‘તમારી શિક્ષાપત્રીમાં એવું લખ્યું છેને ? પોતાનો કે પારકો દ્રોહ થાય એવું સત્ય વચન ન બોલવું. ભણે એનો અર્થ તો એ થયો કે તમને દ્રોહના ઓથે ખોટું બોલવાનો પીળો પરવાનો મળી ગયો, ખરુને ?’ વાંકિયા ગામના એક કાઠી દરબારે સ્વામિનારાયણના એક ચૂસ્ત સત્સંગી પ્રત્યે ટીકાનું તીર છોડતાં કહ્યું.
‘અરે ! બાપુ, એવું તે કાંઈ હોતું હશે !! પ્રભુ કોઈ દિવસ અસત્યને ઉત્તેજન આપે ખરા ? એની પાછળ રહેલું ખરું રહસ્ય તેમજ વિવેક આપના સમજ્યામાં આવેલ નથી એટલે આપ એનો આવો અર્થ ઘટાવો છો.’ વિપ્રે વિનયથી વાત કરતાં કહ્યું.
‘ભણે, તમે વિવેકની વાત વળી કયાં માંડો છો ? આમાં તો સત્યને ગળેટૂંપો દેવાતો હોય એવું જ ચોખ્ખું લાગે છે.’ દરબારે કહ્યું.
‘જુઓ દરબાર, આમાં તમે કહો છો એમ સત્યને ગળે ટૂંપો દેવાની કે ખોટું બોલવાના પીળા પરવાના જેવી કોઈ વાત છે જ નહિ પણ આમાં તો સત્ય સાથે વિવેક વણવાની સનાતન શાસ્ત્રીય વાત છે. શાસ્ત્રને મતે સત્ય હમેશાં પ્રિય અને હિતભર્યું હોવું જોઈએ. જે સત્ય બોલવા જતાં કોઈનું દિલ દુભાય, મનમાં સંતાપ ઊપજે ને હિંસાને પ્રોત્સાહન મળે એવું સત્ય વચન ઉચ્ચારવા કરતાં મૌન રહેવું શું ખોટું ? એથી કજિયો કંકાસ કે વેરઝેર તો ન વધે ?’ નીડર વિપ્રવર્યે સત્યની સ્પષ્ટતા કરતાં કહી સંભળાવ્યું.
‘ભણે એ શું બોલ્યા ? સાચું ભણવાથી શું કોઈને વળી દુઃખ થતું હશે ? સાચું એટલે વળી સાચું. એમાં પછી વળી ઘરની ઘાલમેલ શું કરવાની હોય ? જેવું દીઠું હોય એવું કહી દેવું એમાં કોઈને દુઃખ થાય તો ભલે થાય.’ દરબારે પોતાનો દુરાગ્રહ દોહરાવતા કહ્યું.
‘બાપુ, આપ ભલે એ કહો પણ સાચું તો સગી માનેય કદી ગમતું નથી, હોય એવું બોલી નાખવાથી કયાંક એમાંથી જ કોઈકનું મોત ઉભું થાય એના કરતાં તો એની એ વાત એનું હિત દેખાડીને હેતથી કહી હોય તો સાંભળનારને ગુણ આવે. એની ભૂલેય ઓળખાય. ભૂલને સુધારવાની પ્રેરણા મળે પણ વિવેક વગર કહેવા જતાં જરૂર એમાંથી કોઈને મનમાં કડવાશ ઊભી થાય !’ ભૂદેવે વિવેકથી કહ્યું.
‘સાચું હોય એમાં કોઈએ કડવું લગાડવાનું હોય જ નહિ. એતો સહુને સાંભળી લેવું પડે.’ દરબારે દમામ દેખાડતા કહ્યું.
‘જો આપ આમ જ માનતા હો ને કહેતા હો તો લ્યો આપને જ જેવું છે એવું સત્ય કહી સંભળાવું. એમાં કાંઈ ખોટું તો નહિ લાગેને?’ કાઠીને કળાથી આંટીમાં લેતા વિદ્વાન વિપ્રે કહ્યું.
‘ભણે આપણને કોઈ સાચું કહે એમાં વળી ખોટું શીદ લગાડવાન હોય ? તમ તમારે સાચું જે કહેવું હોય એ કહો મને જરાય ખોટું નહિ લાગે. આ ડાયરો એનો સાક્ષી છે.’ દરબારે ખોંખારો ખાતાં કહ્યું.
‘જુઓ, બાપુ તો તમેય સાંભળી લ્યો. આપણા વાંકિયા ગામમાં મરી ગયેલાં ઢોરને ઢેઢ લોકો બિચારા ગામ બહાર લઈ જઈને દૂર ઊખેળે છે અને તમે લોકો તો સીમમાં જીવતાં જીવને મારીનેે ગામમાં લાવો છો ને વળી ઘરમાં ઊખેળો છો, ખરું ને ? એ લોકો બાપડા ગામ બહાર રહે અને તમારો દરબારગઢ ગામ વચાળે ! હજુ સાચું કહું તો તમારો આ ઢેઢવાળો ગામની વચ્ચે નહિ પણ ગામ બહાર હરિજનવાસ ભેળો જોઈએ. એ લોકો મરેલનું માંસ ખાય છે અને તમે તો જીવતાંને ફાડી ખાવ છો, બોલો ખરુંને ? આમાં મેં કાંઈ ખોટું કહ્યું હોય તો કહો ?’ વિપ્રે લાગ મળતાં તીખાં તમતમતાં બાણ જેવાં વચનો મારતાં સાચે સાચું કહી સંભળાવ્યું.
મોઢાંમોઢ આવાં મર્મ ભર્યાં ઉઘાડાં સત્ય સમાં વચનો સાંભળી દરબારને તો કપાળમાં બળબળતો ડામ દીધાં જેવું વસમું લાગ્યું પણ કરેય શું ? પોતે જ આગળથી બંધાઈ ગયા હતા એટલે ગમ ખાઈ ટાઢા કાન કરીને સાંભળી લીધા વિના છૂટકો નહોતો પણ શિક્ષાપત્રીમાં પરમાત્મા સહજાનંદ સ્વામીએ કહેલી સત્ય બોલવા અંગેના વિવેકની વાત એમને હવે બરોબર સમજાય ગઈ.
શિક્ષાપત્રીમાં સર્વાવતારી સહજાનંદ સ્વામીએ લખેલ ‘સ્વપર દ્રોહ જનનં સત્યં ભાષ્યં ન કર્હિચિત્
એ અનુપમ આદેશમાં રહેલ સત્યના ઊંડા મર્મને જાણી અન્યને સત્યની પ્રતીતિ કરાવનાર હતા સત્યના સૂક્ષ્મ મર્મજ્ઞ અને શ્રીજીના અનન્ય ઉપાસક વાંકિયાવાસી વિપ્રવર્ય વૈજનાથભાઈ વ્યાસ.