વડતાલના પ્રેમીભક્તરાજ જોબન ભાયા પગીપરિવાર, ઉદારદિલ બાવા નારાયણગરજી, વાસણ સુતાર આદિક ભાવિક ભક્તજનોના ભારે આગ્રહથી ઈષ્ટદેવ શ્રીહરિએ વડતાલમાં શિખરબંધ મંદિર કરવાનો નિર્ણય કર્યો ને એ કઠિન કાર્યની જટિલ જવાબદારી સ્થાપત્ય કલાના કસબી સદ્. બ્રહ્માનંદ સ્વામીને સોંપવામાં આવી.
સદ્. બ્રહ્માનંદ સ્વામીએ પણ ઈષ્ટદેવ શ્રીહરિની આ આજ્ઞા સહર્ષ શિરધરી, પોતાની સઘળી નિપુણતા ને શ્રીજીદત્ત સૂઝને સહારે રાત્રિ દિવસ સતત પરિશ્રમ કરી સત્સંગના ભાવિ વિકાસને ધ્યાનમાં રાખી નવ શિખરનું નમૂનેદાર સુંદર સોહામણું નવ્ય ભવ્ય મંદિર તૈયાર કર્યું અને એમાં સં. ૧૮૮૧ના કાર્તિક સુદ–૧રના શુભદિને શ્રીહરિના શ્રીલક્ષ્મીનારાયણ દેવ તેમજ શ્રીહરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિ સ્વરૂપોની વેદોક્ત વિધિએ પ્રતિષ્ઠા પણ થઈ.
પ્રબોધનીનો સમૈયો ને દેવની પ્રતિષ્ઠાનો પુનિત પ્રસંગ એટલે વડતાલમાં દર્શનકરવા માનવમહેરામણ ઉમટયો હતો. આ ધન્ય અવસરે સજાગ અને દીર્ઘદર્શી બ્રહ્મમુનિએ શ્રીહરિને મંદિરના મમત્વથી વિનતી કરીને કહ્યું, ‘પ્રભુ, આજે આપનું પૂજન કરવાની રજા આપો. હરિભક્તોના મનોરથ પૂરા થાય ને મંદિરની સેવાય થાય. એવી સહુની ઈચ્છા છે.’
મંદિરની મમત્વભરી બ્રહ્મમુનિની અરજ ધ્યાનમાં લઈ પ્રભુએ પ્રસન્નતાપૂર્વક પોતાની સંમતિ આપી. આથી બ્રહ્મમુનિએ સભામાં આ બાબતની જાણ કરી પરિણામે ભક્તોએ મંદિરની સેવા નિમિત્તે અનેરા ભાવથી પ્રભુની પૂજા કરી અને મન મૂકીને ભારે ભારે ભેટો અર્પણ કરી. તે એક દિવસે એ સમયમાં રૂા. પચ્ચીસ હજાર ઉપરાંત ભેટ આવેલી જેમાંથી મંદિરનો સઘળો ખર્ચ નીકળી ગયો.
મમત્વ વિના તો કોઈ સ્થાન સચવાય નહિ એ રીતે બ્રહ્મમુનિ પણ મમત્વ રાખી વડતાલ મંદિરની સઘળી સેવા પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા. એમની ઉપલી પ્રકૃતિ જોઈ કેટલાકને મનમાં થયું અને વાતોય થતી હતી કે સ્વામી તો વડતાલ મંદિરમાં બંધાઈ ગયા લાગે છે. આવી વાત શ્રીહરિના જાણવામાં આવી. એ અંતર્યામી તો બધું જાણતા હતા છતાં બ્રહ્મમુનિના અંતરમાં રહેલું નિરબંધપણું બીજાને જાણવામાં આવે એવા ઉમદા આશયથી વડતાલમાં સંતોની સભામાં જ શ્રીહરિએ હસતાં હસતાં કહ્યું, ‘બ્રહ્મમુનિ, મંદિરનું મોટા ભાગનું કામ તો પૂરું થયું છે. બાકીનું કામ તો બીજા સંતોય કરશે પણ અમારાં કીર્તનો તમારા વિના કોણ કરશે ? તમે અહીં મંદિરની સેવા પ્રવૃત્તિમાં રોકાયા એથી તો અમારાં કીર્તનો બંધ થયાં. અમારે તમને કીર્તન ભક્તિના ભોગે આ પ્રવૃત્તિમાં બંધાવા દેવા નથી માટે અમ ભેળા હવે ગઢડા ચાલો.’
આ સાંભળીને ત્યાં બેઠેલા સહુ સંતો તો સ્તબ્ધ થઈ ગયા પણ બ્રહ્મમુનિના મુખનો ભાવ ન બદલ્યો. એમણે તુર્ત જ સહર્ષ શ્રીહરિની આજ્ઞાને શિરે ચડાવીને કહ્યું, ‘મહારાજ, મારી પણ હવે એજ ઈચ્છા છે કે હવે આ મંદિરનું કામકાજ પૂરું થયું એટલે હું આપની સમીપે રહી આપના ગુણ ગાયા કરું. અહીં આપના પ્રત્યક્ષ દર્શન વિના ઘણીવાર અંતરમાં અજંપો ને અકળામણ થઈ આવે છે.’
‘તો ચાલો અમારા ભેળા ગઢડા ને લ્યો આ ફૂલહાર.’ એમ કહી શ્રીહરિએ પોતાની ડોકમાંથી પ્રસન્નતાપૂર્વક ફૂલહાર કાઢીને બ્રહ્મમુનિને પહેરાવી દીધો.
બીજે દિવસે સવારમાં બ્રહ્મમુનિ સર્વ ઉપાધિ અંતરમાંથી અળગી કરીને શ્રીહરિના કહેવા પ્રમાણે સદ્. અક્ષરાનંદ સ્વામીને ભલામણ કરી પોતાની ઝોળી ખભે ભરાવી શ્રીહરિ સાથે ચાલવા તૈયાર થયા એટલે શ્રીજીએ સ્વામી માટે એક ઘોડાની વ્યવસ્થા કરી. સંતો, પાળા ને મહારાજ સહુ વડતાલથી ગઢપુર આવવા ચાલી નીકળ્યા.
સ્થાનનો મોહ છૂટવો કે મૂકવો મુશ્કેલ છે. આહાહા !! બ્રહ્મમુનિ જેવા સર્વ પ્રકારે સમર્થ મહાપુરુષ શ્રીજીની આજ્ઞા થતાં સ્થાનની મમતા મૂકીને આમ ચાલી નીકળે અને એ પણ આવી મહાન પરિશ્રમભરી સેવાને અંતે ! તૈયાર થયેલ આવા નવા સ્થાન પ્રત્ય મમતા કે મોહ જરાય ન વળગે એ કાંઈ નાનીસૂની વાત નથી અહા ! એને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે કેવી અજબ શ્રદ્ધા હશે ! એમનો કેવો પરિપૂર્ણ મહિમા સમજ્યા હશે ! એમના વચનમાં કેવો વિશ્વાસ !! સામાન્ય જીવનું એ ગજું નથી ! એતો પ્રકૃતિથી પર મુક્તાત્માથી જ આ થઈ શકે.
સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ પ્રસંગનો ભક્તચિંતામણિના ૯૮મા પ્રકરણના અંતમાં ઉલ્લેખ કરી બ્રહ્મમુનિની સમજણને અંજલિ આપતા નોંધેલ છે કે :–
આવીતી બ્રહ્માનંદને ભાગ, તેહ ઉપાધિ કરાવી ત્યાગ;
નિરબંધનું બંધન કાપી, નિજ સમીપની સેવા આપી.
આવા નિરબંધ સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીને તો વારંવાર કોટિ કોટિ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીએ.