ફાગણ સુદ ચૌદશનો ચંદ્ર આકાશમાં પ્રકાશી રહ્યો છે. ચોતરફ ઢોળાઈ રહેલ શીતળ ચાંદનીમાં ગરવા ગિરનારની રળિયામણી ટૂંકો શોભી રહી છે. મધરાતનો સૂનકાર સર્વત્ર છવાયો છે. એવા ધન્ય અવસરે જૂનાગઢ પ્રણામી મંદિરની ઓસરીમાં ઝબકારા સાથે શ્વેત પ્રકાશ પથરાયો. મંદિરના પૂજારી ઝબકીને જાગી ગયા. અંજાતી આંખો સામે એને મનોહર મૂર્તિના દર્શન થયાં એટલે આનંદમાં આભા બની પૂજારીથી પૂછાઈ ગયું, ‘અરે આપ કોણ ! અત્યારે અહીં કયાંથી ?’
મંદમંદ હાસ્ય વેરતા એ મનોહર મૂર્તિ મહાપ્રભુએ કહ્યું, ‘જો પૂજારી, હું સ્વામિનારાયણ પોતે છું. તું અમારા સ્વામિનારાયણ મંદિરમાં જઈને કોઠારીને મારો આ સંદેશો આપી આવજે કે મહોત્સવના કામકાજમાં હિંમત અને ધીરજ રાખે. મંદિરનો આ ભવ્ય મહોત્સવ સારી રીતે પાર પડશે એની કાંઈ ચિંતા કરે નહિ પરંતુ સેવાના કામમાં જે માણસોને રોકે એને વિચારીને રોકે અને જેને સેવાની જવાબદારી સોંપે તેની મદદમાં બીજા બબ્બે અડીખમ ધ્રોગા રાખે તો કશીય અડચણ નહિ આવે ને બધુંય સાનુકૂળ થઈ રહેશે. એમ સ્વામિનારાયણ કહી ગયા છે.’ આટલો સંદેશો આપી એ મનોહર મૂર્તિ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા ને પૂજારી તો આભા બની જોતા જ રહ્યા ને મનમાં સ્વામિનારાયણે કહેલ સંદેશાનું મનન કરતા રહ્યા.
આ પૂજારી આમ તો અયોધ્યા તરફના સરવરિયા બ્રાહ્મણ હતા. વળી પોતે કેન્સરના દર્દી ને લાંબા સમયથી પથારીવશ હોવાથી બહાર કયાંય જઈ શકતા નહોતા. આમ છતાં બીજે દિવસે લાકડીને ટેકે ટેકે ચાલીને સ્વામિનારાયણના મંદિરે આવ્યા.
અહીં મંદિરમાં તો મહોત્સવને લીધે માનવ મહેરામણની આવન જાવન સતત ચાલુ હતી. વળી અહીંના કોઠારીજી કોણ છે ? એ તો આ પૂજારી જાણતા પણ ન હતા એટલે એણે કોઈકને પૂછયું, ‘અહીંના કોઠારી કયાં મળશે ? મારે એમનું ખાસ કામ છે.’ પણ આવી ધમાલમાં આ સામાન્ય વૃદ્ધ આદમીને જવાબ આપવાની ફુરસદ પણ કોન હોય ? એટલું જ નહિ આવા મોટા મહોત્સવનાં અનેક સેવાકાર્યોમાં પરોવાએલા કોઠારીશ્રી અત્યારે કયાં રોકાએલા હોય એની ખરી ખબરેય કોને હોય ? આમ છતાં કોઈક હરિના લાલે મહોત્સવના પ્રણેતા કોઠારી શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજીને વાત પહોંચાડી કે કોઈક વૃદ્ધ બ્રાહ્મણ આપને મળવા માગે છે.
પૂ. શાસ્ત્રીજી કોઈક અગત્યના કામકાજ પ્રસંગે બહાર જવાની ઉતાવળમાં હતા છતાં ઊભા ઊભા આ પૂજારીને મળ્યા ને આ બ્રાહ્મણને કાંઈ જોતું હશે એમ માની ઉતાવળે પૂછયું, ‘બોલો બ્રહ્મદેવ, શું કામ છે ? તમારે કાંઈ જોઈએ છે ? જોતું હોય એ ઝટ બોલો હમણા અપાવી દઉં પણ મને અત્યારે ખોટી કરોમા.’
આ સાંભળી એણેય એટલી જ નિસ્પૃહતાથી કહ્યું, ‘હું આપની પાસે કાંઈ માગવાની લાલચે નથી આવ્યો. હું તો આપને સ્વામિનારાયણનો એક અગત્યનો સંદેશો કહેવા આવ્યો છું.’
આથી પૂ. શાસ્ત્રીજીને થોડી જિજ્ઞાસા જાગી. એમને એક બાજુ લઈ જઈને પૂછયું, ‘બોલો, શો સંદેશો લાવ્યા છો ?’
‘મને ગઈ રાતે સ્વામિનારાયણ ભગવાને દર્શન દીધાને આપને માટે ખાસ આ સંદેશો કહેવડાવ્યો છે’ આમ કહી એણે સ્વામિનારાયણે કહેલ સંદેશો કહી સંભળાવ્યો.
સંદેશો સાંભળી શાસ્ત્રીજી મહારાજ તો આશ્ચર્યમુગ્ધ બની ગયા. ફરીથી સંદેશો સંભળાવવા વિનતિ કરીને પોતે ધ્યાનથી બધું સાંભળ્યું. અંતરમાં આનંદ છવાઈ ગયો. આંખો હર્ષથી અશ્રુભીની બની ગઈ. કારણ કે ર૧ દિવસના આ મહાવિષ્ણુયાગના અંતિમ દિવસોમાં ચોખા અને ખાંડની ખેંચ સર્જાણી હતી. બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હોવાથી દામ દેતાય માલ નહોતો મળતો. માલની હેરફેર પર ભારે અંકુશ વળી રેશનિંગની કડક કટોકટી હતી. આવા કપરા કાળમાં ઊભી થયેલી સમસ્યાઓને પહોંચી વળવા શાસ્ત્રીજી ભારે અજંપો અનુભવતા હતા અને એજ સમયે ઈષ્ટદેવના સંદેશાઓનું આવું અનેરું આશ્વાસન મળી જતાં પૂજ્ય સ્વામીજીએ ભારે રોમાંચ અનુભવ્યો.
શાસ્ત્રીજીએ પૂજારીને પ્રેમથી કાંઈક સ્વીકારવા આગ્રહ કર્યો પણ એણે કશું જ લીધું નહિ ‘સ્વામિનારાયણે મને સરવરિયા જ્ઞાતિનો જાણી દર્શન દીધાં એજ મારું મોટું ભાગ્ય !’ એવા આહોભાવ ને સંદેશો પહોંચાડયાના સંતોષ સાથે એણે વિદાય લીધી.
ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુનો આવો મંગલ સંદેશો મળ્યા પછી મહોત્સવમાં ઉભી થયેલી નાની મોટી તમામ સમસ્યાઓનો ઉકેલ સહજ ને સરળ રીતે આવવા લાગ્યો એટલું જ નહિ જે ચોખા અને ખાંડ પૂરતો પ્રયત્ન કરવા છતાં કયાંય ગોત્યાં નહોતાં જડતાં એ માલને એક વેપારી સામેથી આવીને આપી ગયો. એથી તો કાર્યકરોને ખૂબ નવાઈ ઉપજી આવી. શાસ્ત્રીજીના સેવા કાર્યમાં શ્રીહરિ ભળ્યા છે એની સહુને પ્રતીતિ થઈ આવી. સહુની ચિંતા ટળી ને હિંમત વધી. મહોત્સવ ધામધૂમથી પરિપૂર્ણ થયો.
આ પછી પૂજ્ય શાસ્ત્રીજીને જીવનભર પ્રત્યેક સત્કર્મમાં શ્રીહરિનો સદાય સહયોગ મળતો રહ્યો ને હજુય એમણે આરંભેલ સેવાકાર્યોમાં શ્રીહરિનો સહયોગ ચાલુ જ છે.