ઢોલ ઢબૂકયા શરણાયુંના તીવ્ર તીણા સૂરો વાતાવરણમાં રેલાયા ને વરપક્ષની તેમજ કન્યાપક્ષની મહિલાઓના કંઠે જોરજોરથી ગવાતાં સુરિલાં ગીતોથી તો જાણે ગગન ગૂંજી ઉઠયું ! મેમકાથી પરણવા આવેલ રામજી શેઠના દીકરા અમરશીની જાન વિદાય થઈ રહી હતી. જાન ઊઘલીને જ્યારે મેમકાના માર્ગે ચડી ત્યારે શેઠે હૈયામાં ભારે હળવાશ અનુભવી અને પોતાના મનમાં શ્રીહરિનો ભારે પાડ માન્યો.
લાડેકોડે દીકરાને પરણાવી ઘર તરફ જઈ રહેલા રામજી શેઠ અને જાનૈયાના અંતરમાં જેમ ભારે ઉમંગ હતો તેમ ઘર તરફ જવામાં અધિરા બનેલા જાનના ધોરી પણ ઘૂઘરમાળ રણકાવતા ઉતાવળી ચાલે વેગથી ચાલી રહ્યા હતા એટલે શેઠની ગણતરી એવી હતી કે નહિ નહિ તોય ઝાલર ટાણે તો મેમકાના પાદરમાં જરૂર પહોંચી જવાશે. અહૂર થઈ જાય ને અંતરિયાળ કયાંક જાન ઉપર જતવાડના જતોની લૂંટારું ટોળી ત્રાટકે તો તો આપણી આબરુને બટ્ટો જ લાગી જાયને?
શેઠની ભીતિ પણ સાવ ખોટી નહોતી. જતવાડના આ ઝેરિલા જતો જાનને લૂંટતા ને ગજબનો આંતક ફેલાવતા. વળી આવા ધનવાન શેઠની જાનમાં દરદાગીના તેમજ માલ મિલકતનો સારો દલ્લો મળે એવી ગણતરીથી જો કાંઈક લાગ મળે તો જતની ટોળી જરૂર જોર કરે એવી સંભાવના કાંઈ નકારી શકાય એમતો જરાય નહોતી.
કોઠારિયા ગામ નજીકમાં આવતા જાનડિયુંએ જોર જોરથી ગીતો ઉપાડયાં. જાનની વાટ જોઈને ઊભેલા સંબંધીઓ ગીતો સાંભળીને જાન જોવા દોડી આવ્યા. હા ના હા ના કરતા શેઠની જાનને કોઠારિયાના પાદરમાં ન છૂટકે રોકાવું પડયું. જાનને શીતળ શરબત પાવામાં આવ્યાં.
કોઠારિયા ગામથી નીકળતાં જ સાંજ તો પડી ગઈ હતી અને સવિતાદેવ પણ અસ્તાચળના ઓથે છુપાવાની તૈયારીમાં હતા. વળી શિયાળાનું ટાણું એટલે અંધારું થતાં બહુ વાર ન લાગે. શેઠ અગમચેતીથી એક બે વળાવિયા તેમજ ત્રણ મશાલચીને સાથે લીધેલા. મશાલો ચેતાવીને સહુ આનંદથી આગળ ચાલ્યા. મેમકા હજુ છ સાત માઈલ દૂર હતું. અંધારું ઘૂંટાઈને ઘાટું થતું જતું હતું. એકાદ માઈલ ગયા ત્યાં શેઠના કાને અવાજ અથડાયો, ‘અટાણે હવે આગળ જશો નહિ, સહુ પાછા વળો.’ આથી રામજી શેઠે પાંચેય ગાડાં ઊભાં રખાવ્યાં ને પૂછયું, ‘આ ટાણે આગળ જશો નહિ ને પાછાં વળો એમ કોણ બોલ્યું ?’ ત્યારે સહુએ કહ્યું, ‘અમે તો કોઈ કશું બોલ્યા નથી.’ આથી જાન આગળ રવાના થઈ એટલે પાછો ફરી એનો એજ અવાજ આવ્યો. ‘પાછા વળો આગળ જશો નહિ.’
સુજ્ઞ રામજી શેઠ પોતાના મનમાં સમજી ગયા કે આ તો મારા પ્રભુ શ્રીહરિ જ ના પાડે છે. માટે હવે આગળ જવું નથી. શેઠે ગાડાં પાછાં વાળ્યાં ત્યારે સહુ ભારે અચંબો પામી ગયા પણ શેઠની શેહ શરમ આગળ કોઈ કશું બોલ્યા નહિ અને જાન કોઠારિયામાં રાત રહી ને બીજે દિવસે સવારે ચાલ્યા ને હેમખેમ મેમકા આવી પહોંચ્યા.
આ પછી ગાડાવાળા ભગા પટેલ બીજે દિવસે જતવાડ વિસ્તારમાં કોઈ ગામે કામ પ્રસંગે ગયા ત્યારે ત્યાંના કોઈ જતે પરિચિત પટેલને વાત કરી, અમે વીસ ઘોડેસ્વાર કોઠારિયા ને મેમકા વચ્ચે કાળોલ તળાવે સંતાયા હતા. શેઠની જાનનું બધું જ જરઝવેરાત લૂંટી લેવું એવી ગણતરી હતી. વળી જાન કોઠારિયાથી આ બાજુ આવવા નીકળી છે એવી પાકી બાતમી મળેલી. દૂરથી મશાલોય બળતી અમોએ દેખીને હરખાયા. આમ છતાં એ જાન અડધે રસ્તેથી પાછી કેમ વળી ગઈ? શું શેઠને અમારી ગુપ્ત બાતમી મળી ગઈ હતી કે કેમ ?’
આ સાંભળી આશ્ચર્ય અનુભવતા ભગા પટેલે કહ્યું, ‘હુંય ભેળો જ હતો. આવી વાત તો કાંઈ થઈ નહોતી પણ શેઠે જ્યારે ગાડાં પાછાં વાળ્યાં ત્યારે અમને સહુને ભારે નવાઈ લાગી હતી.’
‘રામજી શેઠ સ્વામિનારાયણના ભગત ખરાને ?’ એટલે એમના ભગવાને એમનાં ગાડાં પાછાં વાળીને બચાવી લીધા. નહિ તો અમે મરણિયા થઈને શેઠની જાનને લૂંટયા વિના મૂકેત નહિ. અમારી સહુની મનની મનમાં જ રહી ગઈ.’
આ વાત ભગા પટેલ પાસેથી રામજી શેઠે જાણી ત્યારે શેઠના અહોભાવનો પાર ન રહ્યો ને એના મોંમાંથી શબ્દો સરી પડયા : ‘વાહ મારા પ્રભુ વાહ ! તમોએ અમને આજે આબાદ ઉગારી લીધા. નહિ તો અંતરિયાળ જાનનાં ગાડાં લૂંટાત અને આબરુને બટ્ટોય લાગત.’