘આ કોઈ દવાથી નહિ પણ કોઈ મહાન સંતની દુવાથી મટયું હોય એમ મને લાગે છે !!’
જેની પ્રભુપ્રાર્થનાથી આ દર્દ મટયું એ મહાન તપસ્વી સંત હતા સ્વામી કૃષ્ણજીવનદાસજી. પૂ. શાસ્ત્રીજી મહારાજના વડીલ ગુરુભાઈ માનત સ્વામી અને માંદા સંત હતા જેતપુરના સ્વામી રાધારમણપ્રસાદદાસજી ને વડીલ સંત કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજી એ જ એમને લઈને નિદાન માટે રાજકોટ આવેલા.
ગોંડલમાં જુના મંદિરમાં ૧૮ વર્ષ અને રાજકોટમાં બે વર્ષ સુધી મહંત તરીકે રહી આ પ્રભુ પરાયણ માનત સ્વામીએ અનેક દીન દુઃખિયાના આધિ વ્યાધિ ને ઉપાધિનાં દર્દો ટાળી પ્રભુના સન્માર્ગે વાળ્યા હતા. એમના જ કૃપાપાત્ર શિષ્ય પૂજ્ય જોગી સ્વામી હરિપ્રકાશદાસજી હાલ રાજકોટ ગુરુકુલમાં પ્રભુપરાયણ રહી અનેક મુમુક્ષુઓના તાપ–સંતાપને ટાળી રહ્યા છે.