શ્રીજી અને સંતોના યોગમાં આવતા ગોંડલના શેખમિયાંને શ્રીજી મહારાજમાં અનન્ય આસ્થા અને અચળ નિષ્ઠા બંધાઈ ગઈ હતી. મુસ્લિમ બિરાદર હોવા છતાંય એ રહેણીકરણી અને સત્સંગના નિયમપાલનમાં હિન્દુથીય સવાયા બની રહ્યા હતા.
શેખમિયાં જ્યારે શ્રીહરિના દર્શને આવે ત્યારે પ્રભુ એમને ફૂલહાર આપી આદર સત્કાર કરે ને સભામાંય આગળ બેસારે પણ કેટલાક કાઠીઓને મન તો એ મુસ્લિમ. એનો આવો આદર સત્કાર એમને તો આંખના કણાની જેમ ખૂંચે.
એકવાર શેખમિયાં ગઢપુર દર્શને આવ્યા. પ્રભુએ એમને ફૂલહાર અર્પણ કરી સભામાં આગળ બેસાર્યા આથી ડંખિલા કાઠીઓ મનમાં સમસમી ગયા. કેટલાક તો સભામાંથી ઉઠી એક બાજુ ખૂણે ગુસપુસ વાતોએ વળગ્યા. ‘ભણે આ યવનનું માન સન્માન મહારાજ ભલેને કરે. એની કયાં ના છે પણ એ ગોલકુનો યવન આપણી આગળ બેસે એ તો બિલકુલ વ્યાજબી નથી લાગતું.’
અંતર્યામી શ્રીહરિએ કાઠી ભક્તોની આ અકળામણ ઓળખી લીધી. સમજ્યા વિના આવી ટીકા કરનારાઓ અને આ શેખમિયાંની સ્થિતિ વચ્ચેની આકાશપાતાળ જેવી વાસ્તવિકતાનું ભાન કરાવવા મહારાજે મનોમન નક્કી કરી લીધું.
કથાવાર્તા પૂરી થતાં સહુ ભક્તો ઉઠીને ચાલતા થયા પછી પોતા પાસે બેસી રહેલા શેખમિયાંને શ્રીજીએ કહ્યું, અહીં ડોક ઉપર જરા રગતગ જેવું થઈ ગયું હોવાથી ‘તમે ઊભા થઈ જરા હળવે હાથે અમને ડોક ઉપર તમારા હાથથી કાંઈક થોડું મારો તો રાહત થાય.’
આ સાંભળી શેખ કહેવા લાગ્યા, ‘અરે મહારાજ ! આપ આ શું બોલ્યા ? તમે તો અમારા જીવનપ્રાણ. ખુદાતાલને કદી કોઈથી માર મરાય ? એવો ઘાટ થાય તોય અમે પાપમાં પડીએ !’
‘પણ શેખ, આમાં જોરથી મારવાની તો વાત જ કયાં છે ? ખાલી હળવે હાથે થપથપાવવાનું છે.’ શ્રીજીએ સ્પષ્ટતાં કરતાં કહ્યું.
‘પ્રભુ, એમ થપથપાવવામાંય મારો હાથ કેમ ઉપડે ?’ શેખે પોતાની અનિચ્છા દર્શાવતાં કહ્યું.
‘ખુદ અમે કહીએ છીએ પછી એટલું કરવામાં તમને શો બાધ છે ?’ શ્રીજીએ આગ્રહપૂર્વક કહ્યું.
આમ કરાવવા પાછળ પ્રભુનો શો આશય હશે એમાં કાંઈ શંકા લાવ્યા વગર વિશ્વાસુ શેખમિયાંએ કહ્યું, ‘આપનો આગ્રહ છે તો લ્યો, હું હળવેથી આપને મારું, બસ.’ આમ કહી શેખે હાથ ઊંચો કર્યો.
શેખનું આવું વેણ સાંભળતાં જ એને ગુનેગાર ઠેરાવી શ્રીજીએ ઊંચે સાદે હાકલ કરી, ‘એલા, આટલામાં અમને બચાવે એવો કોઈ હોય તો દોડજો ? આ શેખમિયાં હું તમને મારું એમ કહી અમને દમદાટી આપી ડરાવે છે તો શું અમે એનું કાંઈ બગાડયું છે ?’
‘બોલો, પ્રભુ શી આજ્ઞા છે ? એમ કહેતાંકને પાંચ છ કાઠી યુવાનો દોડી આવ્યા.’
‘જાવ આ મારકણા મિયાંને ધક્કા મારીને અહીંથી આઘો લઈ જાવ નહિ તો વળી કયાંક અમને મારશે ?’
ખેધીલા કાઠી તો લાગ જ જોતા હતા. એમાં પ્રભુનો આવો આદેશ મળે પછી એ ઓછા ઉતરે ખરા ? એમણે તો શેખને તતડાવીને ધક્કા ને મૂક્કા મારી ઓસરી હેઠે ઉતારી મૂકયા ને કહેવા લાગ્યા, ‘સાલા મુલ્લા, મહારાજ માથે હાથ ઉપાડતા તને શરમ ન આવી ? ખોલકુના કાંઈ પીને તો નથી આવ્યોને ? ગધીના તું અહીંથી ચાલ્યોજ જા, નહિ તો માર્યા વિના નહિ મૂકીએ ? મહારાજના ઉપકારનો આવો બદલો વાળવા તૈયાર થયો, હરામી ?’ ચોપાસથી આવાં તીખાં તમતમતાં વાગ્બાણોની વૃષ્ટિ થવા માંડી.
અચાનક આ શું બની ગયું એનો વિચાર કરતા શેખ તો સાવ ઊંડા ઉતરી ગયા. કશુંય બોલ્યા વિના મૂંગે મોંએ તિરસ્કાર સહી લીધો ને એકબાજુ બેસી મનમાં ભજન કરવા માંડયું.
બપોર થયા ને જમવાની પંક્તિઓ પડી પણ શેખ તો ત્યાંજ બેસી રહ્યા. એમની ભૂખ તો આજે મરી ગઈ હતી. કોઈ દયાળુ સંત એમની તાંસળીમાં ખાવાનું આપી ગયા. પ્રભુને સંભારી શેખે જમવાનું શરૂ કર્યું. એવામાં શ્રીજી ત્યાંથી પસાર થયા ને બોલ્યા, ‘એલા, આને ખાવાનું કોણે આપ્યું ? કાઢી મેલો એને અહીંથી ?’
આટલો ઈશારો થતા શેખ પર તડાપીટ બોલવા માંડી. કોઈકે ખોબો ભરીને તાંસળીમાં ધૂળ નાખીને ખાવાનુંય ટાળી નાખ્યું ! છતાં શેખ તો પ્રભુસ્મરણ કરતા ત્યાંજ બેસી રહ્યા. દેદેકારો વધવા લાગ્યો એટલે શેખ ત્યાંથી ચાલતા થયા. યુવાનોએ ધૂળ ઉડાડી ને કાંકરી ચાળોય કર્યો. શેખ બધું જ સહન કરતા થકા ઘેલે આવ્યા. સ્નાન કરી થોડીવાર ત્યાં વિચારમાં બેઠા. એમની આંખોમાં આંસુઓ ઉભરાયાં, થોડું રડી લઈને પોતે જાતે જ સ્વસ્થ થઈ ગયા. પોતાની માથે અટાટની આ કયાંથી આવી પડી ? શ્રીજીના આ ગૂઢ ચરિત્રમાં એમને કાંઈ સમજાયું નહિ. મનમાં થયું પ્રભુ કોચવાયા છે એટલે અહીં રહીશ તો વધારે કોચવાશે. એમ માની ઘેલાનું જળપાન કરી, અફસોસ અને આરાધન સાથે ગોંડલ પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા. ગોંડલ આવી મનમાંથી બધો જ ભાર ઉતારવાનો પ્રયાસ કરીને દરબાર હઠીભાઈને ત્યાં રાજની નોકરી પર હાજર થઈ ગયા.
શ્રીજીએ શેખની તપાસ કરાવી તો જાણવા મળ્યું કે એતો ગોંડલ જતા રહ્યા છે. પોતાના અનન્ય સેવકને તળિયા સુધી તપાસી તેના નક્કર નિશ્ચયની સહુને જાણ કરાવવા સારુ શ્રીજીએ ગોંડલ સંદેશો લખી મોકલ્યો, ‘શેખમિયાં અહીં ગઢડે આવેલો ત્યારે અમને મારવાનું કહીને ત્યાં નોકરી પર હાજર થઈ ગયો છે તો આવા ક્રૂર માણસને નોકરીમાં ચાલુ રાખશો નહિ.
હઠીસિંહજીએ શેખને આવા કૃત્ય બદલ બોલાવી ઠપકો આપી નોકરીમાંથી રજા આપી ત્યારેય શેખે એક શબ્દય ન ઉચ્ચાર્યો. કેવળ પશ્ચાતાપનાં આંસુ સારી લીધાં. ગુજરાનનું સાધન ઝુંટવાઈ જતાં થોડી મૂંઝવણ થઈ પણ ઘરમાં કે બહાર કોઈને કશી વાત ન કરી. હશે મહારાજની મરજી. દાસના દુશ્મન હરિ કદી હોય નહિ. એમ મનનું સમાધાન કરી સંકટમાય સમજણ કેળવી મનને સ્વસ્થ રાખવા પ્રયાસ કર્યો. નોકરીની શોધમાં ફરતાં ફરતાં એ રાજકોટ આવ્યા. અહીં કોઠી કંપાઉન્ડમાં અંગ્રેજ એજન્સીમાં એમને નોકરી મળી ગઈ. મનના ઘાટસંકલ્પોને દબાવી ધીરજ અને પ્રભુસ્મરણમાં દિવસો વિતાવે છે.
નાતિલા અને સત્સંગના દ્વેષીલાઓને આ પ્રસંગની જાણ થતાં શેખની પાસે આવી શ્રીજીનું વાંકું બોલી શેખને પાછા વાળી લેવા પ્રયાસો આદર્યા પણ શેખે જરાય મચક ન આપી ને રોકડું પરખાવતાં કહ્યું, ‘મહારાજ તો મારા માલિક છે એ ભલે મને હડધૂત કરે તોય એનો મને જરાય અભાવ નહિ આવે.’
શેખને જીવમાં ઊંડે ઊંડે મહારાજની કોરનો એવો ભરોંસો તો ખરો કે એ પ્રભુ મારું કદી બૂરું તો ન જ કરે. મારામાં કાંઈ કચાશ હશે એટલે મને આમ તાવીને શુદ્ધ કરવા માગે છે. પ્રભુના દર્શનની ઘણી તાણ રહે પણ આજ્ઞા વિના જવાની હિંમત ન હાલે. પરિતાપમાં ઘણીવાર આંખોમાં આંસુઓ આવે. આ અકળામણ અને અજંપામાં એમનું શરીર પણ ઘણું પાછું પડી ગયું.
છએક મહિના બાદ દાદા ખાચરને એજન્સીના કામકાજે રાજકોટમાં રોકાણ થયું. શેખે આ સમાચાર જાણ્યા એટલે એમનું અંતર અધિરું બની ગયું. દાદા ખાચરના ઉતારાનો પત્તો મેળવી શેખ જ્યારે એમને મળવા આવ્યા ત્યારે એનું હૈયું હાથ ન રહ્યું ને ધ્રુસકે ને ધ્રુસકે એ રડી પડયા. દાદાખાચરે એમને સાંત્વના આપવા માંડી ત્યારે શેખે થોડા સ્વસ્થ થઈ હિબકાં ભરતાં કહેવા માંડયું, ‘મને પૂર્વનાં પાપ આડાં આવ્યાં ને મને કમત સૂજી ને મારાથી અવળું બોલાઈ ગયું. હું અપરાધી છું. પ્રભુ તો બહુ દયાળુ છે. બધું જ જાણે છે છતાંય મારા વતિ અરજ કરજો કે મને માફી આપી પાછો અપનાવી લીએ. મને અંતરમાં અસુખ રહ્યા કરે છે. મારો જીવ પણ બળ્યા કરે છે.’ આટલું બોલતા એમને ગળે ડૂમો આવી ગયો. કંઠ રૂંધાયો ને હૈયું ભરાયું આગળ કશું બોલી ન શકાયું. આથી દાદાખાચરે એને આશ્વાસન આપી થોડા સ્વસ્થ કર્યા.
શેખે અશ્રુભરી આંખે કહ્યું, ‘મારી નમ્ર અરજ છે કે દયા કરીને એકવાર મહારાજના મને દર્શન કરાવજો.’ આમ કહી શેખે વિદાય લીધી. દાદા ખાચર એને જતાં જોઈ રહ્યા. દાદા ખાચરે આ બધી હકીકત મહારાજને ગઢડા લખી જણાવી. શ્રીજીનો વળતો જવાબ પણ આવી ગયો કે શેખમિયાં જેમ કહે તેમ કરજો. હું એમની ઉપર રાજી છું.
દાદા ખાચરે શેખને બોલાવી સઘળી વાત કરી ને ગઢડા જવા ભેળા લીધા. ગઢપુરનો સીમાડો આવતા જ શેખ ઘોડેથી ઉતરી ગયા. મોંઢામાં ઘાસનાં તરણાં લીધાં. બંને હાથ જોડી દીનવદને એ દરબારગઢમાં આવ્યા. જ્યાં શેખને હડસેલા લાગ્યા હતાને ? જોગાનું જોગ એજ ઉગમણી ઓંસરીએ શ્રીજી સભામાં વિરાજ્યા હતા.
આવતાની સાથે જ શેખે તો ફળિયામાં જ પ્રભુને દંડવત્ કરવા માંડયા. એટલે શ્રીજી સફાળા ઉભા થઈને શેખ પાસે આવ્યા ને એમને દંડવત્ કરતા રોકી લીધા. ‘પ્રભુ, મારો અપરાધ માફ કરો.’ આમ બોલતા શેખ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. મોંમાંથી તરણાય નીચે પડી ગયાં. આવું કરુણ દૃશ્ય જોઈ સહુ સ્તબ્ધ બની ગયા. શ્રીજીએ એમને મસ્તકે હાથ મૂકી આશ્વાસન આપ્યું ને એમનો હાથ ઝાલી ઓંસરી ઉપર લાવ્યા અને પોતાની પાટ પાસે સહુ ભક્તોની આગળ બેસાર્યા. શેખે આંસુભરી આંખે સહુને પ્રણામ કર્યા.
શ્રીજી કરુણાભીના થકા સહુને કહેવા લાગ્યા, ‘આ શેખમિયાંને અમે કૂતરાની જેમ હડકાર્યો વળી એની માથે ન થવાનું બધુંય થયું છતાં એને અમારો જરાય અભાવ ન આવ્યો ! અમારે એવા ભક્ત ઉપર તો વગર કર્યું હેત રહે છે.’
શ્રીજીનાં આવાં કૃપાવચનો સાંભળી સહુ કહેવા લાગ્યા, ‘હા મહારાજ, આપની વાત સાચી છે. અમે તો એ બધું નજરે જોયું ત્યારે મનમાં થયું કે વગર વાંકે આ શેખના જેવી જો બીજાની કસોટી આપે લીધી હોય તો એ વળી મૂળગેથી જાય.’
કાઠી ભક્તોનો શેખ અંગેનો સઘળો સંશય આજે સાવ નિર્મૂળ થઈ ગયો. સહુના અંતરમાં હા પડી ગઈ કે એ ખરેખર આગળ બેસાર્યા જેવા આદરણીય ભક્તરાજ છે.