વીસ વીઘાનો દોઢ માથોડું ઊંચો દેશી ધોળી શેરડીનો રજવાડી વાઢ પવનનાં લેરખામાં આમથી તેમ ઝૂલી રહ્યો છે. લીલોછમ હરિયાળો આ વાઢ જોનારની આંખનેય ઠારે છે પણ રાત વેળાએ કોણ જાણે કયાંથી એક ડાલામથો સિંહ આવીને આ વાઢમાં ઘૂસી ગયો.
દિવસે વાઢમાં પાણી વાળવા ગયેલ પાણતિયે અંદરની બાજુએ ભીના ધોરિયામાં સૂતેલો આ વિકરાળ સિંહ જોયો કે તુરત એના તો હાજાં ગગડી ગયાં. પાણી વાળવું પડતું મૂકીને એતો બીકનો માર્યો વાઢ બહાર ભાગી આવ્યો. થરથર કંપતા એણે વાઢમાં સિંહ ભરાયો હોવાની વાત કરી જેથી વાઢને પાણી પાવાનું હવે મુશ્કેલ બની ગયું.
રાત વેળાએ ઝપટે ચડેલ ઢોર–ઢાંખરનું મારણ કરી આ ડાલામથો દિવસ દરમિયાન વાઢમાં ભરાઈ રહે. રાતે તો ઠીક પણ દિવસેય કોઈ વાઢ તરફ ફરકવાની હિંમત ન કરે એવી સિંહની ધાક પ્રસરી ગઈ.
વાઢમાં સિંહ પેસી ગયાની વાત જાણી ભાવનગરના રાજવી વજેસિંહજીએ સિંહને વાઢમાંથી હાંકી કાઢવા એક બળકમદાર જમાદારને થોડા સિપાઈઓ સાથે ત્યાં મોકલ્યો.
જમાદારે પોતાનો વટ પાડવા વાઢની આસપાસ સિપાઈઓને ગોઠવી બંદૂકના બાર કરાવ્યા એટલે વીફરેલો સિંહ ભૂરાયો થઈ બહાર ધસી આવ્યો ને એક બે સિપાઈને ઝપટમાં લઈ લોહીલોહાણ કરી નાખ્યા. આથી બીજા સિપાઈઓ અને જમાદાર જીવ બચાવવા મૂઠિયું વાળીને નાસી ગયા ને સિંહ તો પાછો વાઢમાં ભરાઈ ગયો.
સિંહ વાઢમાંથી નીકળતો નથી. એના ડરથી ખેડૂતો એ તરફ જતાં થથરે છે. રોજે રોજ ઢોરને ફાડી ખાધાની સિંહની રંઝાડની વાતો સંભળાય છે. બાપુના પ્રયત્નો છતાં સિંહને ઠાર કરવા કોઈ શૂરો આગળ આવતો નથી. દરબારના દિલમાં ચિંતા અને અજંપો ઉમેરાતાં રહે છે. એવામાં કોઈએ બાપુને આ કામ પાર પાડવા રૂપાભાઈનું નામ સૂચવ્યું એટલે રૂપાભાઈના વિરોધીઓએ ‘ઠીક ટાઢે પાણીએ ખહ જાહે’ એમ માની એ વાતમાં તુરત પોતાનો હાજિયો પુરાવી દીધો.
રૂપાભાઈ તો સ્વામિનારાયણ મહાપ્રભુના આશ્રિત અને ચૂસ્ત સત્સંગી. આ નેકદિલ આદમી વફાદારીથી પોતાની રાજફરજ બજાવે એટલે કેટલાક અમલદારોને એ આંખમાં કણાની જેમ ખૂંચતા. આવા તકવાદીઓએ કાવાદાવા ગોઠવી બાપુના કાન ભંભેરી એમને ચારેક મહિનાથી નોકરીમાંથી છૂટા કરાવી નાખેલા હતા. રૂપાભાઈને નોકરીમાંથી છૂટા કરાયાની વાત બાપુના ધ્યાનમાં તો હતી જ આમ છતાં નિરુપાયે હવે રૂપાભાઈને પાછા બોલાવવા પડયા હતા.
રૂપાભાઈને સંદેશો મળતા એ બાપુ પાસે આવ્યા. સલામ ભરીને બાપુને અભિવંદન કરી બે હાથ જોડીને ઉભા રહ્યા એટલે બાપુએ કહ્યું, ‘રૂપાભાઈ, તમે આજથી તમારી ફરજ પર હાજર થઈ જાવ અને હા, તમારે આપણા વાઢમાં ભરાઈ બેઠેલ સિંહનો સામનો કરી તેને વાઢમાંથી તગેડી મૂકીને પ્રજાને ભયમુક્ત કરવાની કપરી કાર્યવાહી રાજ તરફથી બજાવવાની છે. એ માટે વહેલી તકે તમે આ કામ પાર પાડો એવું અમે સહુ ઈચ્છીએ છીએ.’
‘ભલે, એમ કહી પોતાની મૂક સંમતિ આપી રૂપાભાઈ શ્રીહરિને સંભારતા ઘેર આવ્યા. પોતાને સોંપાએલ આ કઠિન જવાબદારીથી પૂરા સભાન રૂપાભાઈએ ઈષ્ટદેવ શ્રીહરિનું આરાધન આદર્યું.
રૂપાભાઈએ આખી રાત પ્રભુસ્મરણમાં ગાળી. વહેલી સવારે શ્રીજીએ દર્શન આપીને કહ્યું, ‘રૂપાભાઈ, હિંસક પ્રાણીથી પ્રજાનું રક્ષણ કરવું એતો તમારો ક્ષત્રિયનો ધર્મ કહેવાય. કોઈ જાતનો ડર રાખશોમા. તલવાર તો દરબારની જ સાથે લઈને જજો. જમણે હાથે તલવાર ને ડાબે હાથે ઢાલ તરીકે ગોદડાનો ગાભો વીંટી રાખજો. હિંમત રાખજો અમે તમારા ભેળા જ છીએ. આવું અનેરું માર્ગદર્શન મળતાં રૂપાભાઈએ અહોભાવ સાથે પ્રભુને દંડવત્ પ્રણામ કર્યા. પ્રભુ પધારી ગયા પછી રૂપાભાઈએ અંતરના અદકેરા ભાવથી પ્રાતઃપૂજા કરી.
પ્રાતઃપૂજાથી પરવારી રૂપાભાઈ દરબારને બંગલે આવી બાપુને મળ્યા. બાપુ પાસે એમની તલવાર માગી. બાપુએ સહર્ષ પોતાની તલવાર આપીને જોઈએ એટલા સિપાઈઓને સાથે લઈ જવા કહ્યું. પચાશેક ઘોડેસ્વાર સિપાઈઓને સાથે લઈને રૂપાભાઈ વાઢે પહોંચ્યા.
કુશળતાથી વ્યૂહ રચના વિચારી લઈ વાઢની ફરતે અમુક અંતરે ભરી બંધૂકે ઘોડેસ્વારોને ગોઠવી દીધા. સહુને સાવધાન રહેવા સૂચના આપી. પોતે ડાબે હાથે ગોદડાનો ગાભો બાંધી જમણા હાથથાં બાપુની ફૂલધાર તલવાર લઈ પાણીના મુખ્ય ધોરિયા આગળ આવીને ચાંપતી નજરે ઉભા રહી ગયા. પોતાની બન્ને બાજુ વિશ્વાસુ ને શૂરવીર સ્વારનેય સાવચેત રાખ્યા હતા.
સંકેત થતાં જ સ્વારોએ બંદૂકના બાર કર્યા એથી અકળાએલો સાવજ ઊભા ધોરીએ બહાર ધસી આવ્યો ને ત્યાં ઊભેલા રૂપાભાઈ ઉપરજ તરાપ મારી. સાવધ રૂપાભાઈએ તુરત બાજુએ હટી જઈને એની તરાપને ચુકાવી દીધી. વીફરેલો સાવજ હો હો કરતો રૂપાભાઈને ફાડીખાવા દોડયો કે તુર્ત જ એમણે ગાભો બાંધેલો હાથ સાવજના ખૂલ્લા જડબામાં આડો ધરી દીધો ! સિંહે જોરથી બચકું તો ભર્યું પણ એના તીક્ષણ દાંત ગાભામાંજ સલવાઈ ગયા એટલે એણે એમાંથી છૂટવા મથામણ આદરી આ બાજુ રૂપાભાઈએ ઉપરા ઉપરી તલવારના ઘા ઝીંકીને સાવજનું ઠાઠું વેતરવા માંડયું ત્યાં તો સ્વારો મદદે આવ્યા. સાવજને ભડાકે દઈ ઠાર કરી નાખ્યો. એનું જડબું ફાડી રૂપાભાઈનો હાથ બહાર કાઢયો. રૂપાભાઈને ડાબે પગે નાના મોટા થોડા જે ઝખમો થયેલા જેમાંથી લોહી ટપકતું હતું.
સામી છાતીએ હિંમતથી સિંહનો સામનો કરનાર રૂપાભાઈને રંગ છે એમ કહી સહુ કોઈ એમને બિરદાવા લાગ્યા.
રૂપાભાઈની વીરતાની વાત બધે પ્રસરી ગઈ. ચિંતિત ચહેરે વાટ જોઈ રહેલા વજેસિંહજીએ આ સમાચાર સાંભળ્યા ત્યારે એ પણ રૂપાભાઈની વીરતા પર ખુશખુશ થઈ ગયા એટલું જ નહિ બાપુએ કચેરીમાં રૂપાભાઈનું વીરોચિત શાહી સન્માન પણ કર્યું ત્યારે એમના વિરોધીઓ પણ ઝંખવાણા પડી ગયા અને ચારણોએ તો રંગ છે રૂપાભાઈને એમ કહી એમના શૌર્યને ભરસભામાં બિરદાવ્યં હતું.
પરમાત્મા સ્વામિનારાયણ મહાપ્રભુએ પણ રૂપાભાઈને સત્સંગનો ખરો રંગ છે. એમ કહી એમની ધીરજ, પ્રભુનિષ્ઠા, વફાદારી અને શૂરવીરતાને બિરદાવેલ અને બ્રહ્મમુનિએ ‘હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખે’ એ ચાર પદનું શૂરતા પ્રેરતું કીર્તન આ પ્રસંગને લક્ષમાં રાખીને બનાવેલું જેનાં પદની પ્રત્યેક પંક્તિમાં સત્સંગની સમજણ અને આજ્ઞાપાલનનું શૌર્ય છલકાય છે.