Audio

‘બાપુ ! બાપુ ! ઝટ ઘેર તો હાલો ! આપણી ભૂરીને કાંક થઈ ગયું છે !!’ આવા ઉચાટભર્યા સમાચાર સાંભળતા વાંકિયા ગામના કાઠી દરબાર આલેકવાળા ‘હેં !! કહેતાકને ડાયરામાંથી સફાળા બેઠા થઈ ઝટઝટ ઉચક મને પોતાના ઘર તરફ ભાગ્યા.
બાપુની ભેંસને વળી શું થઈ ગયું ! એ જોવા અને જાણવા સારુ આખો ડાયરો બાપુની પાછળ આંગણે ધસી આવ્યો. ત્યાં તો ફળીમાં ભોં સાથે ડોક અફળાવતી અને ટાંગા તરફડાવતી હાથણી જેવી આ ભેંસને આડી પડેલી જોતાં સહુનાં અંતરમાં અરેરાટી થઈ આવી. જાણકારોના મતે ભેંસને એરુ જેવું ઝેરી જનાવર આભડી ગયું હોવાથી એના બચાવની શક્યતા ઓછી હતી.
ટંકે અધમણ દૂધ આપતી પોતાની વહાલસોય ભેંસની આવી દારુણ દશા જોઈ બાપુના વલોવાઈ જતાં અંતરમાંથી પોકાર ઉઠતો હતો, ‘બાપ ભૂરી, ઘડીકમાં તને આ શું થઈ ગયું !’
‘બાપુ, ભૂરીને એરુ આભડી ગયો હોય એમ લાગે છે માટે હવે વખત ગુમાવ્યા વિના ઝટ એરુ ઉતારનારને બોલાવો તે આ હાથણી જેવી ભેંસ કદાચ બચી જાય.’ કોઈ જાણકારે કહ્યું.
સહુ નોખી નોખી સલાહ આપ્યા કરતા હતા એથી બાપુનું દિમાગ કોઈ નિર્ણય કરી શકતું નહોતું એટલે કોઈએ ટહુકો કરતાં કહ્યું, ‘હવે બીજે કયાંય ઘોડા કરવા રહેવા દ્યો ને આ સ્વામી મંદિરમાંથી ભગતને જ અહીં બોલાવી લાવોને !’
‘પણ એ ભગત આવશે ? મારે એની હારે અણબનાવ છે.’
‘હા હા, બોલાવશો તો એ જરૂર આવશે. ભગત તો પ્રભુના ઘરના પરોપકારી માણસ છે. એ ના તો નહિ પાડે પણ બાપુ, આપ જ ખુદ જાવ. માફી માગીને ભગતનાં મનામણાં કરો.’
‘ઠીક ભાઈ, મારે ગરજ છે એટલે હું પોતે જ જાઉં.’ આમ કહી બાપુ ઉઘાડે પગે મંદિરે આવ્યા. ભગત તો મંદિરમાં ઠાકોરજી સામે બેસી માળા ફેરવતા હતા. બાપુએ વિનંતી કરતા કહ્યું, ‘ભગત, મારી ભેંસને એરુ આભડી ગયોછે તો તમે ઉતારવા આવશો ?’
‘બાપુ, મને એરુ ઉતારવાના કોઈ મંત્રો નથી આવડતા પણ હું તો માત્ર સ્વામિનારાયણના મંત્રો બોલી જાણું છું.’ ભગતે કહ્યું.
‘ભગત, મોંણ ખાવું હોય તો તમારી મરજી ને આવવું હોય તો હાલો.’ આમ કહી બાપુ ઉચાટ ભર્યા પોતાને ઘેર આવતા રહ્યા.
ભગતના મનમાં થયું જો હું નહિ જાઉં તો કહેશે કે મારી સાથે નથી બનતું એટલે એ ન આવ્યો ને ભેંસ મરી ગઈ. લેને જાઉંતો ખરો. પછી પ્રભુની મરજી. આમ વિચારી ભગતે ઝટઝટ મંદિર વાળી રજની પોટલી બાંધીને પ્રાર્થના કરી. ‘હે મહારાજ ! આજ મારી લાજ રાખજો. ભેંસ મરી ગઈ હોયતો એને જીવાડજો. મારે તો તમારી આસ્થા છે.’
આ બાજુ કાગડોળે ભગતની રાહ જોવાતી હતી. છેલ્લે ડચકે આવી ગયેલ ભેંસની ઘડીઓ ગણાતી હતી. બાપુ પાસે જ ઉભા હતા. ભેંસ મરતાં મરતાંય અકીટશે ધણી સામે નિહાળી રહી હતી. એવામાં એને મોઢે ઓજ આવ્યાં. જીભ બહાર ખેંચાઈ ગઈ. લીલીકાશ આંખોના બેય ડોળા બહાર નીકળી આવ્યા. એની ડોક મરડાઈ ગઈ ને પ્રાણપંખેએરું ઉડી ગયું. નિશ્ચેષ્ટ પડેલી ભેંસને ભાળી દરબારગઢમાં રોકકળ મચી ગઈ. બરોબર એજ વખતે ભગતે ફળિયામાં પગ મૂકયા ને કોઈકથી સહસા બોલાઈ ગયું, ‘હવે બહુ મોડું થઈ ગયું ભગત, તમારે જરા ટાણાસર વહેલું આવવુંતું ને ?’
કશું બોલ્યા વિના ભગતે ભેંસ પાસે જઈ સ્વામિનારાયણ મંત્રના સ્મરણ સાથે ભેંસ ઉપર રજ છાંટી. સહુ એને જોતા રહ્યા.
ભેંસ પાસે બેસી ભગતે ‘વદું સહજાનંદ રસરૂપ’ એ કીર્તન શરૂ કર્યું. આર્તનાદે પદ પછી પદ ગાતા ગયા અને ભેંસ ઉપર રજ છાંટતા ગયા. જયાં ચોથું પદ પૂરું થયું ત્યાં તો ભેંસના શરીરમાં પ્રાણનો સંચાર થયો અને શ્વાસ આવ્યો. થોડીવાર થઈ ત્યાં તો ભેંસે પોતાની જીભ અંદર ખેંચી લીધી. છેલ્લું પદ બોલાયું ત્યાં તો પાતાની ડોક સીધી કરીને એ ઉભી પણ થઈ ગઈ. ભગતે છેલ્લી ચપટી નાખી એટલે ભેંસ ઘાસની ગમાણ તરફ ચાલતી થઈ. આવો ચમત્કાર જોઈ બાપુ આલેકવાળાથી રહેવાયું નહિ. એણે ભગતના પગ પકડી લીધા. એની આંખમાં હર્ષનાં આંસુ ઉભરાઈ આવ્યાં ને ગદ્ગદ કંઠે એ બોલી ઉઠયા, ‘ભગત તમે તો ખરેખર જીવતા જાગતા દેવ છો ! મારી મરી ગયેલી ભેંસને તમે સજીવન કરી ! હું તમારો જીવનભરનો ૠણી છું. મારા આગલા અપરાધો બદલ મને માફ કરો !’
‘બાપુ, આ પ્રતાપ મારો નહિ પણ મારા ભગવાન શ્રી સ્વામિનારાયણનો છે. નીતિ નિયમથી ચાલી એનું ભજન કરજો’ એમ કહી ભગત સ્મરણ કરતા થકા મંદિરે આવ્યા.
ઈષ્ટદેવની આવી અખૂટ આસ્થાને ઓથે મરી ગયેલી ભેંસની સજીવન કરનાર આ ભક્તરાજ હતા વાંકિયા ગામના દેવરાજબાપા ઠુંમર.
આ પછી ભગતનો સવિશેષ મહિમા પ્રસર્યો. ભગતે ઘણાય પરમાર્થનાં કાર્યો કરેલાં. મદિરમાં ભંડારની અગવડતા હતી એ જાણીને બાપુએ પ્રભાવિત થઈને એ માટે જમીન આપી જ્યાં સંતો માટે ભંડાર કરવામાં આવેલો જે આ પ્રસંગની સાક્ષીરૂપે આજેય એ ભંડાર હયાત છે. આ વાંકિયા ગામમાં સત્સંગ ઘણો સારો છે.