‘એ મહારાજ, આમના ઓરા આવો ઓરા !’ વાવેરા ગામના ચોરે બેઠેલ કાઠી ડાયરામાંથી દરબાર મૂળુભા બોરિચાએ ભિક્ષાર્થે ગામમાં ભ્રમણ કરી રહેલા સંતોને સાદ કરીને કહ્યું.
હાંક સાંભળી સંતો ચોરા તરફ વળ્યા. હાથ ઊંચો કરી ડાયરાને જે નારાયણ કહી ચોરાનાં પગથિયાં ચડી ઉપર આવ્યા એટલે દેવી ભક્ત મૂળુભાએ રોષમાં કરડી નજર કરીને કહ્યું, ‘અમે સાંભળ્યું છે કે તમે સ્વામીના સાધુ ગામડે ગામડે ફરીને દેવ–દેવીની નિંદા કરો છો ને ભગત ભૂવાઓને ખોટા ઠેરાવો છો. અત્યારે માતાજીના નોરતાના દિવસો ચાલે છે ને તેમાં જો કોઈ માતાનો ભૂવો ભેટી ગયો ને તો તમને કયાંક ભારે પડી જશે.’
‘જૂઓ ભાઈ, અમે તો કોઈ દેવ–દેવીની નિંદા કરતા નથી તેમ ભૂવા કે ભગતને ખોટાય કહેતા નથી. પણ હા, દેવ દેવીને નામે થતી નિર્દોષ પશુઓની હિંસાનો તો અમે જરૂર નિષેધ કરીએ છીએ.’ મોટા સંતે સ્પષ્ટતા કરતાં કહ્યું.
‘હિંસા ! એ તો માતાજીના નિવૈદ્ય કહેવાય. એને હિંસા કેમ કહેવાય ? વળી માતાજીની પ્રસન્નતાના આ સત્કર્મનો વિરોધય કોઈથી ન કરાય, નહિ તો વળી એની ઉપર માતાનો કોપ ઉતરે.’
‘અરે ભલા માણસ ! હિંસામાં માતાનો કોપ ઉતરે ક અહિંસામાં ? જરા વિચારતો કરો. દેવી તો જીવપ્રાણી માત્રની માતા કહેવાય. જનેતા તો બહુ દયાળુ હોય. એ કદિ પોતાના સંતાનનો ભોગ માગે ખરી ? પોતાની સામે જ કાતાથી ક્રુર રીતે કપાઈને સંતાન રેંસાઈ જઈને તરફડીને ભૂંડે હાલ મરે એ કઈ જનેતા જોઈ શકે ? માતાને નામે આમ બેફામ થતી હિંસા એ તો ઘોર પાપ જ છે.’ નીડર સંતે હિંસાનો હિંમતથી વિરોધ કરતાં કહ્યું.
‘મારાજ, આપની વાત તો જરૂર વિચારવા જેવી છે પણ માતાજીના ભૂવાઓ કહે છે કે આ તો માતાના નિવેદ કહેવાય. એ તો જરૂર કરવા જ જોઈએ, નહિ તો માતાનો કોપ થાય. આપ જ માતાના ભૂવાઓ પાસે ચાલો ને તમારી વાતને એ જો કબૂલ રાખે તો અમનેય એ કબૂલ છે.’ ડાયરામાં બેઠેલા એક રામ ભગતે કહ્યું.
‘તો ચાલો, ભૂવા પાસે જઈએ. અમે તો એનેય વળી સાચી વાત સમજાવીએ.’ અહિંસાના આગ્રહી સંતે અનુમતિ આપતા કહ્યું.
આથી મૂળુભાએ આગળ જઈને માતાજીના મઢમાં બેસી સાધના કરતા ભૂવાઓને બધી હકીકતથી વાકેફ કરીને કહ્યું, ‘જુઓ એ સાધુ દેવ, દેવી, ડાકલાં ને તમારું ભૂવાઓનુંય ખંડન કરવા હમણા જ અહીં આવે છે. માટે એને બરોબરનો પરચો આપી દેજો જેથી એ જ્યાં ત્યાં આવી વાતો કરતા જ છાંડી જાય.’
‘તમે એ સાધુને અહીં બોલાવી લાવોને ? અમે માતાના પ્રતાપથી અને અમારી સાધનાના જોમથી એને એવા ઊભી પૂંછડિયે ભગાડીશું કે જેથી એ કદી માતાનું કે અમારું નામ ન લીએ.’ ભૂવાઓએ લૂખી ડંફાસ મારતા કહ્યું.
મૂળુભા અને બીજાઓ સાથે સંતો માતાના મઢે આવ્યા. અહીં તો જોરજોરથી ડાકલાં વાગી રહ્યાં હતાં. ભૂવાઓ હાંકોટા ને ધૂધકારી મારી ધૂણી રહ્યા હતા. જાગરિયાઓ તો વળી ભારે જોરજોરથી પછડાટો ખાઈ રહ્યા હતા. ભલભલા બીય જાય એવા હાકલા પડકારા સંભળાતા હતા. આ નીડર સંતને તો આ તમાશો જોઈને હસવું આવ્યું. એણે ઈષ્ટદેવ શ્રીહરિને સંભારી ધૂણી રહેલા ભૂવાઓ ઉપર પોતાની વેધક દૃષ્ટિ ઠેરાવી ત્રાટક કર્યું ત્યાં તો જાણે ચમત્કાર થયો હોય એમ માતેલા આખલા જેવા ભૂવાઓ તુરત ધૂણતા બંધ થઈ ને મિયાંની મીંદડી જેવા સાવ ઢીલાઢફ થઈ ગયા. એમનો ઓતાર ઉતરી ગયો. મઢમાં નિરવ શાંતિ પથરાઈ ગઈ ત્યાં ભેળા થયેલા લોકો તો આથી આભા બની એકબીજા સામું જોવા લાગ્યા. જાણે અંદરો અંદર એકબીજાને પૂછતા ન હોય કે એલા એકાએક આ શું થયું !
આવી શાંતિની તક જોઈ આ નીડર સંતવર્યે અહિંસા પરમ ધર્મનું ખરું રહસ્ય સમજાવ્યું ને ઉમેર્યું ‘હવેથી માતાજીને નિવેદમાં ખીર, (લાપસી કે દૂધપાક પૂરી જમાડજો પણ માંસ કે મદિરા જેવાં અખાજ ધરશો નહિ.’ આમ ઉપદેશ આપી આ હિંમતવાન સંત મૂળુભા તરફ એક વિજય સૂચક દૃષ્ટિપાત કરી ચાલી નીકળ્યા.
આ સમર્થ સંત ગયા પછી મૂળુભાએ ભૂવાઓને ટોણો મારતા કહ્યું, ‘એય તમે આ શું કર્યું ? ડંફાસ તો બહુ મારતા હતા અને એ સાધુને ભાળીને ગરીબ ગાય જેવા કેમ બની ગયા ?’ ‘અરે બાપુ, કાંઈ વાત પૂછોમા ! એ સ્વામીના સાધુએ આવીને અમારા સામે જોયું કે તુર્તજ અમારી શક્તિ હરાઈ ગઈ, ઓતારેય ઉતરી ગયો અને અમે તો નિર્જીવ પૂતળાં જેવા બની ગયા. ભગવાનના આ સમર્થ સંતની મોટી સત્તા પાસે અમારે નાની સત્તાએ નમતું આપી દેવું પડયું. ભગવાન પાસે તો કોઈપણ દેવ દેવીનું કાંઈ ચાલે નહીં. આપ અમારા પર હવે નારાજ ન થશો.’
ભૂવાઓની વાત સાંભળી મૂળુભાને વાસ્તવિકતા સમજાઈ ગઈ. એથી એણે આ સમર્થ સંતના હસ્તે વર્તમાન ધારણ કર્યાં.
અહિંસાના આવા પ્રખર હિમાયતી ને નીડર સંત હતા સ્વામી રાઘવાનંદજી જેણે બાબરિયાવાડ પંથકનાં ૪ર ગામોમાં વિચરણ કરી આહીરોમાં આચાર વિચારની પવિત્રતા પ્રસરાવી હતી.